વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે, સેલવાસામાં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ, સુરતમાં 3 કિમીનો રોડ-શો કરશે

  • March 07, 2025 09:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાત આવી રહ્યા છે. આમ તેઓ 4 દિવસમાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવશે. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. તેમને આવકારવા માટે સુરત શહેર થનગની રહ્યું છે અને નવા રંગરૂપ પણ ધારણ કરી લીધા છે. તો બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે.


મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ બપોરે પહોંચશે અને ત્યાંથી સેલવાસા જશે. સેલવાસામાં તેઓ 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેની સાથે જ 650 બેડની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું ભૂમિપૂજન પણ કરશે. ગંગટોક બાદ દેશના બીજા નંબરના દરિયા કિનારે આવેલા દમણનું એડવાન્સ નાઇટ માર્કેટ, દેવકા કિનારે આવેલી ટોય ટ્રેન અને પંચાયત ઘર, દીવમાં સર્કિટ હાઉસ એમ ચાર અન્ય કાર્યોનું લોકાર્પણ કરશે. મોદી કુલ 2587 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. આ વડાપ્રધાનની છેલ્લા 10 વર્ષમાં દાદરા નગર હવેલીની ચોથી મુલાકાત છે.


સેલવાસાના કાર્યક્રમ બાદ પીએમ મોદી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલિપેડ ખાતે આવશે. ત્યાંથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ પહોંચવાના છે. આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભાં કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 1 લાખ લોકો ઊમટે એવી શક્યતા છે. શુક્રવારની સાંજથી લઈ શનિવારની સવાર સુધીમાં, એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં 28 કિમીના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે.


8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા
આ મુલાકાત માટે 8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા, રોડ શોને લઈ ટ્રાફિક મેનેજમેન્ટ માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત રૂટ, નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી સભાની તૈયારીઓ તથા શહેરમાં કરવામાં આવેલા પેઇન્ટિંગ અને 30 સ્ટેજ બનાવવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે.


IPSથી PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખડેપગે
PMની સુરક્ષા માટે 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર-જિલ્લાની 3000થી વધુ પોલીસ તહેનાત રહેશે. IPSથી લઈ PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPની 4 ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.સુરક્ષા દૃષ્ટિએ PMના રૂટ પર બેરિકેડિંગ અને સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડાએ પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સુરક્ષાની સમીક્ષા કરી છે.


વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાશે
PM મોદીના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરાયેલાં 30થી વધુ સ્ટેજ પર દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિતનાં રાજ્યોની લોકસંસ્કૃતિ, નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. લિંબાયત વિસ્તાર મિની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે અહીં દેશનાં 26 રાજ્યમાંથી આવેલા લોકો વસવાટ કરે છે.


PM મોદી નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા
શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે. જોકે, તેમાં પહેલા રાજ્યના પુરવઠા મંત્રી, બાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application