હાઇકોર્ટે ઉધડો લેતા પોલ્યુશન બોર્ડ જાગ્યું: કુરંગાની ઘડી કંપનીનો બદલાયો સમય

  • January 18, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩૦ દિવસ સુધી પ્લાન્ટને બંધ રાખવાનો જીપીસીબી દ્વારા અપાયો આદેશ: સિંગલ ફેઝ વિજ કનેકશન પણ બંધ કરાયું: કંપની સામે હાઇકોર્ટમાં ચાલી રહેલી ખેડુતોની લડતમાં મહત્વનો વણાંક: આરએસપીએલ ઘડી કંપની સામે જીપીસીબીએ આખરે લાલ આંખ કરવી પડી

દ્વારકાના કુરંગા ખાતે આવેલી આરએસપીએલ ઘડી કંપની સામે ખેડુતો જંગે ચડયા છે અને ગુજરાતની વડી અદાલતમાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે, આ સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે વિવિધ મુદાઓને લઇને ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડનો ઉધડો લઇ લેતાં જીપીસીબીનું ઉંઘતું તંત્ર એકાએક જાગ્યું છે અને ઘડી કંપનીને ૩૦ દિવસ સુધી પ્લાન્ટ બંધ રાખવાનો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આદેશ આપવામાં આવતાં લડત ચલાવી રહેલા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી છે, હાઇકોર્ટે કડક વલણ અખત્યાર કરતા જીપીસીબી પગલા લેવા માટે મજબુર થયો હોવાનો ઘાટ પણ સર્જાયો છે.
જયારથી કુરંગામાં ઘડી કંપની એટલે કે આરએસપીએલનો પ્લાન્ટ શરુ થયો ત્યારથી જ ખેડુતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, કંપનીને અનેક રજૂઆતો બાદ કોઇ પરીણામ નહીં આવતા આખરે ખેડુતો તરફથી બાલુભા પબુભા કેર દ્વારા ગુજરાત સરકાર સામે ઘડી કંપનીના મુદે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી, જેની તબકકાવાર સુનાવણીઓ ચાલતી હતી, આ દરમ્યાન ખેડુતો તરફથી ઘડી કંપની સાથે જીપીસીબીના વલણને લઇને સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં અને આ સમગ્ર મામલો હાઇકોર્ટ સમક્ષ મુકવામાં આવ્યા બાદ વડી અદાલતે ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડનો કહેવાય છે કે ઉઘડો લઇને નોટીસ ફટકારતા આખરે જીપીસીબીને જાગવું પડયું છે.
ખેડુતો અને આરએસપીએલ કંપની વચ્ચે ચાલી રહેલા વિવાદ અને કાનુની લડત અંતર્ગત મહત્વનો વણાંક આવ્યો અને તા.૧૨-૧-૨૦૨૪ના રોજ ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડના જામનગર યુનિટના હેડ એ.જે.પટેલ દ્વારા આરએસપીએલ લીમીટેડ એટલે કે ઘડી કંપનીને ટાંકીને કડક આદેશ આપવામાં આવ્યો છે, જેમાં એવો મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે કે, આરએસપીએલ ઘડી કંપનીના મુખ્ય પ્લાન્ટને ઓર્ડર મળ્યાના દિવસથી ૩૦ દિવસ સુધી બંધ રાખવો, આ ઉપરાંત જવાબદાર સતાવાળાઓને સિંગલ ફેઝ વિજ સપ્લાય પણ ૩૦ દિવસ સુધી રોકી દેવા આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ બોર્ડ દ્વારા આરએસપીએલ કંપની સામે અધિનીયમ ૧૯૭૪ અને કલમ ૩૧-એ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ૨૩-૧૧-૨૦૨૨ના રોજ દિશા પાલન કરવા માટેનો જે હુકમ કરવામાં આવ્યો છે તેની અલલવારી કરવી, બાકી કામો હાથ ધરવા અંદાજ સાથે ટીમ બાઉન્ડ એકશન પ્લાન સબમીટ કરવાનું સુચન કરવામાં આવ્યું છે.
