બોટાદના હડદડમાં વૃધ્ધની હત્યા

  • June 21, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોટાદ તાલુકાના હડદડ ગામે રહેતા પિતા-પુત્ર પર 10 દિવસ પૂર્વે અહીં ગામ નજીક જ ગામમાં રહેતા સહિત છ શખસોએ કાર તેના બાઇક સાથે અથડાવી બંનેને પછાડી દઇ બાદમાં લાકડી-પાઇપ અને કુહાડી વડે હુમલો કર્યો હતો. જેમાં પિતા-પુત્ર બંનેને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. અહીં તેમનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. આરોપી બાઈકને લીવર મારી અવાજ કરતો હોય હોય જે બાબતે યુવાને ઠપકો આપ્યો હોય તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે વૃધ્ધના પુત્રની ફરિયાદ પરથી પાળીયાદ પોલીસે 6 શખસો સામે ગુનો નોંધ્યો હતો હવે આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે.

હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, બોટાદ તાલુકાના હડદડ ગામે શિરવાણીયા રોડ પર રહેતા જીલુભાઈ આપાભાઈ ખાચર (ઉ.વ 80) અને તેનો પુત્ર રામકુ ખાચર (ઉ.વ 38) બંને ગત તારીખ 11-6 ના સવારના આઠેક વાગ્યા આસપાસ બાઈક લઇ વાડીએ આટો મારવા ગયા હતા. બાદમાં ત્યાંથી પરત આવતા હતા ત્યાર  હડદડ ગામ નજીક ચામુંડા લોજ પાસે પહોંચતા કાળીયાડ ચોકડી નજીક એક ફોરવીલમાં બે અજાણ્યા શખસો તથા તેની પાછળ બે બાઈકમાં રાજુ અનકભાઇ ખાચર, સજવીર શિવકુ ખાચર, યોગીરાજ રણજીત ખાચર અને અજાણ્યો શખસ સહિતનાઓ પાઇપ, કુહાડી અને લાકડી સહિતના હથિયાર સાથે અહીં ધસી આવ્યા હતા. તેમણે આ કાર રામકુ ખાચરના બાઈક સાથે અથડાવતા પિતા-પુત્ર બને નીચે પટકાયા હતા. બાદમાં આ શકખોએ પિતા-પુત્ર બંને પર હથિયાર વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પિતા-પુત્ર બંનેને ઈજા પહોંચતા તેમને પ્રથમ સારવાર માટે બોટાદ બાદમાં વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રામકુ ખાચરને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયા હોવાનું માનવું પડ્યું હતું જયારે તેના પિતા જીલુભાઈ ખાચરને કપાળ ઉપર કુહાડીના બે થી ચાર ઘા મારવામાં આવ્યા હોય તેઓને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને ફરી બોટાદ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન ગઈકાલ રાત્રિના તેમનું મોત થતાં બનાવ હત્યામાં પલટાવ્યો હતો.

હત્યાનો ભોગ બનનાર જીલુભાઈ પાંચ ભાઇ ત્રણ બહેનના પરિવારમાં મોટા હતા તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. બનાવને લઈ જે તે સમયે જીલુભાઈના પુત્ર રામકુ ખાચરે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં હડદડ ગામના જ રાજુ અનકભાઈ ખાચર, સજવીર શિવકુભાઈ ખાચર, યોગીરાજ રણજીતભાઈ ખાચર અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, બનાવના બે દિવસ પહેલા આરોપી મોટર સાયકલ ગજવતો હોય જેથી આ બાબતે તેને ઠપકો આપતા તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે જે તે સમયે મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં હવે આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application