જુના યાર્ડ પાસે હિટ એન્‍ડ રન: માતાની અંતિમવિધિમાં જઇ રહેલા પુત્રનું મોતઃ ત્રણને ઇજા

  • May 12, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગ્રીનલેન્ડ ચોકડીથી મુસાફરો ભરેલી રિક્ષા ગોંડલ ચોકડીએ જતી હતી ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલી કાર ધડાકાભેર અથડાતા રિક્ષા ગોથા મારી ગઈ: અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકની શોધખોળ: માતા બાદ પુત્રના મોતથી પોરબંદરના મુસ્લિમ પરિવારમાં માતમ



શહેરના જુના માર્કેટ યાર્ડના પૂલથી આજીડેમ તરફ જતાં રસ્‍તે સવારે હિટ એન્‍ડ રનનો બનાવ બન્યો હતો, પુરપાટ ઝડપે આવતી કારે પાછળથી રીક્ષાને ઠોકર મારતા રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. ગંભીર અકસ્માતમાં પોરબંદરના યુવાનનું ઘટના સ્‍થળે જ મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ મુસાફરોને ઇજા થઇ હતી. મૃતક યુવકના માતાનું અવસાન થતા તેની મૈયતમાં જવા માટે અમદાવાદ્થી રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતર્યા બાદ રિક્ષામાં બેસી ગોંડલ ચોકડીએ જતો હતો જયારે અન્ય ત્રણ મુસાફરો પણ પ્રસંગોપાત જતા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે આજીડેમ પોલીસ દોડી ગઈ હતી

પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ગ્રીનલેન્ડ ચોકડીથી મુસાફરો ભરી રિક્ષા ચાલક ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે જુના માર્કેટ યાર્ડથી આજીડેમ જતા રસ્તે જીજે૦૩બીયુ-૭૮૩૯ નંબરની રિક્ષાને પાછળથી પુરપાટ ઝડપે આવતી કાર ધડાકાભેર રિક્ષામાં અથડાઈ હતી. રિક્ષાને જોરદાર ટક્કર લાગતા ગોથા મારી જતા સવાર મુસાફરો રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા અને કોઇએ જાણ કરતાં ૧૦૮ સ્થળ પર પહોંચી હતી. ફંગોળાયેલા એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું જયારે ઘવાયેલા ગોપાલભાઇ કરસનભાઇ પઢારીયા (ઉ.વ.૪૮-રહે-કુવાડવા રોડ રામ પાર્ક), જેઠાભાઇ મંગળભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૩-રહે-અમદાવાદ સરખેજ), અને વિવેક ત્રિમોહનભાઇ શુક્‍લા (ઉ.વ.૨૪-રહે-ગોંડલ)ને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આજીડેમ પોલીસે હોસ્પિટલએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતક યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી જેમાં યુવકનું નામ યુસુફભાઇ અનવરભાઇ મુકાદમ (ઉ.વ.૩૪) હોવાનું ખુલ્‍યું હતું. યુસુફભાઇ હાલ અમદાવાદ રહી નોકરી કરતાં હતા. અને મુળ પોરબંદરના વતની હતાં. તેના માતાનું અવસાન થતા મૈયતમાં પહોંચવા માટે અમદાવાદથી પોરબંદર જવા માટે સવારે ગ્રીનલેન્ડ ચોકડીએ બસમાંથી ઉતરી ગોંડલ ચોકડીએ જવા માટે રિક્ષામાં બેઠા હતાં. પરંતુ માતાની મૈયતમાં જનાજો ઉઠાવે પહેલા જ પુત્રનું અકસ્માતમાં મોત થતા માતા અને પુત્રના એકી સાથે જનાજા નીકળતા પોરબંદરના મુસ્લિમ પરિવારમાં માતમ છવાયો છે.

ઇજાગ્રસ્તોમાં અમદાવાદના જેઠાભાઇ કાલાવડ રોડ ઇસ્‍કોન પાસે રહેતા ભત્રીજાના મકાનના વાસ્તુ પ્રસંગમાં જતા હતા. અન્ય ગોપાલભાઇને જુનાગઢ જવાનું હોવાથી ગ્રીનલેન્‍ડ ચોકડીથી ગોંડલ ચોકડીએ જવા માટે રિક્ષામાં બેઠા હતાં. અને વિવેક મુળ યુપીનો વતની છે. અને ગોંડલમાં રહી બંગડી બનાવવાના કારખાનામાં કામ કરે છે. આજે જ યુપીથી આવ્યા બાદ ગોંડલ જવા માટે ગ્રીનલેન્‍ડ ચોકડીથી રિક્ષામાં બેઠો હતો. દરમિયાન જુના માર્કેટિંગ યાર્ડથી આગળ અકસ્‍માત નડ્યો હતો. અકસ્માત સર્જી નાશી છૂટેલા કારચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application