ઇન્કમટેક્સ એકટ-૧૯૬૧ના સેકશન ૪૩ બી(એચ)નો અમલ મુલતવી રાખો: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ

  • March 11, 2024 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રવર્તમાન ઇન્કમટેક્સ એકટ ૧૯૬૧ના સેકશન ૪૩ બી (એચ)નો આગામી એપ્રિલ ૨૦૨૪થી અમલ કરવામાં આવનાર છે. જે મુજબ નવી જોગવાઇ અંતર્ગત કોઇ પણ ઔદ્યોગીક કે સેવા પ્રદાન કરતા ક્ષેત્રો પાસેથી મેળવેલ પ્રોડકટ અથવા સેવાના યોગ્ય ચુકવણી સબંધે એમએસએમઇડી એકટ મુજબ સ્પષ્ટ જોગવાઇ નિર્ધારીત કરાઇ છે. જે કિસ્સામાં પેમેન્ટ બાબત સ્પષ્ટ એગ્રીમેન્ટ થયેલ હોય તેમાં ૪૫ દિવસ તથા એગ્રીમેન્ટ થયેલ ન હોય તો ૧૫ દિવસની સમય મર્યાદા નિર્ધારીત કરાયેલ છે. આ જોગવાઈ એમએસએમઇડી એકટના સેકશન ૧૫ અંતર્ગત ક૨વામાં આવેલ છે. સદર સમય મર્યાદામાં પેમેન્ટ ન થયેલું હોય તો જે તે નાણાંકિય વર્ષમાં નહી ચુકવાયેલ રકમ લેનાર વ્યકિતની આવકમાં ગણવામાં આવશે અને જયારે વાસ્તવિક પેમેન્ટ કરવામાં આવે ત્યારે આ રકમ બાદ મળવાપાત્ર થશે.
ઉપરોક્ત જોગવાઈના અનુસંધાને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાને સાથે રાખી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા, માનદ મંત્રી નૌતમભાઇ બારસીયા અને કારોબારી સભ્ય કુમનભાઇ વરસાણી વિગેરે દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની રૂબરૂ મુલાકાત લઈ રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય તેમજ લાખોની સંખ્યામાં એમએસએમઇ એકમો તેમજ નિકાસકારો કાર્યરત હોય તેઓને આ કાયદાના અમલથી ખુબ જ હાલાકીનો સામનો કરવો પડશે અને આવનારા દિવસોમાં આવા ઔદ્યોગીક એકમો ઉપર ગંભીર અસર પડશે. આ મામલે અગાઉ ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રના નેજા હેઠળ રાજકોટ-સૌરાષ્ટ્રની તમામ ચેમ્બરો અને એસોસીએશની મિટીંગ મુલત્વી રાખેલ હતી પરંતું આ બાબતે જો વેપાર-ઉદ્યોગકારોના હિતમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો નાછુટકે ટુંક સમયમાં આ અંગે સમગ્ર ચેમ્બરો અને એસોસીએશનની મિટીંગ બોલાવી ઉગ્ર રજુઆત કરવામાં આવશે.
એકંદરે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તમામ સંજોગોને ધ્યાનમાં રાખી ઇન્કમટેક્સ એકટ ૧૯૬૧ના સેકશન ૪૩ બી (એચ)નું પુન:મુલ્યાંકન અને અભ્યાસ કરી નાના ઔદ્યોગીક એકમો તથા સેવા પ્રદાન કરનાર ક્ષેત્રો અને નિકાસકારૌને પડનારી આર્થિક તથા વ્યવસ્થાકીય મુશ્કેલીઓને ધ્યાને લઈ તેના અમલ અંગે ફેર વિચારણા કરવા તથા યોગ્ય નિર્દેશ જારી કરી હાલ મુલત્વી રાખવા ભારપુર્વક રજુઆત કરવામાં આવી છે. જે અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ ઘટતું કરવા ખાતરી આપી હતી તેમ રાજકોટ ચેમ્બરના હોદ્દેદારોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application