રાઈડસ પ્લોટ એક ગ્રુપે જ ૧.૨૭ કરોડમાં સંભાળ્યા

  • August 13, 2024 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના લોકમેળામાં રાઈડસનું ગુંચવાયેલું કોકડુ કાલે એક જ ઝટકામાં ઉકેલાઈ ગયું. અત્યાર સુધી હરરાજીમાં ભાગ લેવા માટે હાના–હાના કરનારા રાઈડસ ધારકો ગઈકાલે હરાજીના ચોથા રાઉન્ડમાં પણ હચુ–ડચુ થયા હતા. અંતે એક જ ગ્રુપે આવીને રાઈડસના તમામ ૩૧ પ્લોટ ૧.૨૭ કરોડમાં લેવાની બોલી બોલી હતી અને આ તમામ પ્લોટ હવે એક ગ્રુપને ફાળવી દેવાતા મેળામાં ફજત–ફાળકાથી લઈ અવનવી રાઈડસ ઘરરાટી કરતી જોવા મળશે અને મેળો સાચા અર્થમાં મેળો બની રહેશે. આઈસ્ક્રીમ સ્ટોલ ધારકો પણ જો નહીં સમજે તો તેઓની પણ આ જ રીતે દવા થઈ જશે તેવું દેખાઇ રહ્યું છે.
રાજકોટના લોકમેળા માટે આ વખતે સ્ટોલથી લઈ પ્લોટમાં ૩૩ ટકાનો ઘટાડો સલામતીની દ્રષ્ટ્રીએ અને અન્ય કારણોસર કરવામાં આવ્યા હતા. મેળામાં રાઈડસ માટે ૩૧ પ્લોટ, આઈસ્ક્રીમ માટે ૧૬ અને ખાણીપીણી માટે ૩ મોટા સ્ટોલની જગ્યા રાખવામાં આવી હતી અને આ તમામ જગ્યા હરાજીથી ઉંચી બોલી બોલનારને આપવાની હતી. રાઈડસ માટે ૯૦ વ્યકિતઓએ ફોર્મ ભર્યા હતા. ૩–૩ હરરાજીમાં રાઈડસમાં જોડાવા માટે અરજદારો દ્રારા એસઓપીના નિયમો હળવા કરવા માગણી દોહરાવાતી હતી. કલેકટર તત્રં દ્રારા સલામતીના ભાગે કોઈ બાંધછોડ નહીં અને કલેકટર પ્રભવ જોશીએ પણ સ્પષ્ટ્ર જણાવી દીધું હતું કે એસઓપી રાય સરકારની છે અને જન સુરક્ષાથી વધુ કઈં હોઈ ન શકે માટે કોઈ બાંધછોડ થશે નહીં.
સમય પસાર થશે અને મેળો નજીક આવશે એટલે કલેકટર તત્રં નમતું દેશે તેમ માનીને રાઈડસ ધારકો દ્રારા હરાજીમાં જોડાવાથી મોં ફેરવાતું હતું ગઈકાલે બપોર બાદ ચોથી વખત હરાજી રાખવામાં આવી હતી. રાઈડસ ધારકો હરાજીમાં આવ્યા ખરા પરંતુ નિયમોમાં હળવાશ કરવાની માગણી દોહરાવતા રહ્યા હતા. આ સમયે જ હરાજીમાં એક ગ્રુપ જોડાયું હતું અને ન્યુ રીયલ ગ્રુપ નામે ખાનગી મેળા યોજતા આ ગ્રુપે તમામ ૩૧ પ્લોટ ૧.૨૭ કરોડની બોલી સાથે હરાજીમાં રાખી લીધા હતા. મેળા અમલીકરણ સમિતિ દ્રારા આ પ્લોટની ફાળવણી પણ કરવાની કાર્યવાહી હાથ ધરી દેવાઈ છે.
આ બાબતે પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારના જણાવ્યા મુજબ, રાઈડસના તમામ પ્લોટ ગઈકાલે હરાજીમાં આપી દેવામાં આવ્યા છે. ગઈકાલે આઈસ્ક્રીમના ૧૬ સ્ટોલ પૈકી ૧૦ સ્ટોલ હરાજીમાં આપી દેવામાં આવ્યા છે, ૬ સ્ટોલ બાકી છે જેની એજન્સીઓ સાથે વાટાઘાટ ચાલે અને આ સ્ટોલની પણ ફાળવણી થઈ જશે. ખાણીપીણીના ત્રણેય સ્ટોલ પણ ગઈકાલે આપી દેવાયા છે. રાઈડસના તમામ ૩૧ પ્લોટ રાખનાર દશરથસિંહ વાળાનો સંપર્ક કરતા તેમના જણાવ્યા મુજબ, પોતે વિરેન્દ્રસિંહ ગોહિલ સાથે ન્યુ રિયલ ગ્રુપ નામે વર્ષેાથી ખાનગી મેળાનું આયોજન કરે છે. રાજકોટના લોકમેળામાં રાઈડ ન આવે તો યોગ્ય નહીં આ વિચારે તેઓએ ગઈકાલે લોકમેળાની હરાજીમાં ભાગ લીધો હતો અને તમામ પ્લોટ રાખી લીધા છે. જો કોઈને પ્લોટ જોઈતા હશે તો નિયમ મુજબ ફાળવણી કરવામાં આવશે. અન્યથા અમારા સંપર્કમાં પણ રાઈડસના ધંધાર્થીઓ છે તેઓ સાથે રહીને મેળામાં ફાઉન્ડેશન સહિતના નિયમોનું પાલન કરીને રાઇડસ ગોઠવી દેવાશે


રાજકોટમાં યોજાતા લોકમેળાનો દર વખતે સામાન્યજન પાસેથી નામ મગાવવામાં આવતા હોય છે. આ વખતે પણ કલેકટર તત્રં દ્રારા પરંપરા જાળવી રખાઇ હતી. લોકમેળાના અલગ અલગ નામ સુચનો સાથેની ૮૦૦થી વધુ અરજીઓ આવી હતી. આ તમામ નામમાંથી રાજકોટના લોકમેળાનું આ વખતે ધરોહર મેળો એવું નામ કલેકટર પ્રભવ જોષી દ્રારા જાહેર કરવામાં આવ્યું છે. આ વખતનો મેળો ધરોહર મેળા તરીકે ઓળખાશે. ધરોહરનો પર્યાય અર્થ વારસો થતો હોય છે


રાજકોટના લોકમેળાનું નામ ધરોહર મેળો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application