રક્ષક બની ભક્ષક: ભરૂચમાં પોલીસ દ્વારા કરાયું દારૂ વેચવાનું દબાણ, કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યું

  • March 16, 2025 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભરૂચ નજીક આવેલા કવિઠા ગામના એક યુવાને સ્યૂસાઇડ નોટ લખીને ખેતરમાં જઇ ઝેરી દવા પીને આપઘાત કર્યો. સ્યૂસાઇડ નોટમાં નબીપુરના પીઆઇ તેમજ બે કોન્સ્ટેબલો દારૂ વેચવા માટે દબાણ કરે છે તેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટના બાદ નબીપુરના પીઆઇ અને બે કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા કિર્તનભાઇ વસાવા (ઉ.વ.45) તેમજ ઘરના સભ્યો ધુળેટીની રજા હોવાથી ઘેર હતાં. દરમિયાન બપોરના સમયે કિર્તન વસાવા ગામમાં ચક્કર મારવા માટે નીકળ્યા હતાં. એ પછી સાંજે કિર્તનભાઈએ તેના ભાઇ ચન્દ્રકાન્ત વસાવાના મોબાઇલ પર વોટ્‌સએપ ઓડિયો ક્લિપ મોકલી, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે નવિન બાબર પટેલના ખેતરમાં તેણે ઝેરી દવા પીધી છે.


મેસેજ સાંભળીને ચન્દ્રકાન્તભાઇ, કિર્તનભાઈની પુત્ર હિરલ તેમજ ઘરના અન્ય સભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારે કિર્તનના મોંઢામાંથી ફીણ નીકળતું હતું એટલે તાત્કાલિક વાહન કરી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ ત્યાં હાજર ફરજ પરના તબીબે કિર્તનનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. એ પછી કિર્તનના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તેના પેન્ટના ખિસ્સામાંથી સ્યૂસાઇડ નોટ મળી હતી.


આ સ્યૂસાઇડ નોટમાં નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ મુકેશ કે. પરમાર તેમજ બે કોન્સ્ટેબલો રાજેન્દ્રસિંહ અને સંદિપ સામે ગંભીર આક્ષેપો કરાયા હતાં. જેમાં દારૂના ધંધા માટે હેરાન કરવામાં આવે છે અને ઘરમાં પણ પોલીસના માણસો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. એ પછી પોલીસે મૃતક કિર્તનની પુત્રીની ફરિયાદ નોંધી અને પીઆઇ એમ.કે. પરમાર, કોન્સ્ટેબલો રાજેન્દ્રસિંહ અને સંદિપ સામે ગુનો દાખલ કર્યો હતો.


પીઆઇ વિરૂદ્ધ એક મહિના પહેલાં રજૂઆત છતાં પગલા લેવાયા ન હતાં


પીઆઇ મુકેશ કે. પરમાર સામે ભરૂચના સાંસદ અને વાગરાના ધારાસભ્યે એક મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી પણ એ બાબતે કોઈ યોગ્ય પગલા ન લેવાયા અને આ દુર્ઘટના બની. સાંસદે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ન્યાયિક તપાસની માંગણી કરી હતી.


ખિસ્સામાંથી મળેલી સ્યૂસાઇડ નોટમાં આક્ષેપ


કિર્તને સ્યૂસાઇડ નોટ લખી પોતાના ખિસ્સામાં નાંખી આત્મહત્યા કરી લીધી હતી.હાથથી લખેલી આ સ્યૂસાઇડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે આ લોકો ખોટા કેસ બનાવે છે, હું પહેલાં દારૂ વેચતો હતો પણ મેં ચાર મહિનાથી આ કામ બંધ કરી દીઘું છે, એક કેસ તો મેં કબૂલ કરી લીધો હતો છતાં આ લોકો મારી ગાડી છોડતા નથી અને મને ખોટો ફસાવે છે, રાતના મારી છોકરી અને વાઇફ અને બેનને પણ લઇ ગયા હતાં. રોજ ઘેર આવે છે બઘું ચેક કરે છે, મારા ઘરનાઓને પણ માં, બહેન જેવી ગાળો બોલે છે.


આ લોકોને ધંધો મારી પાસે ચાલુ કરાવવો છે અને નહી કરુ તો પણ પૈસા માંગે છે, ગામમાં મારે રહેવા જેવું કઇ રહેવા નથી દીઘું એટલે હું દવા પીને મારું જીવન ટૂંકાવું છું, હું આ બઘું લખું છું તેનું કારણ મારા ગયા પછી મારા ઘરવાળાને હેરાન ના કરે બસ, આ મારી અરજી એસપી સાહેબ પાસે જાય અને યોગ્ય પગલાં લે એ


જ મારી અરજી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application