મહાપાલિકાના વધુ નવ કર્મચારી વય નિવૃત; વિદાયમાન આપતા ડે.કમિશનર હર્ષદ પટેલ

  • March 01, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકામાં ફેબ્રુઆરી-૨૦૨૫માં નિવૃત થયેલ ૯ અધિકારી-કર્મચારીને ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તેવું કમિશનર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.


આ પ્રસંગે નાયબ મ્યુનિ.કમિશનર હર્ષદ પટેલે ફરજ પરથી નિવૃત થયેલ અધિકારીઓ અને કર્મચારીઓએ રાજકોટની વિકાસ પ્રક્રિયામાં પોતાનું જે યોગદાન આપેલ છે તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરવાની સાથે સુખશાંતિમય સાથેના નિવૃત્તિ જીવન અને તંદુરસ્ત દીર્ઘાયુની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, નોકરીકાળમાં શહેર પર આવેલી વિવિધ આપત્તિઓ દરમ્યાન અધિકારી અને કર્મચારી પોતાના ઘરને ભૂલીને શહેર અને શહેરીજનોની સુખાકારી માટે ફરજ બજાવતા હોય છે. જીવનનો મહત્તમ સમય સંસ્થા માટે પસાર કર્યો હોય ત્યારે સ્વાભાવિકરીતે જ પોતાના અંગત, પારિવારિક અને સામાજિક કાર્યો માટે પણ સમય આપી શકાયો ના હોય તેવું અનેક વખત બન્યું હશે. જોકે હવે નિવૃત્તિકાળમાં આપ સૌ આપના અધૂરા શોખ અને જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવો તેવી શુભેચ્છા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંસ્થામાં સેવા આપતી વખતે તહેવારની ઉજવણીથી વંચિત રહ્યા છો ત્યારે હવે પછીના સમયગાળામાં પરિવાર સાથે જિંદગીના દરેક દિવસને તહેવારની જેમ જીવો. આજે નિવૃત થતા અધિકારી-કર્મચારીઓ પે-રોલથી દુર થાય છે પરંત રાજકોટ મહાનગરપાલિકાના હૃદયમાંથી ક્યારેય દુર નહી થાય. નિવૃત્તિ પછી પણ કોઈને કોઈ પ્રવૃત્તિમાં રહેવું જોઈએ જેનાથી પોતાનું શરીર તંદુરસ્ત અને સ્વાસ્થ્ય સારું રહે. અત્યાર સુધીની જિંદગી સંસ્થા માટે જીવ્યા હવે પછીની જિંદગી પરિવાર અને પોતાના માટે જીવો તેવી શુભેચ્છા પણ પાઠવું છું.

ફેબ્રુઆરી-૨૦૨૪માં (૧) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પટ્ટાવાળા શ્રી ચૌહાણ સુરેશભાઈ, (૨) માર્કેટ બ્રાંચના સિનીયર ક્લાર્ક શ્રી લીંબાસીયા પ્રફુલકુમાર, (૩) લીગલ શાખાના ટાઈપિસ્ટ કમ ક્લાર્ક શ્રી જોષી દિપ્તીબેન, (૪) બાંધકામ શાખાના એડી. આસી. એન્જી. શ્રી જોષી સંજયકુમાર (૫) જનરલ કન્સર્વન્સીના ડ્રાઈવર શ્રી કુરેશી મનુભાઈ, (૬) રેસકોર્ષ સ્નાનાગારના સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર શ્રી પરમાર પ્રતાપભાઈ, (૭) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર શ્રી ગડીયલ રઘુભાઈ, (૮) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર શ્રી ગોહેલ સીતાબેન અને (૯) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર પુરબીયા મંગુબેન વગેરે અધિકારીઓ અને કર્મચારીઓમાં નિવૃત થયેલ છે.

નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં નાયબ મ્યુનિ. કમિશનરશ્રી હર્ષદ પટેલ તથા સંબંધિત શાખાધિકારીના હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ.બુકની નકલ પણ આપવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application