ભાવનગરના કાઠિયાવાડી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ ૨૦થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી

  • March 31, 2025 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 શહેરના રીંગ રોડ પર આવેલ એકગાર્ડન  રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ કેટલાક લોકોને ઝાડા-ઉલ્ટી થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી હતી. જેના પગલે મહાપાલિકાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી અને કેટલાક ખાદ્યપદાર્થના નમૂના લીધા હતાં. આ ઉપરાંત કેટલોક ખાદ્યપદાર્થ એક્સપાયરી તારીખનો હોવાથી જથ્થો નાશ કરાયો હતો.


શહેરના રીંગ રોડ પર આવેલ કાઢીયાવાડી પોઇન્ટ નામના ગાર્ડન  રેસ્ટોરન્ટમાં  સીનીયર સીટીઝન લોકોએ કાર્યક્રમ રાખ્યો હતો અને રેસ્ટોરન્ટમાં જમ્યા હતાં. ત્યારબાદ આશરે ૨૦થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી હતી. અને જાગૃત નાગરીકે મહાપાલિકાના ફૂડ વિભાગે જાણ કરી હતી. આ ફરિયાદના આધારે મહાપાલિકાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી અને ગુલાબ જામ્બુ, ચાઈનીઝ ભેળ, છાશ, રજવાડી ઢોકળી વગેરે ખાદ્યપદાર્થના નમૂના લીધા હતાં.


આ તમામ નમૂનાઓ તપાસ માટે લેબોરેટરી મોકલવામાં આવેલ છે અને રીપોર્ટ આવ્યા બાદ વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે તપાસ કરતા ઘઉંના ફાડા અને મીરના પાવડરનો આશરે ૨-૩ કિલો જથ્થો  એક્સપાયરી તારીખનો મળી આવ્યો હતો. અને જથ્થાનો ફૂડ વિભાગે નાશ કર્યો હતો તેમ મહાપાલિકાના ફૂડ વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું.  નોંધનીય છે કે અગાઉ મહાપાલિકાના ફૂડ વિભાગે તમામ રેસ્ટોરન્ટ ધારકો અને મેનેજરોને તાલમી આપી હતી, જેમાં શું સાવચેતી રાખવી, ખાદ્યપદાર્થના પેકેટમા એક્સપાયરી તારીખ ખાસ જોવી વગેરે બાબત જણાવી હતી છતાં કેટલાક  રેસ્ટોરન્ટધારકો બેદરકારી દાખવતા હોય છે, જેના કારણે લોકોના આરોગ્યને નુકશાન થતુ હોય છે. ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં શહેરની રેસ્ટોરન્ટોમાં અકસ્મીક તપાસ કરવામાં  આવનાર હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application