મારા પતિ-પુત્રને સાચો ન્યાય મળ્યો -કાજલબેન પરમાર

  • May 07, 2025 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ-ભાવનગરપહેલગામ હુમલામાં બે સભ્યના મૃત્યુ પર ભાવનગરના પરિવારે ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક પર સંતોષ વ્યક્ત કર્યો હતો. અને અમારા સ્વજનોને  સાચી શ્રદ્ધાંજલિ મળી તેમ જણાવ્યું હતું. સાથે  ભારતીય સેના દ્વારા કરાયેલી કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
૧૫ દિવસ પૂર્વે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કરતા  ભાવનગરના પિતા-પુત્ર સહિત ૨૬ લોકોના મોત થયા હતા. આ હુમલાનો બદલો ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરીને લઈ લીધો છે. ભારતના આ હુમલામાં ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. ત્યારે પહેલગામના આતંકવાદી હુમલામાં ભાવનગરના મૃત્યુ પામેલા પિતા-પુત્રના  પરિવારે જણાવ્યું હતું કે, ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈકને સાચી શ્રદ્ધાંજલિ માનીએ છીએ. અને જણાવ્યું હતું કે, મારા પતિ અને પુત્રને આજે ન્યાય મળ્યો છે.
પહેલગામ હુમલામાં ભાવનગરના યતિષભાઇ પરમાર અને સ્મિત પરમારનું મોત થયું હતું. મૃતક યતિષ પરમારના પત્ની કાજલબેન પરમારે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને ભારતીય સેના પર ગર્વ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ કાર્યવાહીથી તેમના પરિવારજનોના આત્માને શાંતિ મળશે. સાથે ભારતીય સેનાની કાર્યવાહીથી  પરિવારજનોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ સામે લેવાયેલા આ પગલાંથી તેમને સંતોષ થયો છે. આ કાર્યવાહીથી તેમના ૫ રના શહીદ સભ્યોને સાચી શ્રદ્ધાંજલિ મળી છે.
પહેલગામ આતંકવાદી હુમલાના ૧૫ દિવસ બાદ  ભારતે મંગળવારે રાત્રે ૧:૪૪ વાગ્યે ૨૬ નિર્દોષ ભારતીયોની હત્યાનો બદલો લેવાનું શરૂ કર્યું હતું.
’ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના પંજાબના બહાવલપુરના અહમદપુર અને મુરીદકે અને પાકિસ્તાન ઓક્યુપાઇડ જમ્મુ અને કાશ્મીર (પીઓકે)ના બાગ, મુઝફ્ફરાબાદ અને કોટલીમાં નવ આતંકવાદી ઠેકાણાઓને તારાજ કર્યા છે. 
સંરક્ષણ મંત્રાલયના એક સત્તાવાર નિવેદન અનુસાર ’ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને સંચાલન કરવામાં આવતું હતું. મોડી રાત્રે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીમાં સંરક્ષણ મુખ્યાલયના વોર રૂમમાંથી કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય સેનાના હુમલા પછી સવારે ૨:૪૬ વાગ્યે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ભારત માતા કી જય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application