ભાવનગરમાંથી વેકેશનમાં ૬૦ ટકાથી વધુ બુકિંગ કાશ્મીરના

  • April 26, 2025 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતનું સ્વર્ગ ડેસ્ટીનેશન કહેવાતું કાશ્મીર લોહીલુહાણ બન્યું છે.  કાશ્મીરના પહેલગામમાં ટુરીસ્ટો સાથે થયેલી દુ:ખદ ઘટના ઘટી  હતી. ગત મંગળવારે  આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત ૨૮ ટુરીસ્ટોની ગોળી મારી નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. જેના પડઘા ભારતભરમાં પડયા છે.અને  લોકોમાં ડરનો માહોલ છવાયો છે. તો ઘટના બાદ હવે   સરકાર પણ એક્શનમાં આવી છે. 
કાશ્મીર ભારતનું સ્વર્ગ કહેવાય છે. જેઓએ સ્વર્ગ નજારો નિહાળવો હોય તેઓ કાશ્મીરની સુંદરતાને મન ભરીને માણે છે. પરંતુ આ સ્વર્ગ અત્યારે દહેશતનું સ્થળ બની ગયું છે. હાલ ઉનાળુ વેકેશનનો પ્રારંભ થઈ ચુક્યો  છે. ત્યારે  બહોળી સંખ્યામાં લોકો ગરમીથી બચવા ઠંડા પ્રદેશના પ્રવાસના આયોજનો કરે છે. જેના માટે લોકોનું એક માત્ર પસંદગીનું સ્થળ કાશ્મીર જ હોય  છે.ભારતભરમાંથી લોકો કાશ્મીરનો પ્રવાસ કરે છે. 
 ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે હજારો લોકો કાશ્મીરનો પ્રવાસ કરે છે. પરંતુ હુમલાની  ઘટનાથી  લોકોને ડરનો માહોલ છવાઇ ગયો છે. કાશ્મીર માટે કરાવેલ બુકીંગ રદ્દ કરાવી રહ્યા છે. ટ્રાવેલ્સ એજન્સીને  બુકીંગ કેન્સલેશન માટે સતત ફોન આવી રહ્યા છે. કાશ્મીરમાં થયેલા હત્યામાં ભાવનગર અને સુરતના મળી ગુજરાતના  ત્રણ લોકોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રથી પણ કાશ્મીર માટે ૧૫ એપ્રિલથી પ્રવાસ શરૂ થઇ ગયો હતો. કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા હતા. અને કેટલાક પરત ફરી રહ્યા છે. જે લોકો કાશ્મીર પહોંચી ગયા છે તેઓ પોતાની ટુર અધુરી છોડી પરત ફરી રહ્યા છે. એકાએક બુકીંગ કેન્સલ થવાથી ટ્રાવેલ્સ એજન્સીઓને મોટો ફટકો પડયો છે. કારણ કે  વેકેશનમાં સૌથી વધુ બુકીંગ થતા હોય છે. તેમાં પણ કાશ્મીરના સૌથી વધુ બુકીંગ હોવાથી હવે કેન્સલ થતા અંદાજે ટ્રાવેલ્સ એજન્સીને ૨૫ કરોડથી વધુનું નુકસાન થશે. આ ઉપરાંત આગામી વર્ષ માટે પણ બુકીંગની સંભાવના ’ના’ બરાબર રહેશે. 
એક જાણકારી મુજબ આવતીકાલ તા. ૨૭એપ્રિલ  અને ૧લી મે બાદ મોટી સંખ્યામાં લોકો કાશ્મીરના પ્રવાસે જવાના હતા. પરંતુ હવે આ તમામ બુકીંગ કેન્સલ થવા લાગ્યા છે. ટ્રાવેલ્સ એજન્સીઓ પણ મુંઝવણમાં મુકાઈ  છે કારણ કે  ત્રણ માસ  અગાઉ જ કાશ્મીરની હોટલ, રેસ્ટોરન્ટમાં બુકીંગ કરાવી નાખ્યા હતા. તેઓનું રોકાણ થઇ ચુક્યું છે. પરંતુ હવે કેન્સલેશન બાદ લોકોને રીફંડ આપવું પડશે. આથી તેઓ પણ ચિંતામાં મુકાયા છે કે આ વખતની સિઝન ફેઇલ જશે અને  નુકસાની વેઠી રીફંડ આપવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application