જામનગરમાં પરણીતાનો આર્થિક સંકળામણના કારણે આપઘાત

  • March 11, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટી ખાવડીમાં શ્રમિક યુવાને ગળાફાંસો ખાઇ આયખુ ટુકાવ્યું


જામનગરના હાલારહાઉસ પાછળ રહેતી એક પરણીતાએ આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી લીધો છે જયારે મોટી ખાવડીમાં પરપ્રાંતીય યુવાને કોઇ અગમ્ય કારણસર જીવન ટુંકાવી લીધુ છે.


જામનગરમાં હાલાર હાઉસ પાછળ શ્રી ગાયત્રીનો આશરો નામના એપાર્ટમેન્ટમાં રહેતા ગ્રીસાબેન ભાવિનભાઈ ખેતાણી નામના 29 વર્ષની પરણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.


આ બનાવ અંગે તેણીના પતિ ભાવિનભાઈ ચંદ્રકાંતભાઈ ખેતાણી સૌપ્રથમ 108 ની ટિમને જાણ કરી હતી, અને 108 ટીમેં બનાવના સ્થળે આવી પહોંચી, તપાસ કરતાં ગ્રીષાબેનનું મૃત્યુ નીપજ્યું હોવાથી જાહેર કર્યું હતું.


જે બનાવ બાદ મૃતકના પતિ ભાવિનભાઈ ખેતાણી દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતાં પીએસઆઇ ડી.જે. રાજ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને ગ્રીષાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકના પતિ ભાવિનભાઈ કોસ્મેટિકનો વ્યવસાય કરે છે, અને તેનો ધંધો બે ત્રણ મહિનાથી બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકડામણ અનુભવતા હતા જેના કારણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.


બીજા બનાવમાં મૂળ બિહારના વતની અને હાલ મોટી ખાવડીમાં કરમશીભાઈ મોરીની ભાડાની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મનીષકુમાર અભિમન્યુ પાંડેય નામના 21 વર્ષના પરપ્રાંતીય વિપ્ર યુવાને ગઈકાલે પોતાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.


આ બનાવ અંગે તેની સાથે જ રહેતા ધનંજયકુમાર ઉમેશકુમાર પાંડેયએ પોલીસને જાણ કરતાં મેઘપરના એ.એસ.આઇ. એલ.જી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application