મહાપાલિકા કચેરી ખુલી રહી; અરજદારો ન આવ્યા

  • June 25, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના કાલાવડ રોડ ઉપર ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25-5-2024 ને શનિવારની સાંજે સર્જાયેલી અગ્નિકાંડની ભયાનક દુર્ઘટનામાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકોના કરૂણ મોત નિપજ્યાને આજે તા.25 જુનના રોજ એક મહિનો પૂર્ણ થતાં કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે શહેરની તમામ મુખ્ય બજારો સજ્જડ બંધ રહી હતી પરંતુ ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ તેના અન્ય તમામ મ્યુનિ.સંકુલો ખુલા રહ્યા હતા, જો કે બંધના એલાનને પગલે આજે અરજદારો આવ્યા ન હતા.

શહેરના ઢેબર રોડ ઉપર આવેલી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના દંડક મનિષ રાડીયા સહિતના પદાધિકારીઓ બેઠા હતા. શાસક પક્ષ ભાજપ્ના કાયર્લિયમાં કોર્પોરેટરો, પેટા કમિટીઓના ચેરમેન, આગેવાનો અને કાર્યકરની અવરજવર જોવા મળી હતી. રાજકોટના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઇ સોમવાર અને મંગળવાર તેમ બે દિવસની રજા ઉપર હોય તેઓ હાજર ન હતા, જ્યારે કચેરીની અન્ય તમામ 40 બ્રાન્ચમાં અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ પણ અરજદારો વગર બેસી રહ્યા હતા. મુખ્ય કચેરી ઉપરાંત ત્રણેય ઝોનલ ઓફિસ, પાંચ સિવિક સેન્ટર અને 18 વોર્ડ ઓફિસ સહિત તમામ મ્યુનિ.સંકુલો ખુલા રહ્યા હતા. બંધના એલાનને પગલે ટોળું આવે તો માથાકૂટ થવાની ભીતિએ કચેરીના એન્ટ્રી-એક્ઝિટ સહિતના બન્ને દરવાજે મ્યુનિ. વિજિલન્સ પોલીસ તેમજ સિટી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકાયો હતો.
સામાન્ય રીતે કોઇ પણ રાજકીય પક્ષ દ્વારા બંધનું એલાન અપાયું હોય ત્યારે દરેક વખતે મહાપાલિકા કચેરી બંધ કરાવવા માટે આગેવાનો અને કાર્યકરોનું ટોળું અચૂક અહીં આવતું હોય છે અને બંધ કરાવવા માથાકૂટ કરતું હોય છે પરંતુ આજે આજે કોંગ્રેસીઓ અહીં ડોકાયા ન હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application