કરોડપતિ તસ્કર આનંદ સુરતથી ચોરી કરવા જ રાજકોટ આવ્યો’ને બીજા દિવસે લાખોનો હાથ માર્યો

  • July 12, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કરણપરા શેરી નં.13/14માં રહેતા ઇલેકટ્રીક ગુડસના વેપારી કોકીનભાઇ દિલીપભાઇ શાહના બંધ મકાનમાં થયેલી 9.50 લાખના સોના-ચાંદીના ઘરેણા અને રોકડની ચોરીના ક્રાઇમબ્રાન્ચે કરોડપતિ કુખ્યાત તસકર આનંદ ઉર્ફે રાજુ ઉર્ફે કરોડપતિ ચોર જેસંગ ઉર્ફે જેસીંગ સીતાપરા (રહે. હાલ સુરત), સાગરીતો રાજકોટના જંગલેશ્ર્વર નજીક વિનોદનગર આવાસ યોજનામાં રહેતા ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તુડો અલ્તાફભાઇ પરમાર (ઉ.વ.24) અને બનાસકાંઠાના કાંકરેજના ખારીયા ગામના ચીરાગ મુક્તિલાલ શાહ (ઉ.વ.24)ની ધરપકડ કરી 13,14,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. વેપારીના મકાનમાંથી 9.50 લાખની માલ મતા ચોરાઇ હતી જયારે મુદ્દામાલએથી વધુ મળી આવ્યો છે.

વેપારીના ઘરમાં ઉધઇની દવા છંટાવી હોવાથી પાડોશમાં રહેતા ફૈબાના ઘરે રહેવા ગયા હતાં એ દરમિયાન મંગળવારની વહેલી સવારે બંધ મકાનમાંથી 75 હજાર રોકડા, વિસ તોલા સોનાના ઘરેણા, સાડા ત્રણ કીલો ચાંદીની પાટ મળી પોલીસના હિસાબ મુજબ 9.50 લાખની ચોરી થઇ હતી. આ બનાવમાં ક્રાઇમબ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગી હતી. સીસીટીવી કેમેરા અને બાતમીના આધારે કરોડપતિ કુખ્યાત તસકર આનંદ હોવાનું ખબર પડી હતી. જંગલેશ્ર્વરમાં રહેતા આનંદના સાગરીત ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તુને ઉઠાવી લીધો હતો અને ત્યારબાદ આનંદની ધરપકડ કરી હતી. ચોરીમાં મદદગારી કરનાર ચિરાગને પણ ઝડપી લેવાયો હતો. જયારે ચોરી કયર્િ બાદ ભાગવાની સવલતમાં આનંદના નજીકના સગા ગોંડલમાં રહેતો વિજય રમેશ સિતાપરા હાથ આવ્યો ન હતો.

જાણવા મળ્યા મુજબ કરોડપતિ તસકર આનંદ સુરતના કામરેજ વિસ્તારમાં માધવપેલેસ એપાર્ટમેન્ટમાં રહે છે. મુળ જામનગરના લાલપુર તાલુકાના ખેંગારપુરનો વતની છે. જામનગરમાં પણ દિગ્જામ મીલ પાસે મકાન ધરાવે છે. આનંદ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર દેવપરા પાસે પણ ત્રણ માળના એસી મકાનમાં અગાઉ રહેતો હતો. રાજકોટમાં મોટો હાથ મારવાના ઇરાદે આગલે દિવસે જ સાગરિત ઇમ્તિયાઝના ઘરે આવ્યો હતો અને બન્ને ટુવ્હીલર લઇને નિકળયા હતાં. કરણપરામાં બંધ મકાન જોવા મળતા આનંદ મકાનમાં ઘુસ્યો હતો અને લોખંડના સળીયાથી દરવાજો તોડી ચોરી કરી હતી.
ત્રિપુટીને જામનગર રોડ ઉપર ઘંટેશ્ર્વર ચોકડી પાસેથી ઝડપી લેવાઇ હતી. જેમાં 8,24,700ના સોના-ચાંદીના ઘરેણા, 4,16,800ના ચાંદીના ઘરેણા, ચોરીમાં વપરાયેલું એક્ટિવા ટુવ્હીલર, બે મોબાઇલ ફોન મળી 13.14 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. કરોડપતિ મનાતા આનંદ સામે રાજકોટ, સુરત, આગ્રા સહિતના સ્થળે ચોરીના 35 ગુનાઓ નોંધાયેલા છે. જયારે ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તુ સામે દાના 3 ગુના અને એક ગુનો ધમકીનો નોંધાયેલો છે. ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઇમબ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલિયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.હણ, એ.એન.પરમાર તથા વી.ડી.ડોડીયા અને તેમની ટીમે દોડધામ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application