બાળકોની ભૂલની સજા ભોગવવી પડશે માતા-પિતાએ, થઇ શકે છે 3 વર્ષની જેલ

  • May 22, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે માતા-પિતાએ બાળકોને કારની ચાવી આપવી તેમના માટે મુશ્કેલી બની શકે છે. કારણ કે જો વાહન સાથે કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી માતા-પિતાની જ રહેશે. તેથી જ વાહનની ચાવીઓ કાળજીપૂર્વક રાખો અને બાળકોને સમજી-વિચારીને આવી છૂટ આપો, કારણ કે મોટર વ્હીકલ એક્ટના નિયમો ખૂબ કડક છે, જેમાંથી છટકી શકશો નહીં. પુણેમાં એક લક્ઝરી પોર્શ કારમાં સગીરને સંડોવતા અકસ્માતે ફરી એકવાર આવી ઘટનાના કિસ્સામાં માતા-પિતા, વાલીઓ અથવા વાહન માલિકની જવાબદારી ચર્ચામાં લાવી દીધી છે.


મોટર વ્હીકલ એક્ટ શું કહે છે?


મોટર વ્હીકલ એક્ટમાં નાના ગુનેગારો માટે અલગ સેક્શન છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આવા કેસમાં માતા-પિતા અથવા વાહનમાલિકો દોષિત ગણાશે. આવા કિસ્સાઓમાં  તેમને ત્રણ વર્ષની જેલની સજા અને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે. સગીર બાળકોના વાહન ચલાવવાના વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને મોટર વ્હીકલ એક્ટમાં આ જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવ્યું છે કે જો માતા-પિતા, વાલી અથવા માલિક સાબિત કરી શકે કે ગુનો તેમની જાણ વગર થયો હતો. અથવા જો તેણે આવા ગુનાને રોકવા માટે તમામ વાજબી પગલાં લીધા હોય, તો જ તેને આવા ગુના માટે દોષિત ઠેરવી શકાય નહીં. કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવા કેસોની સુનાવણી કરતી કોર્ટ માની લેશે કે સગીરે વાહનનો ઉપયોગ વાલી કે માલિકની સંમતિથી કર્યો છે.


મોટર વ્હીકલ એક્ટ મુજબ, કોઈપણ અકસ્માત કે ગુનામાં સામેલ સગીર દ્વારા ઉપયોગમાં લેવાયેલા  વાહનનું રજીસ્ટ્રેશન પણ એક વર્ષ માટે રદ કરવામાં આવશે. આ અધિનિયમમાં પૂરતી જોગવાઈઓ છે, જેના કારણે જે વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ નથી તેને વાહન આપવા માટે મોટર વાહનના માલિક જવાબદાર રહેશે.


આઠ વર્ષ પહેલાં દિલ્હીમાં એક સગીર દ્વારા સ્પીડિંગ મર્સિડીઝના કારણે સિદ્ધાર્થ શર્મા કચડાઈને મૃત્યુ પામ્યો હતો. તેની બહેન શિલ્પા મિટ્ટા કહે છે કે આવા કિસ્સાઓમાં માતા-પિતા કે વાલીઓ, અધિકારીઓ સહિત ઘણા લોકો ગુનામાં સામેલ હોય છે. તેણે કહ્યું કે અમે છેલ્લા આઠ વર્ષથી મારા ભાઈનો કેસ લડી રહ્યા છીએ અને હજુ સુધી કોઈ અસરકારક ટ્રાયલ નથી થઈ કારણ કે મોટાભાગના અમીરોને લાગે છે કે તેઓ પૈસા આપીને બધું ખરીદી શકે છે.

પુત્રએ પોર્શ વડે 2ની હત્યા કરી, પિતાની ધરપકડ


રવિવારે રાત્રે પૂણેના બિલ્ડરના નશામાં ધૂત સગીર પુત્રએ પોતાની લક્ઝરી પોર્શ કાર સાથે રોડ પર જઈ રહેલી બાઇકને કચડી નાખી હતી. આ ઘટનામાં બાઇક સવાર અનીશ અને અશ્વિનીનું મોત નીપજ્યું હતું, બંને મધ્યપ્રદેશના રહેવાસી હતા અને વ્યવસાયે આઇટી એન્જિનિયર હતા. આ કેસમાં માત્ર 15 કલાકમાં જ જુવેનાઈલ કોર્ટે આરોપીને 300 શબ્દોનો નિબંધ લખવા અને ટ્રાફિક પોલીસ સાથે કામ કરવા સહિત અન્ય કેટલીક શરતો સાથે જામીન મંજૂર કર્યા હતા.


આ પછી સવાલો થવા લાગ્યા કે શું આરોપીને જામીન મળવા યોગ્ય છે? જો કે પોલીસ હવે આ કેસમાં કડક સજાની માંગ કરી રહી છે. આ માટે તેણે સેશન્સ કોર્ટમાં અરજી પણ કરી છે. સગીરના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. છોકરાએ એ પણ કબૂલ્યું હતું કે તે દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતો હતો. સાથે જ મોટર વ્હીકલ એક્ટના નિયમો પણ ઘણા કડક છે. તેથી બાળકોને વાહન આપતા પહેલા સાવચેત રહો, નહીંતર જેલના સળિયા પાછળ જવું પડી શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application