સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વેકેશનમાં આઠ ભવનના અધ્યાપકોને એડમિશનની જવાબદારી સોંપી

  • April 25, 2025 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ (જીકાસ) પોર્ટલ મારફત પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 ની પરીક્ષાના અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી સ્નાતક કક્ષાની પરીક્ષાના પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે. પરિણામો જાહેર થાય તે સાથે જ એડમિશન પ્રોસેસ પણ શરૂ થઈ જાય તે માટે યુનિવર્સિટીએ જુદા જુદા આઠ ભવનના 12 જેટલા અધ્યાપકો અને 20 જેટલા ક્લાર્કને વેકેશનના સમયગાળામાં આ માટે ડ્યુટી સોપતા હુકમો કર્યા છે.

જીકાસ પોર્ટલ મારફત એડમિશન આપવાની પ્રક્રિયા ચાલુ શૈક્ષણિક સત્રથી કરવામાં આવી હતી. પરંતુ ઓચિંતી આવી પડેલી આ નવી વ્યવસ્થા માટે પૂરતી અને આગોતરી કોઈ પ્રકારની વ્યવસ્થા ન થવાના કારણે એડમિશનના મામલે મોટો માર સરકારી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન કોલેજોને પડ્યો હતો. આ વખતે વેકેશનમાં વિદ્યાર્થીલક્ષી તમામ પ્રવૃત્તિઓ બંધ કરી માત્ર એડમિશનને જ મિશન બનાવીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીઓ કામ કરશે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ માટે કેમ્પસ પર આવેલા યુપીએસસી કોચિંગ સેન્ટરમાં નવું કેન્દ્ર શરૂ કર્યું છે અને તેમાં જુદા જુદા આઠ ભવનના 12 અધ્યાપકોને દરરોજ રોટેશન મુજબ ફરજ સોંપી છે. જે 12 અધ્યાપકોને આ ફરજ સોંપવામાં આવી છે તેમાં ફિઝિક્સ ભવનના ડી. બી. ધ્રુવ એમ.વી. વગઢીયા ફાર્મસી વિભાગના પી વી પટેલ એસ. વી. પંડ્યા એમ જી રાણા બાયો સાયન્સ ભવનના એસ.કે ચોવટીયા આંબેડકર ચેરના આર બી ધાનાણી ઈંગ્લીશ ડિપાર્ટમેન્ટના વી કે શુક્લા એચડી મૂલિયાણા મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના કે એમ પોપટ નેનો સાયન્સ ભવનના જે કે મારકણાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 20 જેટલા ક્લાર્કને પણ ઓર્ડર આપવામાં આવ્યા છે. દરરોજ એક એક અધ્યાપક અને બબ્બે ક્લાર્ક આ સેન્ટરમાં એડમિશન કામગીરી માટે રોટેશન મુજબ હાજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application