રાજકોટમાં ધૂળેટી-જુમ્માને લઈ પોલીસ એલર્ટ, હેડ કવાર્ટરના કર્મીઓની રજા રદ, સંવેદનશીલ વિસ્તાર પર ખાસ નજર રહેશે, જાણો પોલીસનો એક્શન પ્લાન

  • March 12, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રંગોના પર્વ ધૂળેટી અને મુસ્લિમોના પવિત્ર રમઝાન માસમાં શુક્રવાર (જુમ્મો) બંને એકસાથે હોય જેથી આ સમયે કોઇ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ પોલીસ એલર્ટ બની છે. પોલીસ કમિશનર બ્રેજેશ કુમાર ઝા દ્વારા હેડકવાર્ટરના કર્મીઓની રજા રદ કરી દઇ તેમને બંદોબસ્તમાં રહેવા સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે હેડકવાર્ટરમાં થતી ઘૂળેટી પર્વની ઉજવણી જેમાં સીપી સહિતના અધિકારીઓ હાજર રહેતા હોય તે આ વખત થઇ શકશે નહીં. અધિકારીઓ અને પોલીસ કર્મીઓ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ઘૂળેટી પર્વ પર બંદોબસ્તમાં રહેશે.


આ વખત ધૂળેટી અને જુમ્મો બંને એક સાથે હોય ધૂળેટીના દિવસે હિન્દુ સમાજ રંગ લગાવી આનંદ અને ઉલ્લાસ સાથે રંગોના પર્વની ઉજવણી કરે છે.જયારે મુસ્લિમ બીરાદરો શુક્રવાર એટલે કે જુમ્માના દિવસે બપોરે ખાસ નમાજ અદા કરવા માટે મસ્જિદમાં જાય છે.તેમા પણ હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય જેમાં જુમ્માની નમાઝની વિશેષતા વધુ રહે છે .હિન્દુ-મુસ્લિમ બંને ધર્મના તહેવાર સાથે હોય જેથી કોઇ અનઇચ્છનીય ઘટના ન બને કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં મૂકાઇ નહીં તે માટે રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજયભરની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.


રાજકોટમાં કોમી એકતાનો માહોલ છે અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતા શાંતિપ્રીય રાજકોટમાં કોમી છમકલુ કયારેય જોવા મળ્યું નથી.તેમછતા ધૂળેટી અને જુમ્માનો દિવસ બંને એકસાથે હોય કોઇ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. હોળી ધુળેટી પર્વને લઈ પોલીસ કમિશનરે હેડ કવાર્ટરના કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. સાથોસાથ વર્ષોથી હેડ કવાર્ટરમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીગણ ધુળેટી પર્વની ઉજવણી કરતો હોય છે પરંતુ આ વખત સ્થિતિને ધ્યાને લઈ આ ઉજવણી પણ રદ કરી દેવામાં આવી છે. હેડ કવાર્ટરના કર્મચારીઓને હોળી-ધુળેટી પર્વમાં બંદોબસ્તમાં તૈનાત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.


આ ઉપરાંત હોળી- ધૂળેટી પર્વમાં અને તેમાં પણ ખાસ કરીને ધૂળેટીના દિવસે સવારથી સ્થાનિક પોલીસ ઉપરાંત એસ.ઓ.જી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગમાં રહેશે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ પોલીસ અધિકારીઓની નીગરાનીમાં શહેરભરની પોલીસ દ્વારા ધુળેટી પર્વના સતત પેટ્રોલીંગ આવશે. જેમાં ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.


બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક
ધુળેટી પર્વ અને જુમ્માની નમાઝને લઈ કોઈ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી દ્વારા પોતાના વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનોને બોલાવી તેમની સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં બંને સમાજના આગેવાનોને શહેરની શાંતિ ન ડહોળાય તે માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા છે.


સોશિયલ મીડિયા એક્ટિવિટી પર સાઇબર ટીમની બાજ નજર રહેશે
તહેવાર દરમિયાન સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવતા મેસેજ કરી માહોલ બગાડવાનો પ્રયત્ન કરનાર સામે તાકીદે કાર્યવાહી કરવા માટે સાઇબર ક્રાઇમ પોલીસની ટીમ પણ સતત એલર્ટ રહેશે. અત્યારથી જ સાયબર ક્રાઇમિટી દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં શહેરની શાંતિનો ભંગ થાય તેવા મેસેજ ન કરે તે માટે પોલીસ દ્વારા શહેરીજનોને ખાસ અપીલ પણ કરવામાં આવી છે.


ધોરાજી, જેતપુર, ગોંડલ અને પડધરીમાં ચુસ્ત બંદોબસ્ત રહેશે: એસપી હિમકરસિંહ
રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, ધુળેટી પર્વ અને જુમ્માની નમાઝ બંને સાથે હોય આ સમય દરમિયાન રાજકોટ જિલ્લામાં કોઈ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં જેતપુર, ગોંડલ, ધોરાજી અને પડધરી સહિતના વિસ્તારો સંવેદનશીલ હોય ત્યાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. આ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓની રાહબરીમાં જિલ્લાભરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. તહેવારની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તૈયારી કરી લેવામાં આવી હોવાનું એસપી હિમકરસિંહે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application