રાજકોટમાં ૧૧૫૩ ભયગ્રસ્ત મિલકતોને નોટિસ ફટકારાઈ

  • May 21, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજયમાં પ્રિ–મોન્સૂન પ્લાન હેઠળની કાર્યવાહી અંતર્ગત તાજેતરમાં મુખ્ય સચિવ અને શહેરી વિકાસ સચિવે રાયમાં ભયગ્રસ્ત મિલકતો અંગેની સમીક્ષા કરી હતી જેમાં ભયગ્રસ્ત મિલકતોની સંખ્યા, હાલ સુધીમાં કેટલી નોટિસો અપાઇ વિગેરે બાબતોની સમીક્ષા કરાઇ હોવાનું જાણવા મળે છે. દરમિયાન રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં હાલ સુધીમાં ૧૧૫૩ ભયગ્રસ્ત મિલ્કતોને નોટિસ ફટકારાઇ છે જેમાં ઇસ્ટ ઝોનમાં ૭૫૦, વેસ્ટ ઝોનમાં ૧૪૩ અને સેન્ટ્રલ ઝોનમાં ૨૬૦ સહિત કુલ ૧૧૫૩ મિલકતોનો સમાવેશ થાય છે. અલબત્ત હાલ પણ નોટિસ આપવાની કાર્યવાહી ચાલું હોવાનું જાણવા મળે છે.

ઇસ્ટ ઝોનના સિટી ઇજનેરએ જણાવ્યું હતું કે ઉપલકાંઠા વિસ્તારમાં ૭૫૦ જેટલી ભયગ્રસ્ત મિલકતો છે જેમાંથી ૭૦૦ જેટલી મિલકતો તો વોર્ડ નં.૬માં દૂધસાગર રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટર્સ છે. નોટિસ બાદ અમુકએ રિપેરિંગ કરાવ્યું પણ છે, તેમ છતાં હજુ રિપેર કરાવ્યા ન હોય તેઓના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની ચીમકી અપાઇ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટર્સ ધારકોને હાઉસિંગ બોર્ડ સાથે પત્ર વ્યવહાર કરી રી–ડેવલપમેન્ટ પ્રોજેકટ તૈયાર કરી નવા કવાર્ટર્સ બનાવવા સૂચન કરાયું છે અને તે માટે મહાપાલિકાએ પત્ર વ્યવહાર કરવા તેમજ મધ્યસ્થી કરવા પણ તૈયારી દર્શાવી છે.

વેસ્ટ ઝોનના સિટી ઇજનેરએ જણાવ્યું હતું કે, ગત વર્ષે મણિયાર કવાર્ટર્સનું ડિમોલિશન કરી ત્યાં આગળ રી–ડેવલપમેન્ટ પ્રોજેકટ મુકાયા પછી વેસ્ટ ઝોનમાં ભયગ્રસ્ત મિલકતોની સંખ્યા ઓછી થઇ છે તેમ છતાં રૈયા રોડ ઉપરના વૈશાલીનગર, કાલાવડ રોડ ઉપરના જગન્નાથ પ્લોટ, યુનિવર્સીટી રોડ ઉપરના આકાશવાણી ચોક જેવા પોશ વિસ્તારોમાંથી પણ ભયગ્રસ્ત મિલકતો મળી છે. આ ઉપરાંત ટીટોળીયાપરા, ગોકુલધામ વિસ્તારમાં પણ ભયગ્રસ્ત મિલકતો મળી છે. વેસ્ટ ઝોનમાં કુલ ૧૪૩ મિલ્કતોને નોટિસ અપાઇ છે અને હજુ પણ બાકી રહેતા તમામને નોટિસની બજવણી કરાઇ રહી છે.
સેન્ટ્રલ ઝોનના સિટી ઇજનેરએ જણાવ્યું હતું કે મધ્ય રાજકોટ મતલબ કે જુના રાજકોટ વિસ્તારમાં ૨૬૦ જેટલી મિલકતો ભયગ્રસ્ત છે જેમાં જુના રાજકોટના બજાર વિસ્તારો ઉપરાંત જામનગર રોડ ઉપરના સાંઢીયા પુલ પાસે આવેલા સ્લમ કવાર્ટર્સ વિસ્તારની મિલકતો સમાવિષ્ટ્ર છે. એકંદરે સર્વેમાં ધ્યાને આવેલી તમામ ભયગ્રસ્ત મિલ્કતોને નોટીસની બજવણી કરાઇ છે તેમ છતાં હજુ જેમ જૂની, જર્જરિત અને ભયગ્રસ્ત મિલકતો ધ્યાને આવશે તેમ તુરતં નોટિસ અપાશે. તા.૩૧ મે સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ થશે.
ઉપરોકત નોટિસ અંતર્ગત ભયગ્રસ્ત ઇમારતનું તાત્કાલિક રિપેરિંગ કરાવવા અથવા તો ઇમારત ખાલી કરવા તાકિદ કરાઇ છે, અમુક રહીશોએ ઇમારતના ભયગ્રસ્ત હિસ્સાનું રિપેરિંગ કરાવ્યું પણ છે તેમ છતાં નોટીસની સમય મર્યાદા પૂર્ણ થયે વધુ એક વખત સરપ્રાઇઝ ચેકિંગ કરાશે અને જો રિપેરિંગ કરાવ્યું નહીં હોય તો નળ અને ડ્રેનેજ જોડાણ કપાત કરાશે તેમ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application