દ્વારકા જિલ્લામાં "ઉજાસ - એક આશાની કિરણ" પહેલ હેઠળ સમાધાન

  • June 27, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં બન્ને પક્ષકારોને સમજાવટ બાદ સમાધાન



હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ શ્રીમતી સુનિતા અગ્રવાલ દ્વારા તા. 19 એપ્રિલથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વૈવાહિક વિવાદોના ત્વરિત, ખર્ચ રહીત નિવારણ માટે પ્રિ-લિટીગેશન લોક અદાલતની રાજ્યના જિલ્લા મથકે શરૂઆત કરવામાં આવી છે. જે મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડી.એલ.એસ.એ.ના ચેરમેન શ્રી એસ.વી. વ્યાસના માર્ગદર્શન હેઠળ આ પ્રિ-લિટીગેશન લોક અદાલતની ખંભાળિયા ખાતે શરૂઆત કરવામાં આવી છે.


વર્તમાન સમયમાં દંપતીને સામાન્ય તકરારોમાં તકલીફ પડે તો પણ એકબીજાથી છૂટા થઈ જવાની ઉતાવળ હોય છે. આ પરિસ્થિતિમાં દંપતીને યોગ્ય અને કાયદાકીય રીતે ન્યાયાધીશ કક્ષાના અધિકારી તથા ટ્રેઈન્ડ મીડિયેટર દ્વારા સમજવામાં આવે તો તૂટવાના આરે આવી ગયેલા સંબધો પણ ફરીથી નવપલ્લવિત થતાં હોય છે.


આવો જ એક કેસ દેવભૂમિ દ્વારકા ડી.એલ.એસ.એ. સમક્ષ આવતા તેને ત્વરિત પ્રિ-લિટીગેશન લોક અદાલતમાં મુકવામાં આવ્યો હતો. જે કેસની વિગત મુજબ એક દંપતીને હાલ આઠ વર્ષના દાંપત્ય જીવનમાં એક બાળકી છે. લગ્ન બાદ કોઈ કારણસર પતિ દ્વારા પત્નીને ત્રાસ આપી, અને મારકૂટ કરવામાં આવતી હતી. જેથી તેનું લગ્ન જીવન તૂટવાના આરે હતું અને બાળકીનું ભવિષ્ય અંધકારમય થવાની શક્યતા હતી.


આથી આ કેસમાં પ્રિ-લિટીગેશન લોક અદાલત (વૈવાહિક તકરારો) અંગેની બેન્ચ દ્વારા બંને પક્ષકારોને નોટિસ કરી લોક અદાલતની બેન્ચ સમક્ષ બોલવામાં આવ્યા હતા. જેમાં મેમ્બર્સ તરીકે સેવા આપતા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને અહીંના કાનૂની સેવા સમિતિના તાલુકા ચેરમેન એમ.આર. શુક્લા, સાથે મિડિયેટર કીર્તિદાબેન દ્વારા વિવાદગ્રસ્ત દંપતીને વારાફરતી સાંભળી અને બંને વચ્ચે વચ્ચેના ઝગડાની તેમની નાની બાળકી પર ગંભીર અસર પડી શકે તેમ હોય, તેવું દંપતીને સમજાવતા દંપતી પણ રાજીખુશીથી સાથે રહેવા માટે તૈયાર થઈ ગયા હતા. આમ, સમજાવટના માધ્યમથી પતિ-પત્ની અને બાળકી એક છત નીચે જીવન જીવવા હસતા હસતા વિદાય થયા હતા.

પ્રિ-લિટીગેશન લોક અદાલત દ્વારા પક્ષકારોને તકરાર અંગે કાનૂની કાર્યવાહી કરતા પહેલાં શાંતિપૂર્ણ અને અસરકારક નિરાકરણની સુવિધા આપવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોપનીયતા અને ગુપ્તતા જાળવવામાં આવે છે અને કોઈપણ પક્ષની સંવેદનશીલ માહિતી જાહેરમાં જાહેર કરવા દબાણ કરવામાં આવતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, અભયમ મહિલા હેલ્પલાઇન- 181, વન સ્ટોપ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશનને પણ ખાસ કહેવામાં આવ્યું છે કે જે કેસ સમાધાન લાયક હોય તેમાં ગુન્હો નોંધતા પહેલા અરજી પ્રિ-લિટીગેશન લોક અદાલતમાં મોકલવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application