શાળા પ્રવેશોત્સવ જેવા દેખાડા બંધ કરો: હેમત ખવા

  • June 27, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશીયો ખુબ ચિંતાજનક છે: જિલ્લામાં 150 શાળાઓ જયાં ઓરડાઓની ઘટ છે: જિલ્લામાં 600 જેટલા શિક્ષકોની ઘટ



રાજ્યમાં ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન ૨૧ મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫ ની ઉજવણી કરાઇ રહી છે. જામનગર જિલ્લામાં ૫૩ રુટ ફાળવવામાં આવ્યા છે. જિલ્લાની અંદાજિત ૮૦૯ શાળાઓમા શાળાપ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં પ્રવેશોત્સવ ઉત્સવના ડીંડવાણા વચ્ચે પણ ગુજરાતમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશીયો ખૂબ ચિંતાજનક છે. જ્યારે નેશનલ ડ્રોપઆઉટ રેશિયાના આંકડા પણ દુઃખદ છે, જે સાબિત કરે છે કે શાળા પ્રવેશોત્સવએ નર્યા નાટક સિવાય બીજું કશું જ નથી. કોઈ પણ યોજનાઓ હોય જેમાં સરકારની વાતો અને વાસ્તવિકતા અલગ જ હોય છે. આથી શાળા પ્રવેશોત્સવ જેવા દેખાડા પૂરતી કામગીરી કરવાને બદલે ખરેખર જો વાસ્તવિક કામગીરી કરવામાં આવે તો ગુજરાત પણ શ્રેષ્ઠ શિક્ષણનો ગર્વ લઇ શકે તેમ છે.


સ્માર્ટ ક્લાસ અને આધુનિક શિક્ષણની મોટી મોટી વાતો વચ્ચે આજે પણ જામનગર જિલ્લાના નવાગામ ખાતે આવેલ વાડી શાળા (જે ખૂબ જર્જરીત છે અને ગમે ત્યારે પડી શકે છે) સહિત અનેક શાળાઓના ઓરડા જીવતા બોમ્બ સમાન છે અને અનેક પરિવારના બાળકો ત્યાં શિક્ષણ માટે આવે છે તે શાળા જર્જરીત હોવાથી બાળકોના જીવ પર જોખમ મંડરાઇ રહ્યું છે. એટલુ જ નહીં શાળાઓમાં ઓરડાની પણ ઘટ છે. જામનગર જિલ્લાની જ જો વાત કરવામાં આવે તો જિલ્લામાં ૧૫૦ એવી શાળાઓ છે જ્યાં ઓરડાઓની ઘટ છે.જેમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને એક સાથે બેસાડી અને શિક્ષણ આપવામાં આવે છે. જેના પરિણામે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.


તેવી જ રીતે જિલ્લામાં શિક્ષકોની ઘટ એ પણ સૌથી સળગતી સમસ્યા છે. આંકડા અનુસાર વાત કરીએ તો જિલ્લામાં ૬૦૦ જેટલા શિક્ષકોની ઘટ છે. જે ખૂબ ચિંતાજનક બાબત કહી શકાય છે. કરુણતા તો એ વાતની છે કે ૬૦૦ શિક્ષકોની ઘટ સામે માત્ર ૩૮૮ જ્ઞાન સહાયકની એટલે કે હંગામી ધોરણે ભરતી કરવામાં આવી છે જ્યારે બીજા શિક્ષકોની હજુ ઘટ્ટ યથાવત જ છે. બીજી વાત એ પણ છે કે અનેક શાળાઓમાં સરકાર દ્વારા કોમ્પ્યુટર મોકલી દીધા છે. પરંતુ કોમ્પ્યુટર સહિતના ડિજિટલ શિક્ષણ ધરાવતા કુશળ સ્ટાફની મોટાભાગના શાળાઓમાં ઘટ વર્તાઈ રહી છે. જેથી સરકારી સુવિધા ક્ષ્ણભંગુ સાબિત થઈ છે.


તો સરકાર અને સત્તાધીશોને માત્ર એટલી વિનંતી છે કે શાળા પ્રવેશોત્સવના તાઈફાઓ બંધ કરી અને અધિકારીઓ તેમજ બાળકોનો સમય અને આડેધડ નાણાંનો વેડફાટ કરવાને બદલે તળિયાથી કામગીરી કરી અને શિક્ષણ ક્ષેત્રમાં જે પણ ત્રુટીઓ છે તેમને સુધારવાનો પ્રયત્ન કરવો એ સમયની માંગ છે. શાળાઓના મજબૂત ઓરડાઓ અને આધુનિક સુવિધા તેમજ શિક્ષકોની ઘટ્ટ અને બાળકો માટે યોગ્ય પરિવહનની વ્યવસ્થા સહિતની દિશામાં સંપૂર્ણપણે નૈતિકતાથી કામગીરી કરવામાં આવે તો ભવિષ્યમાં બાળકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. છેલ્લા ૨૦ વર્ષથી શાળા પ્રવેશોત્સવના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. છતાં પણ આજે ગ્રામીણ લેવલે શિક્ષણનું સ્તર સુધારવામાં સરકાર ધારી સફળ થઇ નથી. તેવુ ૮૦-જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application