રામમયી બન્યું હાલાર જામનગર અને ખંભાળીયામાં આજે વિશાળ શોભાયાત્રા

  • April 17, 2024 02:01 PM 

આજે રામનવમીના પવિત્ર દિવસે જામનગર સહિત સમગ્ર હાલારમાં રામભકતોએ ભગવાન શ્રી રામનો જય ઘોષ લગાવ્યો હતો, આજ સવારથી જ વિશ્ર્વના સુપ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિર, લોહાણા મહાજન વાડીમાં આવેલ રામ મંદિર, દ્વારકાના જગતમંદિર સહિતના મંદિરોમાં ભકતો ઉમટી પડયા હતાં અને રામ પ્રાગટયોત્સવ મનાવ્યો હતો. જામનગરમાં આજે સાંજે બાલા હનુમાનથી ભવ્ય રામ સવારી નિકળશે જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી મોડી રાત્રે પંચેશ્ર્વર ટાવર પાસે આવેલા લોહાણા મહાજન વાડી ખાતે આવેલા રામ મંદિર ખાતે પૂર્ણ થશે જયાં આતશબાજીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.


જામનગરમાં ભગવાન શ્રી રામની જન્મજયંતિ નિમિતે નિકળનારી શોભાયાત્રા 43માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે, બાલા હનુમાનથી શોભાયાત્રા નિકળી હવાઇચોક, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, દરબારગઢ, ચાંદીબજાર, રણજીત રોડ, બેડીગેઇટ થઇને નગર ભ્રમણ કરશે, ટાવર પાસે રામમંદિરે પહોંચશે, જેમાં 51 વાગ્યે આ રામસવારીનું સ્વાગત કરાશે, સવારીમાં વિવિધ ફલોટસ રહેશે, મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ યોજાનારી રામસવારીમાં સાંજે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી પૂ.ચત્રભુજદાસજી, બાલા હનુમાન સંકિર્તન મંડળ ટ્રસ્ટના પ્રમુખ અને લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના અગ્રણીઓ પાલખીનું પુજન કરીને પ્રસ્થાન કરાવશે.


રામસવારીના મુખ્‌ય રથમાં રામ કુટીરની સાથે ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીની ઝાંખી કરાવાશે તેમજ ભાવનગરના પ્રખ્યાત મંકી મેનની પણ એન્ટ્રી કરાવાશે, આજે સવારે બાલા હનુમાનમાં વિશિષ્ટ આરતી થઇ હતી જેમાં ભકતોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતાં, લોહાણા મહાજન વાડી પાસે આવેલા રામ મંદિરમાં પણ સવારે આરતી અને બપોરે 12 વાગ્યે રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્‌યો હતો.


દ્વારકાના જગતમંદિરમાં આજે સવારે પ્રાગટયોત્સવની ઉજવણી તેમજ 6:30 વાગ્યે મંગલા આરતી, 9 થી 10 શૃંગાર દર્શન અને બપોરે 12 વાગ્યે કાળીયા ઠાકોરને શ્રી રામના ઉત્સવ સ્વપના વિશેષ શણગાર સાથે ભકતોએ દર્શન કયર્િ હતાં અને સાંજે દ્વારકાના રામવાડી સ્થિત પ્રાચીન રામ મંદિર, અયોઘ્યા ભવન, ભથાણ ચોક રામ મંદિર અને પારસ શેરીમાં રામ મંદિરમાં પણ વિશિષ્ટ દર્શન કરાવાયા હતાં.

જામનગરના ગાયત્રી શકિતપીઠમાં આજે રામનવમીને લઇને વિશિષ્ટ કાર્યક્રમો કરવામાં આવ્‌યા હતાં, જયારે બાલા હનુમાનમાં મહાઆરતી, લોહાણા મહાજન વાડીમાં આવેલ રામ મંદિરમાં રામ જન્મની ઉજવણી કરવામાં આવી હતી, આ ઉપરાંત કાલાવડમાં બપોરે 12 વાગ્યે રામ મંદિરમાં ઉત્સવની ઉજવણી કરાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભકતો હાજર રહ્યા હતાં. ભાણવડ, જામજોધપુર, ખંભાળીયા, ધ્રોલ, જોડીયા, લાલપુર, કલ્યાણપુર, ફલ્લા, રાવલ, ભાટીયા સહિતના ગામોમાં પણ રામ નવમીના દિવસે વિશિષ્ટ કાર્યક્રમો રાખવામાં આવ્‌યા હતાં, આમ સવારના 5 વાગ્યાથી સમગ્ર હાલાર રામમયી બની ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application