ટ્રુડોની નફટાઈ : ખાલિસ્તાની નિજ્જરની વરસી પર કેનેડાના સંસદમાં પાળવામાં આવ્યું મૌન

  • June 19, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેડાની સંસદમાં ખાલિસ્તાની નિજ્જરના મૃત્યુને એક વર્ષ પૂર્ણ થવા પર મૌન પાળવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ બધું એવા સમયે થયું છે જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર સાથે વાતચીત માટે ’તકો’ જોવાની વાત કરી છે. તાજેતરમાં જ જી 7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડિયન સમકક્ષ ટ્રુડોને મળ્યા હતા.
કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં ગઇકાલે મૌન પાળવામાં આવ્યું હતું. મંગળવારે જ વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી અને વિરોધ પ્રદર્શનો થયા હતા. અહેવાલ છે કે એસએફજે એટલે કે શીખ્સ ફોર જસ્ટિસના કોલ પર, ભારતીય પીએમ નરેન્દ્ર મોદીનું મોક ટ્રાયલ કરાયું હતું. એસએફજેના ગુરપતવંત સિંહ પન્નુએ જણાવ્યું હતું કે, ’ભારતીય મંત્રીઓ અને રાજદ્વારીઓ કે જેઓ કેનેડાના ન્યાયથી બચી ગયા છે તેઓ ચોક્કસપણે ખાલસા ન્યાયનો સામનો કરશે કારણ કે ખાલિસ્તાન તરફી શીખો નિજ્જરના હત્યારાઓને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પકડી રાખશે.’
ગયા વર્ષે 18 જૂને નિજ્જરને હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. કેનેડાના સરેમાં થયેલી આ હત્યાની તપાસ ચાલી રહી છે. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (કેટીએફ)નો ચીફ હતો. ખાસ વાત એ છે કે કેનેડા સરકારે આ હત્યાકાંડમાં ભારત સરકારની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ પછી બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો.
પન્નુએ 23 જૂનથી એર ઈન્ડિયાનો બહિષ્કાર કરવાની પણ હાકલ કરી છે. ખાલિસ્તાની આતંકવાદીઓએ 39 વર્ષ પહેલા કનિષ્ક બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. તે ઘટનામાં 86 બાળકો સહિત 329 લોકોના મોત થયા હતા. વાનકુવરમાં પ્રદર્શન દરમિયાન તે આતંકવાદી ઘટનાના માસ્ટરમાઇન્ડ ગણાતા તલવિંદર સિંહ પરમારની તસવીર પણ ત્યાં રખાઇ હતી. ભારત અને કેનેડા વચ્ચેના ખટાશના સંબંધો વચ્ચે ઇટાલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની પ્રથમ વાટાઘાટોના દિવસો પછી, ટ્રુડોએ કહ્યું છે કે ઘણા મોટા મુદ્દાઓ પર ભારત સાથે સંકલન અને આર્થિક ક્ષેત્રે નવી ભારત સરકાર સાથે કામ કરવા આતુર છે. તેઓ સંબંધો અને ’રાષ્ટ્રીય સુરક્ષા’ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરવાની ’તક’ જોઈ રહ્યા છે.
વડા પ્રધાન મોદીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર બંને નેતાઓ હાથ મિલાવતા એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં એક પંક્તિ હતી કે ’જી7 સમિટમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને મળ્યા.’ ખાલિસ્તાની ઉગ્રવાદને લઈને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ બાદ ઈટાલીના અપુલિયામાં જી7 સમિટમાં યોજાયેલી આ બેઠક પ્રથમ હતી.
ઓટાવા પરત ફયર્િ બાદ ટ્રુડોએ કહ્યું કે સમિટની સૌથી સારી વાત એ છે કે ’તમને વિવિધ મુદ્દાઓ ધરાવતા વિવિધ નેતાઓ સાથે સીધો વાતર્લિાપ કરવાની તક મળે છે અને ચોક્કસપણે દેશો વચ્ચે, લોકો વચ્ચેના આર્થિક સંબંધો ખરેખર મહત્વપૂર્ણ બને છે. તેમણે કહ્યું, ’ઘણા મોટા મુદ્દાઓ પર સહમતિ છે જેના પર આપણે કામ કરવાની જરૂર છે. પરંતુ હવે જ્યારે તેઓ (મોદી) ચૂંટણી જીતી ગયા છે, ત્યારે મને લાગે છે કે અમારી માટે વાતચીત કરવાની તક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application