લોકોનો કોંગ્રેસ પર વધ્યો વિશ્વાસ,આ 3 બાબતે ભાજપને શીખવ્યા પાઠ

  • June 06, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ લોકસભણી ચૂંટણીમાં દરેક પક્ષ દ્વારા સારી એવી મહેનત કરવામાં આવી હતી અને તેનું પરિણામ પણ તેમણે મળ્યું છે. લોકોના પ્રશ્નોને તેમણે જાણવા-સમજવાનો પ્રયાસ કર્યો છે માટે લોકોએ તેમને મત આપીને વિજયી બનાવ્યા છે. આમાંનો એક પક્ષ કોંગ્રેસ છે જેને સારી એવી સફળતા મળી છે પરંતુ આગામી દિવસોમાં કોંગ્રેસે પોતાના મતવિસ્તાર અને તેના લોકોના જે સમસ્યા કે પ્રશ્નો છે તેના પર ધ્યાન આપવું પડશે. લોકોએ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, પરંતુ 543 બેઠક ધરાવતી લોકસભામાં 100 સીટ મેળવીને સત્તા મેળવી શકાતી નથી. હા,વિપક્ષ તરીકે ઉભા રહીને લોકોના પ્રશ્નો બધાની સામે લાવવામાં મદદ જરૂર કરી શકાય છે. સત્તાનો મજબૂત દાવો કરવા માટે કોંગ્રેસે આગામી ચૂંટણીમાં 200 બેઠકો સુધી પહોંચવું પડશે. ઉત્તર પ્રદેશમાં જીને ગઢ ગણાતી રાયબરેલી અને અમેઠી બેઠકો પર રાહુલ અને પ્રિયંકા ગાંધીની જોડીએ જે કામ કર્યું છે તેને ચમત્કાર જ કહી શકાય.


ઉત્તર પ્રદેશ કે  જ્યાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સાથે રાહુલનું આગમન રાજકીય વિશ્વાસનો પાયો નાખવામાં મદદરૂપ થયું. આ ચૂંટણી હરીફાઈમાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સાથે એક પ્રાદેશિક પક્ષ સમાજવાદી પાર્ટીએ ભાજપની સરકારને સીધો પડકાર આપ્યો છે. તેણે રાહુલ ગાંધી સાથે રહીને સાવ સામાન્ય સ્તરે રહીને સખત મહેનત કરી હતી. ખાસ કરીને દલિત વર્ગ અને ઉચ્ચ વર્ગમાં પણ સપા સામેના પૂર્વગ્રહની અસર ઓછી થઇ હતી.

રાહુલ અને અખિલેશની જોડીએ ગરીબનો અવાજ ઉઠાવતી જોવા મળી હતી. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો  અહીં કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના ગઠબંધનએ ચૂંટણીમાં તેમની રાજકીય દલીલ આગળ ધપાવી હતી. મહારાષ્ટ્રના સન્માન, મરાઠા આરક્ષણ, ખેતીમાં નુકસાન અને યુવાનોમાં બેરોજગારીની ચિંતાના મુદ્દાઓ સાથે તેમની ચૂંટણી લડી હતી અને ભાજપ, શિંદે અને અજિત પવારના જોડાણને માત આપી હતી.


રાજસ્થાન અને હરિયાણામાં પણ કોંગ્રેસે ભાજપ પાસેથી ઘણી બેઠકો છીનવી લીધી છે. અહીં પશ્ચિમ બંગાળમાં પણ પ્રાદેશિક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી ભાજપને પડકાર આપતા રહ્યા. ખાસ કરીને મહિલા મતદારોનો મમતા પ્રત્યે જબરદસ્ત વિશ્વાસ જોવા મળ્યો છે. ત્યારે દક્ષિણમાં તમિલનાડુ અને કેરળમાં બિન-ભાજપ રાજકીય માળખું રહ્યું. સ્ટાલિનના નેતૃત્વમાં તમિલનાડુમાં ડીએમકે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. કેરળમાં યુડીએફનો ઝંડો ફરકી રહ્યો છે.


આંધ્રપ્રદેશમાં જે પરિણામો આવ્યા તેનાથી બધા ચકરાવે ચડ્યા છે.જ્યાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને તેના સહયોગીઓ પવન કલ્યાણ અને ભાજપે જગનમોહન રેડ્ડીની પ્રાદેશિક પાર્ટી YSRCPને હટાવીને સારું પ્રદર્શન કર્યું છે. ચંદ્રાબાબુ નાયડુ આગામી દિવસોમાં કેન્દ્ર સરકારમાં મોટુ પદ મેળવશે. આ ચૂંટણીના પરિણામોએ આવી અનેક રાજકીય ગેરમાન્યતાઓને તોડી પાડી છે, જેને રાજકીય તથ્યો અને નિયમો તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સૌ પ્રથમ તો એ વાત ખોટી સાબિત થઈ છે કે કોઈપણ પ્રાદેશિક પક્ષ ભાજપને હરાવી શકે તેમ નથી. બીજું બધાને આવું હતું કે આ ચહેરાના રાજકારણનો યુગ છે, નરેન્દ્ર મોદીના ચહેરને કારણે ચૂંટણી જીતી જવાશે કે કોઈ પ્રખ્યાત ચહેરો ન હોય તો  ચૂંટણી જીતી શકાતી નથી એવી ગેરસમજ પણ ખોટી સાબિત થઈ છે.


ત્રીજી વાત એ છે કે લોકોમાં અસમાનતા સર્જાવી એ કોઈ રાજકીય વાત નથી. આ વાતનું સખત ખંડન કરવામાં આવ્યું છે. ભારતમાં વધી રહેલી આર્થિક અને સામાજિક અસમાનતા સામે પછાત વર્ગોનો આ એક પ્રકારનો મૌન બળવો પણ છે. આ સાથે યુવાનો, ખાસ કરીને ગરીબ યુવાનો એવા ભવિષ્યની કલ્પના કરે છે જેમાં તેમને અધિકારો હોય અને સરકારી નોકરીની પણ અપેક્ષા હોય. એકંદરે  જનતાએ પોતાનો અવાજ મત આપીને સરકારને સંભળાવ્યો છે. કારણ કે ભાજપ સૌથી મોટો પક્ષ છે, ભારતમાં ક્યાંકને ક્યાંકથી મોટી સંખ્યામાં મતદારોએ નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે પરંતુ અવાજ ઉઠાવવો એ લોકશાહીનું કામ છે અને ભારતની લોકશાહીએ વિશ્વની લોકશાહી પ્રક્રિયાઓને મજબૂત બનાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application