દ્વારકા જિલ્લામાં સતત ૩ રાત્રિ ઉચાટ રહ્યા બાદ થાળે પડ્યું જનજીવન

  • May 13, 2025 11:04 AM 

ગઇકાલે શ્રાવણી પૂનમે હજારો ભક્તોએ ગોમતીમાં સ્નાન કરી કાળીયા ઠાકોરના દર્શન કર્યા : ટ્રેન વ્યહાર, બસ વ્યવહારમાં લોકોની ભીડ જોવા મળી 



ભારત-પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિત થતાં સરહદે હુમલા તથા પ્રતિ હુમલા બનાવોના પગલે સમગ્ર દ્વારકા જિલ્લામાં સતત ૩ રાત્રિ સુધી બ્લેકઆઉટની સ્થિતિ રહ્યા બાદ ધીરે ધીરે જનજીવન થાળે પડી રહ્યું છે.


યાત્રાધામ સહિત દેવભૂમિમાં શનિવાર બાદ રવિવારે પણ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરુપે બ્લેકઆઉટની અપીલ કરતા લોકોએ સ્વયંભૂ સમર્થન આપ્યું હતું, જેના પગલે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બ્લેકઆઉટ સાથે અંધારપટ રહ્યો હતો, જગતમંદિરના દર્શનના ક્રમમાં પણ અગાઉ ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં સાંજે ૭.૩૦ વાગ્યા બાદ દર્શનાર્થીઓના પ્રવેશ નિષેધ સાથે ૮ વાગ્યાથી સંપૂર્ણ બ્લેકઆઉટ રહ્યું હતું, જેને વેપારીગણે પણ સરાહનીય પ્રતિસાદ આપતા બ્લેકઆઉટ સફળ બનાવ્યું હતું. 


બ્લેકઆઉટમાં નગરપાલિકાની સ્ટ્રીટલાઇટો બંધ રહી હતી, વેપારીઓએ પણ પોતાની દુકાનોમાં તથા મોટી દુકાનોમાં રાત્રે ચાલુ રખાતા સાઇન બોર્ડ બંધ કરી દીધા હતા, માત્ર એટીએમ પર નાની લાઇટો ચાલુ હતી, લોકોએ સ્વયંભૂ પોતાના ઘરની બહાર લાઇટો બંધ રાખવાની સાથે બારીઓમાં પડદા સાથે પ્રકાશ ઘરની બહાર ન જાય એની સાવચેતી રાખી હતી.


ગઇકાલે સોમવાર અને પૂનમ હોવાથી દ્વારકામાં કાળીયાઠાકોરના દર્શનાર્થે હજારો ભક્તજનો એ ગોમતીમાં સ્નાન કરી દ્વારકાધીશના દર્શન કરી પૂણ્યનું ભાથું બાંઘ્યું હતું, ગઇકાલથી સમગ્ર દ્વારકા જિલ્લાનું જનજીવન રાબેતા મુજબ શરુ થઇ ગયું છે. 


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્લેકઆઉટ પૂર્વે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને પોલીસ વડા નિતેષ પાંડેય દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, ગઇકાલથી સામાન્ય સ્થિતિ થતાં ટ્રેન વ્યહાર, બસ વ્યવહારમાં લોકોની ભીડ જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application