10 ટકા તેલ ઓછું ખાજો, 2050માં દર ત્રણ વ્યકિતએ એક મેદસ્વિતાનો શિકાર હશેઃ PM નરેન્દ્ર મોદી

  • March 07, 2025 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


PM મોદી આજે 7 માર્ચથી બે દિવસીય ગુજરાત અને સંઘપ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે. સેલવાસમાં નમો હોસ્પિટલ સહિતના રૂ. 2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાને જાહેરસભાને સંબોધિત કરી હતી. સંઘપ્રેદશનો સિંગાપોરની માફક વિકાસ થાય તે માટે લોકોને સાથે રહેવા અપીલ કરી હતી અને વડાપ્રધાને પણ સાથે રહેવાની તૈયારી બતાવી હતી. જ્યારે મેદસ્વિતાને લઈ પણ ચિંતા વ્યકત કરતા કહ્યું હતું કે, એક રિપોર્ટ મુજબ 2050માં ભારતમાં 40 કરોડ લોકો મેદસ્વિતાનો શિકાર હશે. તેનાથી થનારી ગંભીર બમારીઓથી બચવા માટે લોકોને ખાદ્યતેલમાં 10 ટકાનો ઘટાડો કરવાની અપીલ કરી હતી.


મોટાપા અંગે વડાપ્રધાને ચિંતા વ્યકત કરી
વડાપ્રધાને કહ્યું કે, મોટાપા અનેક બીમારીનું કારણ બન્યો છે. હાલમાં મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીય મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે. આ આંકડો ડરામણો છે. તેનો મતલબ છે. દર ત્રણમાંથી એક વ્યકિત ઓબેસિટીના કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે. મોટાપા જીવલેણ બની શકે છે. દરેક પરિવારમાં એક વ્યકિત ઓબેસિટીનો શિકાર હશે. આ કેટલું મોટું સંકટ હશે. આપણે અત્યારથી આવી સ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો જોઈશે.


સંઘપ્રદેશનો સિંગાપોરની માફક વિકાસ કરવાની વાત કરી
સિંગાપોર જતા હશો. સિંગાપોર એક જમાનામાં માછીમારોનું નાનું ગામ હતું. ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોની સંકલ્પ શક્તિએ સિંગાપોર બનાવી દીધું. જો સંઘપ્રદેશ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઉભો રહેવા તૈયાર છું. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશ નથી. આ સંઘપ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે. અમે આ પ્રદેશને એક એવું મોડલ સ્ટેટ બનાવી રહ્યા છીએ જે તેનો સમગ્ર વિકાસ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ઓળખાય.

   
કેમ છો બધા? કહીં વડાપ્રધાને સંબોધનની શરૂઆત કરી
સેલવાસામાં જાહેરસભાને સંબોધતા પહેલા વડાપ્રધાને પ્રશાસકનો આભાર માન્યો હતો અને લોકોને ગુજરાતીમાં કેમ છો બધા? કહી ખબર અંતર પૂછ્યા હતા.

સેલવાસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સુરત જવા રવાના થયા છે. અહીં રોડ-શો યોજી લોકોનું અભિવાદન ઝીલશે ત્યારબાદ નીલગીરી મેદાનમાં આયોજીત કાર્યક્રમાં હાજરી આપી જાહેરસભાને સંબોધશે. તેમને આવકારવા માટે સુરત શહેર થનગની રહ્યું છે અને નવા રંગરૂપ પણ ધારણ કરી લીધા છે. નીલગીરી મેદાનમાં આયોજીત જાહેરસભાના સ્થળ પર અને રોડ શોના રૂટ પર અત્યારથી જ ભારે જનમેદની ઉમટી પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application