જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને પ્રિમોન્સૂન કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

  • May 14, 2024 05:34 PM 

જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને પ્રિમોન્સૂન કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

જામનગર તા.14 મે, જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષાઋતુ-2024 પ્રિ-મોનસુન કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે, ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ તકેદારીના પગલાં, નાગરિકોને માર્ગદર્શન તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગે કાર્યવાહી વગેરે બાબતોનું સુચારુ આયોજન કરવામાં આવતું હોય છે. જેને ધ્યાનમાં રાખતા સમગ્ર જામનગર જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત તમામ તાલુકા સ્તરે લાયઝન અધિકારીશ્રીની નિમણુંક કરવામાં આવી છે. 

સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વાવાઝોડા અને અતિવૃષ્ટિ દરમિયાન બચાવ અને રાહત કામગીરી, જર્જરિત મકાનો અને મિલ્કતોનું રીપેરીંગ, તળાવોની સફાઈ, વિવિધ વોકળા- નદીપટની સફાઈ, વોર્ડ કે તાલુકા અનુસાર રેસ્ક્યુ ટીમ બનાવવી, અગમચેતીના સંદેશા પહોંચાડવા માટેની નેટવર્કિંગ સિસ્ટમ, કંટ્રોલ રૂમમાં ફરજ સોંપણીના હુકમ તૈયાર કરવા, એન.એન.સી. અને એન.એસ.એસ. ટીમની યાદી, દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોની યાદી, અગરિયા, તરવૈયા, આપદામિત્રોની યાદી, શ્રમિકો, માછીમારોની યાદી, સ્થળાંતર માટેના વાહનો અને આશ્રય સ્થળોની વ્યવસ્થા, પીવાનું પાણી, હેન્ડ સેનિટાઈઝર, દવાની વ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, પશુઓ માટે રસીકરણ અને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા, જુના રોડ-રસ્તાનું રીપેરીંગ વગેરે અગત્યના મુદ્દાઓ પર વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. 

આ ઉપરાંત, ડેમ-કેનાલના દરવાજાની ચકાસણી અને સફાઈ, જરૂરી સ્થળો પર વાયરલેસ નેટવર્ક ગોઠવવા, તાલુકા કક્ષાએ 24*7 કંટ્રોલ યુનિટ સેટઅપ, કોઝવે પર સાઈન માર્ક કરવા, વૈકલ્પિક રસ્તાઓની યાદી, વીજળીના તૂટેલા તાર, જોખમી વીજ પોલ નિકાલની કામગીરી, અનાજ પુરવઠાની જાળવણી, આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલોમાં સાધનો, દવાઓ, રસીનો પૂરતો સ્ટોક પહોંચાડવા, સગર્ભા, વૃદ્ધોને તાત્કાલિક સારવાર અપાવવી, પીવાના પાણીનું નિયમિત કલોરિનેશન, રોગચાળો ફેલાતો અટકાવવા જંતુનાશક દવાઓના જથ્થા, પશુઓનું રસીકરણ કરવું, જંતુનાશક દવાનો છંટકાવ કરવો, જિલ્લા કંટ્રોલ રૂમ સાથે તમામ વિભાગોનું સંકલન બની રહે, વીજશોક ટાળવા માટેની કામગીરી, જનરેટર ઈન્વર્ટરની વ્યવસ્થા, અસરગ્રસ્તોને ખસેડવા માટે વાહનની વ્યવસ્થા, વાવઝોડા અને અતિવૃષ્ટિ દરમિયાન સાવચેતીના સંદેશાની બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર અને ખેડૂતોને સમયસર માહિતી મળે- આમ તમામ એ ટુ ઝેડ મુદ્દાઓ પર જિલ્લા કલેકટરશ્રીએ ચર્ચા કરી હતી અને પ્રિ મોન્સૂન અને પોસ્ટ મોનસૂન કામગીરીમાં કોઈપણ રીતે કચાસ ના રહે, કોઈ જાનહાનિ ના થાય તે માટે સર્વે કર્મયોગીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  
         
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, અધિકારીગણ તથા અન્ય કર્મચારીગણ હાજર રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application