રાજકોટના અગ્નીકાંડની જવાળાઓ જામનગર પહોંચી : ધ્રોલ પંથકના 3 લાપત્તા

  • May 27, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુત્રની ભાળ મેળવવા પરિવારજનો રાજકોટ પહોચ્યા : પંથકમાં ઘેરી ચિંતા


રાજકોટના ગેમઝોન અગ્નીકાંડની જવાળાઓ જામનગર પંથકમાં પહોંચી હોવાના અહેવાલ સાપડી રહયા છે, જીલ્લાના ધ્રોલ તાલુકાના 3 યુવાન અગ્નીકાંડમાં લાપતા બન્યા હોવાની વિગતો સામે આવતા પંથકમાં ઘેરી ચિંતા પ્રસરી ગઇ છે, પુત્રોની ભાળ મેળવવા પરિવારજનો રાજકોટ પહોચ્યા છે.


રાજકોટ ટીઆરપી ગેમઝોનના અગ્નીકાંડમાં 27નો ભોગ લેવાયો છે, અને આ તમામ મૃતદેહો ઓળખાઇ શકે તેવા ન હોય તે માટે મૃતકોના ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખ મેળવીને મૃતદેહો પરિવારજનોને સોપવામાં આવી રહયા છે, આ અગ્નીકાંડમાં ધ્રોલ તાલુકાના 3 યુવાનો પણ લાપતા બનતા પરિવારજનોમાં અરેરાટી સાથે ચિંતા પ્રસરી ગઇ છે અને વ્હાલસોયા પુત્રોની ભાળ મેળવવા પરિવારજનો રાજકોટ ઘસી ગયા છે. જો કે હજુ ઓળખ થઇ નથી.


આ અંગેની મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના 3 યુવાનો નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ.24 રહે. મું. ગઢડા, હાલ ધ્રોલ), સુરપાલસિંહ અનિરુઘ્ધસિંહ જાડેજા (ઉ.વ.25 મું. ખાખરા) આ બંને યુવાન રાજકોટ બજાજ ફાઇનાન્સમાં નોકરી કરતા હતા તેમજ અન્ય એક યુવાન જય અનિલભાઇ ગોરેચા (ઉ.વ.23 રહે. જાયવા)ના છે.


આ ધ્રોલ તાલુકાના ત્રણેય યુવાનો ગેમઝોન ખાતે ગયા હતા, દરમ્યાન અગ્નીકાંડની દુર્ઘટનાથી વતન અને પરિવારમાં ભારે અરેરાટી સાથે ચિંતાની લાગણી છવાઇ છે. પરિવારજનો, સબંધીઓ રાજકોટ પહોચ્યા છે, જયાં ઓળખની કાર્યવાહી ચાલી રહી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ નમ્રદીપસિંહ જાડેજાના ચાર માસ પુર્વે લગ્ન થયેલા છે, જયારે સુરપાલસિંહ જાડેજાની તાજેતરમાં સગાઇ થઇ હતી, તેમજ જયભાઇ ગોરેચાના પિતાનું 3 માસ પહેલા મૃત્યુ થયુ હતું, રાજકોટના અગ્નીકાંડમાં ધ્રોલના 3 યુવાન લાપતા બનતા પંથકમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application