જામ્યુકોના તા.૧૯ના બોર્ડના બજેટમાં વિરોધપક્ષ કયાં મુદે કરશે વિરોધ?

  • February 15, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશુ અને કુતરા કરડવાના પ્રશ્ર્ને વિપક્ષી સભ્યોનું મૌન લોકોને પણ અકળાવે છે: ભૂગર્ભ ગટર, લાઇટ સહિતના પ્રશ્ર્નો ઉપર વિપક્ષે તડાપીટ બોલાવવી જોઇએ તેવો લોકમત

આગામી લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં લઇને જામનગર મહાનગરપાલિકાનું રુા.૧૩૬૮ કરોડનું કરવેરા વિનાનું વિકાસલક્ષી બજેટ સ્ટે.કમિટીએ રજૂ કરીને આંબા આંબલી બતાવ્યા છે, ત્યારે વિપક્ષની પણ ફરજ એ છે કે જામ્યુકોના બજેટમાં ભલે વેરા નથી પરંતુ શહેરના વિકાસ કામો કરવા માટે કયાં-કયાં જરુરીયાત છે, એટલું જ નહીં પશુ અને કુતરા કરડવાના પ્રશ્ર્નોથી પ્રજા ખુબ જ ડરી ગઇ છે, કુતરાની ખસીકરણની કામગીરી કરવામાં આવી નથી. આ ઉપરાંત ભૂગર્ભ ગટર અને કેટલાક વિસ્તારોમાં રસ્તા અને લાઇટના પ્રશ્ર્નો પણ તથા અનેક પ્રશ્ર્નો સળગતા રહ્યા છે, શહેરની સુભાષ માર્કેટ છ થી સાત બજેટમાં શાસકો વિકસાવવાની વાત કરી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષે હવે પોતાની જવાબદારી સમજીને બજેટની બેઠકમાં પ્રશ્ર્નો ઉકેલવા જોઇએ.
જામનગર મહાપાલિકાના કમિશ્નર ડી.એન.મોદીએ બજેટ રજૂ કર્યા બાદ સ્ટે.કમિટીએ રુા.૧૨૫ કરોડના સુધારા-વધારા કરીને સ્ટે.કમિટીએ બજેટ પાસ કરીને જનરલ બોર્ડમાં ભલામણ સાથે મોકલ્યું છે અને તા.૧૯ના રોજ બપોરે ચેમ્બર હોલ ખાતે જામ્યુકોનું ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ થશે જે બહુમતીથી મંજુર થઇ જશે.
જામનગર શહેરમાં એવરેજ ૪૦ થી ૪૫ લોકોને દરરોજ કુતરા બાઇટ કરે છે, તેમના ખસીકરણ માટે તાત્કાલીક રુા.૫૦ લાખની જોગવાઇ પણ કરી છે, પરંતુ આ કામગીરી કયાં થઇ ? કેટલે પહોંચી ? તે અંગે કોઇ સતાવાર માહિતી બહાર પાડવામાં આવતી નથી, લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે, દિવસ અને રાત્રે ગલી-ગલીએ કુતરાઓનો ત્રાસ વધી ગયો છે, આ પ્રશ્ર્ને વિરોધ પક્ષે જોઇએ તેટલો વિરોધ કરવો જોઇએ તેટલો કર્યો નથી.
આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી જામ્યુકોમાં વિરોધ પક્ષનું જાણે કે અસ્તિત્વ જ ન હોય એવું લાગી રહ્યું છે, કોઇપણ પ્રશ્ર્નો ઉઠાવાતા નથી, લોકો પશુઓના ત્રાસથી પીડાઇ રહ્યા છે, પરંતુ આવા પ્રશ્ર્નો ઉઠાવવામાં કોંગ્રેસ અને બસપાના સભ્યો કોઇ ઉકાળી શકયા નથી તેમ લોકો કહી રહ્યા છે. શહેરના જાહેર રસ્તા ઉપર પશુઓને પકડવાની કામગીરી જે રીતે વેગવાન બનવી જોઇએ તે બનતી નથી અને લોકો ખરેખર કંટાળી ગયા છે. કેટલાક નવા વિસ્તારોમાં હજુ સુવિધા પણ મળી નથી અને લોકો વેરા ભરતા હોવા છતાં સુવિધા મળતી નથી અને આ અંગે પણ વિરોધ પક્ષે વિરોધ કરવાની જરુર છે.
શહેરના કેટલાક વિકાસ કાર્યો અધુરા રહેલા છે, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સુભાષ શાક માર્કેટ, સાયન્સ સીટી ભવન, ક્રિકેટ રસીકો માટે મેદાન, ટાગોર હોલ, સહિતના કેટલાક મોટા પ્રોજેકટો દર વખતે બજેટમાં દર્શાવવામાં આવે છે પરંતુ તેની અમલવારી થતી નથી તો બજેટમાં દર્શાવાય છે છતાં પણ વિરોધ પક્ષ આ મુદે શા માટે ચૂપ છે ? શાસક દ્વારા અનેક નવા પ્રોજેકટો બજેટમાં મુકીને બજેટને જાનદાર બનાવીને પ્રયત્ન કરાય છે, ગયા વખતે પ્રથમ વખત ૧ હજાર કરોડથી વધુ રકમનું બજેટ જામનગરના ઇતિહાસમાં રજૂ થયું હતું, આ વખતે રુા.૧૩૬૮ કરોડનું ચૂંટણીલક્ષી ફુલગુલાબી બજેટ સ્ટે.કમિટીએ મંજુર કર્યુ છે અને તા.૧૯ના રોજ મળનારી જનરલ બોર્ડની બજેટની વિશેષ બેઠકમાં નવું બજેટ પણ બહુમતીના આધારે પાસ થઇ જશે, ત્યારે વિપક્ષી સભ્યો કેવું વલણ અપનાવે છે તેના ઉપર સૌની નજર છે.
જામ્યુકોના આ નવા બજેટમાં વિપક્ષી સભ્યોએ પણ પોતાની ફરજ સમજીને બજેટની બેઠકમાં સાચો વિરોધ કરીને લોકોની સમસ્યા ઝડપથી ઉકેલાય તેવા પ્રયત્નો કરવા જોઇએ. નવા ભળેલા વિસ્તારોમાં કેટલીક આનુસાંગીક સેવાઓ હજુ સુધી થઇ નથી, કયાંક કાચબાની ગતિએ કામ ચાલી રહ્યું છે, જે બજેટમાં વિકાસ કામો દર્શાવાયા છે તે કામો ઝડપથી શરુ થાય તે પણ જરુરી છે, શાસક પક્ષ ૪ વર્ષથી જનરલ બોર્ડનું બિલ્ડીંગ ઝડપથી બનાવીશું તેવી વાતો કરી રહ્યા છે અને હજુ માંડ-માંડ આ બિલ્ડીંગ અડધુ બન્યું છે, ટુંકમાં આ બજેટમાં કોઇ ખાસ વેરા નથી, રિવરફ્રન્ટની મોટી યોજના આવી રહી છે, તે યોજના પણ ઝડપથી થાય અને સરકારમાંથી ઝડપથી આ પ્રોેજેકટની ગ્રાન્ટ મળે તેવા પ્રયત્નો થવા જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application