જામનગરમાં વ્યાજની રકમ ચુકવી દેવા છતા પઠાણી ઉઘરાણી

  • March 23, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરા ચેકમાં વધુ રકમ ભરી નેગોશીએબલનો કેસ કર્યો : નાનકપુરીના શખ્સ સામે ફરીયાદ

જામનગરના પવનચકકી પાસે રહેતા યુવાને વ્યાજે લીધેલી રકમ ચુકવી આપેલ હોવા છતા પઠાણી ઉઘરાણી કરી ધમકી દઇ કોરા ચેકમાં વધુ રકમ ભરીને ચેક રીટર્નનો કેસ કર્યાની નાનકપુરીના શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. ફરી એકવાર વ્યાજખોરોની દાદાગીરી સામે આવી છે અને બે દિવસ દરમ્યાન બે ફરીયાદ નોંધાઇ ચુકી છે.
જામનગરના રણજીતસાગર રોડ પવનચકકી નજીક હિંગળાજ ચોકમાં રહેતા સચિન પ્રવિણભાઇ નંદા (ઉ.વ.૩૦) નામના વેપારી યુવાને નાનકપુરીના મોહીત પાસેથી રુા. ૨.૨૫ લાખ માસીક ૫ ટકા વ્યાજે લીધા હતા અને તેના બદલામાં તેમણે આરોપીને અત્યાર સુધી કુલ ૨.૪૦ લાખ ચુકવી આપ્યા હતા તેમ છતા આરોપીએ ફરીયાદી પાસેથી મુદલ રકમ તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી.
વ્યાજની પઠાણી ઉઘરાણી કરી અપશબ્દો બોલી માર મારવાની ધમકી દીધી હતી, તેમજ સચિન પાસેથી બળજબરી પુર્વક સહીવાળો કોરો ચેક લઇ તેમા રુા. ૫.૬૫ લાખની રકમ ભરી ચેક રીટર્નનો નેગોસીએબલનો કેશ કરી ગુનો કર્યો હતો.
દરમ્યાનમાં સચિન નંદા દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં જામનગરના નાનકપુરીમાં આવેલ રામનાથ કોલોનીમાં રહેતા મોહીત સુભાષ નંદાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૧) તથા મનીલેન્ડર્સ એકટ મુજબ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ બુડાસણા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરમાં થોડો સમય વ્યાજખોરો શાંત રહયા બાદ વધુ એક ફરીયાદ ગઇકાલે જામજોધપુર ખાતે નોંધાઇ હતી જેમાં યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસુલનાર ચાર સામે એટ્રોસીટી અને મનીલેન્ડર્સ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી દરમ્યાન જામનગરમાં વધુ એક મામલો પોલીસમાં પહોચ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application