દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ શાળાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓ બાળકોને પ્રવેશ અપાવશે

  • June 26, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકામાં ધોરણ 1 અને 9 માં પ્રવેશ મેળવનાર કુમારની સાપેક્ષે કન્યાઓ અગ્રેસર



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 26 થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાલવાટિકા, આંગણવાડી, ધો. 1 અને ધો. 9 માં પ્રવેશતા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ થનાર છે. ત્યારે ઉલ્લાસમય શિક્ષણની આ ઉજવણીમાં ભાગીદાર થવા માટે રાજ્યકક્ષાના 10 વિવિધ ઉચ્ચ અધિકારીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપસ્થિત રહેશે. જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત  કુલ 37 રુટ પર કુલ 585 જેટલી  પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.


જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ. પંડ્યા જામ કલ્યાણપુર તાલુકામાં, નાણાં વિભાગના આર્થિક બાબતોના સચિવ આરતી કંવર દ્વારકા તાલુકામાં, શાળાઓના નિયામક પ્રજેશકુમાર રાણા ખંભાળિયા તાલુકામાં, સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ એચ.કે. ઠાકર દ્વારકા તાલુકામાં, મહેસુલ વિભાગના સંયુક્ત સચિવ એસ.એસ. પટવર્ધન ભાણવડ તાલુકામાં, સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ એન.એમ. પંડ્યા તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નાયબ સચિવ એસ.ડી. જોષી દ્વારકા તાલુકામાં, ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીના નાયબ નિયામક આર.આર. પટેલ ખંભાળિયા તાલુકામાં, સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ ઈલાબેન પટેલ તેમજ નયનાબેન ચીતરીયા કલ્યાણપુર તાલુકામાં વિવિધ ગામોમાં શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.


જિલ્લામાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 અને 9 માં કુલ 21 હજાર કરતાં વધારે બાળકો પ્રવેશ મેળવશે.


રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદેશ્યથી બે દાયકા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગીરથ પ્રયાસ હાથ ધરીને વર્ષ 2003 થી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.


વડાપ્રધાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ રૂપે શરૂ કરેલ કાર્યક્રમ આજે વટવૃક્ષ બની બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પથદર્શક બન્યું છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે.


સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારથી ત્રણ દિવસ દરમ્યાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શૃંખલાનું આયોજન થનાર છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9 માં બાળકો પ્રવેશ મેળવનાર છે.


જિલ્લામાં ધોરણ 1 અને 9 માં પ્રવેશ મેળવનાર કુમારની સાપેક્ષે કન્યાઓ વધુ પ્રમાણમાં છે. જે સાચા અર્થમાં કન્યા કેળવણી મહોત્સવના પ્રયાસને સાર્થક કરે છે.


ધોરણ 1 માં 3570 કુમારની સાપેક્ષે 3729 કન્યાઓ પ્રવેશ મેળવનાર છે. જેમાં સૌથી વધારે ખંભાળિયા તાલુકામાં બાળકો પ્રવેશ મેળવનાર છે. ધોરણ 9 માં 1947 કુમારની સાપેક્ષે 2007 કન્યાઓ પ્રવેશ મેળવનાર છે. જેમાં સૌથી વધારે ખંભાળિયા તાલુકામાં બાળકો પ્રવેશ મેળવનાર છે.


આ વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 1 માં ખંભાળિયા તાલુકામાં 1299 કુમાર અને 1382 કન્યા, દ્વારકા તાલુકામાં 497 કુમાર અને 557 કન્યા, ભાણવડ તાલુકામાં 702 કુમાર અને 694 કન્યા તથા કલ્યાણપુર તાલુકામાં 1072 કુમાર અને 1096 કન્યાઓ સહિત કુલ 72 બાળકો ધોરણ 1 માં આવશે.


જ્યારે બાલ વાટિકામાં ખંભાળિયા તાલુકામાં 1417 કુમાર અને 1308 કન્યા, દ્વારકા તાલુકામાં 551 કુમાર અને 523 કન્યા, ભાણવડ તાલુકામાં 647 કુમાર અને 624 કન્યા તથા કલ્યાણપુર તાલુકામાં 977 કુમાર અને 976 કન્યાઓ સહિત કુલ 7023 જેટલા બાળકો પ્રવેશ મેળવશે.


ધોરણ 9 માં ખંભાળિયા તાલુકામાં 724 કુમાર અને 728 કન્યા, દ્વારકા તાલુકામાં 405 કુમાર અને 461 કન્યા, ભાણવડ તાલુકામાં 330 કુમાર અને 374 કન્યા તથા કલ્યાણપુર તાલુકામાં 488 કુમાર અને 444 કન્યા સહિત કુલ 3954 બાળકો શાળામાં પ્રવેશ મેળવશે.

આમ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાલવાટિકા, આંગણવાડી, ધોરણ 1 અને 9 માં કુલ 21,965 જેટલા બાળકો પ્રવેશ મેળવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application