મહુવાના સેતાનગરમાં તસ્કરો ત્રાટકી રૂ.૬.૩૦ લાખનો મુદ્દામાલ ઉઠાવી પલાયન

  • March 07, 2024 09:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લામાં એકાદ દિવસ માટે ઠંડીમાં આંશિક વધારો થતા તસ્કરોને જાણે મેદાન મોકલું બન્યું હોય તેમ એક પછી એક ચોરીની ઘટના સામે આવી રહી છે. જિલ્લાના મહુવાના સેતાનગરમાં રહેતો પરિવાર બે દિવસ પુર્વે અમરેલી ખાતે તેના ભાણેજના લગ્ન પ્રસંગે ગયો હતો. તે વેળાએ અજાણ્યા શખ્સોએ મકાનની બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કરી તીજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા. ૬.૩૦ લાખના દર દાગીનાની ઉઠાંતરી કરી ફરાર બન્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.


આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવાના સેતાનગર, મીરા પાર્કની સામે વિટીનગર રોડ પર રહેતા ભાસ્કરભાઈ બાલકૃષ્ણભાઈ ભટ્ટે મહુવા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોધાવી હતી કે, ગત તા. ૦૨.ના રોજ તેઓ અને તેનો પરિવાર રહેણાકી મકાનને તાળા મારી અમરેલી ખાતે તેના ભાણેજના લગ્ન પ્રસંગે ગયા હતા. તે વેળાએ ગત તા. ૦૨થી તા. ૦૪ દરમિયાન અજાણ્યા શખ્સોએ મકાનની દિવાલ કુદી મકાનમાં પ્રવેશ કરી બેડરૂમની ગ્રીલ તોડી, ગેરકાયદે રૂમમાં પ્રવેશ કરી બેડરૂમમાં રહેલા કબાટની તિજોરી તોડી તેમાં રાખેલા સોના ચાંદીના દાગીના પૈકી ત્રણ સોનાના ચેન, છ સોનાની વિટીં, ૧૦ સોનાની ચુડલી, બે જોડ સોનાની બુટી, બે જોડ કાનની સોનાની સર, ત્રણ કાનની સોનાની ચુક, છ જોડ ચાંદીના છડા અને ઝાંઝરી તેમજ રોકડ રૂા. ૩૨ હજાર મળી કુલ રૂા. ૬.૩૦ લાખના માલ મત્તાની ચોરી કરી નાશી છુટયા હતા. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા મહુવા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અને છાનબીન હાથ ધરી હતી. જ્યારે ફરીયાદ અનુસંધાને મહુવા પોલીસે અજાણ્યા શખ્સ સામે આઈપીસી. ૪૫૪, ૪૫૭, ૩૮૦, મુજબ ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા તરફ ચક્રો ગતિમાન કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application