બોર્ડ દ્વારા વધુમાં જણાવાયું છે કે, અંદાજીત ખર્ચના ઓછામાં ઓછા ૧૦ ટકા કવર કરતી બેંક ગેરેન્ટી સબમીટ કરવી, ૩૦ દિવસ સુધી ઔદ્યોગીક પ્લાન્ટની કામગીરી બંધ રાખવી જેની અમલવારી ઓર્ડર ઇસ્યુ થયાની ૩૦ દિવસની ગણવી, સંબંધીત સતાધિકારીને સિંગલ ફેઝ વિજળીનો પુરવઠો ડીસ્કનેકટ કરવાનો નિર્દેશ આપવો, પ્લાન્ટ કેપ્ટિવ પાવર પ્લાન્ટ અથવા ડીજી સેટ પર ચાલે છે તેમને રોકવો આ કાર્યવાહી થતાં દેવભુમિ દ્વારકા જિલ્લાના ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
દેવભુમી દ્વારકા જીલ્લાના, દ્વારકા તાલુકાના મોજે કુરંગા ગામે ચાલતી મહાકાય  (ઘડી) કંપની કે જે સોડા એસ ડીટર્ઝન્ટ અને અન્ય કેમીકલ ઉત્પાદન કરતી હોય, આ કંપની એરીયાની અંદર કુરંગાના ખાતેદાર ખેડુત બાલુભા પબુભા કેરની માલિકીની અનેક જમીનો આવેલ હોય, કંપની દ્વારા પ્લાન્ટના સંચાલન માટે દરીયામાંથી દૈનીક લાખો લીટર પાણી પ્રાપ્ત કરી, આ દરિયાના ખારા પાણીને ઉપયોગ લેવાયા બાદ વિશાળ ખુલ્લી કેનાલ મારફત ખુબ ગરમ અને દુરગંધ મારતા કેમીકલ યુક્ત ગરમ પાણીને દરીયામાં છોડવામાં આવતું હોય કંપની દ્વારા આ ઓપન કેનાલના કારણે અરજદારની જમીનોમાં કેમીકલ યુક્ત અને દુરગંધ મારતા ગરમ પાણી વારંવાર ફરીવળવાના કારણે તથા કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા કોલસા અને લાઈમસ્ટોન ના દળવાના કારણે ઉત્પન્ન થતી ડસ્ટના કારણે અરજદારની જમીનો બીનખેડવા પાત્ર અને જહેરીલી બની ગયેલ હોય, અરજદાર દ્વારા વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૩ સુધી અનેક વખત વારંવાર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રીઝયોનલ ઓફીસ જામનગર તથા ચેરમેન ગુજરાતને અરજ અહેવાલ કરેલ તથા અરજદાર દ્વારા પ્રદુષણ નીયંત્રણ બોર્ડ કેન્દ્ર સરકાર દીલ્હી સમક્ષ વારંવાર રજુઆતો કરેલ.
અરજદાર દ્વારા દરેક વખતે મામલતદાર દ્વારકા, પ્રાંત અધિકારીશ્રી દ્વારકા તથા કલેકટરશ્રી દ્વારકા સમક્ષ લેખીતમાં પુરાવા સાથે રજુવાતો કરેલ. અરજદારે આ રજુવાતોની તમામ નકલ સરકારશ્રીમાં પણ મોકલાવેલ. અરજદાર દ્વારા વર્ષ-૨૦૧૭ થી સતત થતી અરજીઓ અન્વયે પ્રદુષણ નીયંત્રણ બોર્ડ જામનગરના અધિકારીઓ સ્થળ ઉપર આવી વેરીફીકેશન કરતા અને સેમ્પલો કલેકશન કરી, કંપનીને માત્ર નોટીસો આપતા. પરંતું પ્રદુષણ નીયંત્રણ બોર્ડ દ્વારા ક્યારેય કંપની સામે ઠોસ કદમ ન ઉઠાવતા અરજદાર દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટે ચેરમેનશ્રી પ્રદુષણ નીયંત્રણ બોર્ડ ગુજરાતને સોગંદનામું રજુ કરવા તથા કંપની સામે લેવાયેલ એક્શનની વિગતો રજુ કરવા જણાવતા, પ્રદુષણ નીયંત્રણ બોર્ડ ગુજરાતના ગાંધીનગર ઓફીસની મોટી ટીમ સ્થળ ઉપર આવેલ.
આમ, અરજદાર બાલુભા પબુભા કેરની માલિકીની જમીનોમાં ઘડી કંપની દ્વારા કાયદાની પ્રક્રીયાઓનું ઉલ્લંઘન કરી ફેલાવાયેલ ભયંકર પ્રદુષણ અંગે નામદાર હાઈકોર્ટના કડક નીર્દેશબાદ પ્રદુષણ નીયંત્રણ બોર્ડ દ્વારા ઘડી કંપની સામે સખતાઈ લઈ ઘડીકંપનીનો ઈન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ ૩૦ દીવસ માટે બંધ કરવાનો તથા ઈલેકટ્રીસીટી સપ્લાઈ બંધ કરવાનો હુકમ કરેલ છે. અરજદાર ખેડુત બાલુભા પબુભા કેર તરફે એડવોકેટ ગિરીશ આર. ગોજીયા રોકાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application