યાજ્ઞિક રોડ બંધ; જાગનાથ પ્લોટની શેરીમાં એસટી બસો દોડવા લાગતા દેકારો બોલી ગયો

  • April 16, 2025 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ડો.યાજ્ઞિક રોડની મધ્યમાં આવેલા સર્વેશ્વર ચોક વોંકળાનું વ્હેણ ડાયવર્ટ કરી નવું બોક્સ ક્લ્વર્ટ બનાવવા કામગીરી શરૂ કરાતા ગત મધ્ય રાત્રિથી આ રોડ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. સર્વેશ્વર ચોકથી બન્ને તરફ ૫૦-૫૦ મીટર મતલબ કે સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં.૨૦ સુધીના રોડ ઉપર વાહનોની અવર જવર આગામી ચાર માસ સુધી બંધ કરાઇ છે. દરમિયાન યાજ્ઞિક રોડ બંધ કરાયાના આજે પહેલા દિવસથી જ અંધાધૂંધી સર્જાઈ હતી. ન્યુ જાગનાથની સાંકડી શેરીઓમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ન્યુ જાગનાથ-૨૦માં એસટી બસો દોડવા લાગતા દેકારો બોલી ગયો હતો.

મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા ઉપરોક્ત કામે યાજ્ઞિક રોડ બંધ કરવામાં આવ્યો છે ત્યારે રૂટ ડાયવર્ઝન અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ, યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા તમામ પ્રકારના વાહનોએ ડો.દસ્તૂર માર્ગ ઉપરથી એસ્ટ્રોન ચોક-મહિલા કોલેજ ચોક તરફથી કિશાનપરા ચોક-જિલ્લા પંચાયત ચોક ઉપર તથા રામકૃષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ ઉપર હાઇસ્ટ્રીટ બિઝનેસથી ડાબી તરફ સ્વામી વિવેકાનંદ માર્ગ ઉપર રામકૃષ્ણનગર શેરી નં.૧૦ ઉપરથી પસાર થઇ વિરાણી હાઇસ્કુલ પાસેથી- ટાગોર રોડ પર થઇને એસ્ટ્રોન ચોક-મહિલા કોલેજ-કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જવાનું રહેશે.

રેસકોર્ષથી માલવિયા ચોક તરફ આવતા મોટર વ્હીકલ વિગેરે વાહનોની અવર જવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોકથી જ્યુબેલી ગાર્ડન ચોક-જવાહર રોડ ઉપરથી ત્રિકોણ બાગ સર્કલથી માલવીયા ચોક તથા રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા ટુ-વ્હીલર્સ તથા થ્રી-વ્હીલર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક-મોટી ટાંકી ચોક-લીમડા ચોકથી પસાર થઇને ડો.રાજેન્દ્રપ્રસાદ રોડ ઉપરથી પસાર થઇને માલવીયા ચોક તરફ જઇ શકશે.


ન્યુ જાગનાથ-૨૦માંથી દબાણો દૂર કરી વાહનો દોડાવવા લાયક બનાવો

યાજ્ઞિક રોડ બંધ કરાતા ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.૨૦માં રૂટ ડાયવર્ઝન અપાતા આજે સવારથી અહીંથી એસટી બસો સહિતના ભારે વાહનો દોડવા લાગતા રહીશો ભયભીત બની ગયા છે, ન્યુ જાગનાથ ૨૦માં બે કાર સામસામે આવી જાય તો માંડ પસાર થઇ શકે તેવી સ્થિતિ છે ત્યારે અહીંથી એસટી બસો દોડવા લાગતા ટ્રાફિક જામ સર્જાવા લાગ્યો છે. અહીં રૂટ ડાયવર્ટ કરતા પૂર્વે મહાપાલિકાએ અહીંથી દબાણો દૂર કરવાની જરૂર હતી તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે. અલબત હજુ પણ દબાણો દૂર કરવા હોય તો કરી શકે છે, હજુ પણ મોડું થયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application