લગ્ન પ્રસંગો નહીં બગડે, વાડીઓના સીલ ખુલ્યા

  • June 15, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ દ્વારા શહેરમાં ફાયર સેફટી અને ફાયર એનઓસીનું સઘન ચેકિંગ હાથ ધરી વિવિધ જ્ઞાતિ-સમાજની વાડીઓ સહિતની કુલ 600થી વધુ મિલકતો સીલ કરી હતી જેમાં જ્ઞાતિ-સમાજની વાડીઓ સીલ કરવામાં આવતા અનેક પરિવારના લગ્ન પ્રસંગો તેમજ અન્ય સામાજિક પ્રસંગોમાં વિક્ષેપ સર્જાતા નારાજગી પ્રસરી હતી, દરમિયાન આ મામલે ગઇકાલે તા.14-6-2024ના આજકાલ દૈનિકમાં સચોટ અહેવાલ પ્રસિધ્ધ થયો હતો ત્યારબાદ આજે સર્વ સમાજના આગેવાનોએ કમિશનરને સામુહિક રજૂઆત કરતા કમિશનર દ્વારા તાત્કાલિક નિર્ણય લઇ એવો આદેશ કરાયો છે કે હવેથી સોગંદનામુ રજૂ કર્યેથી જ્ઞાતિ અને સમાજની વાડીઓના સીલ ખોલી આપવામાં આવશે.

મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે, જ્ઞાતિ કે સમાજની વાડીમાં પણ ફાયર સેફટી અનિવાર્ય અને ફરજિયાત છે પરંતુ કોઇના લગ્ન પ્રસંગો કે અન્ય સામાજિક પ્રસંગો ન બગડે તે માટે તાત્કાલિક નિર્ણય કરીને સોગંદનામું રજૂ કર્યેથી સીલ ખોલવાની કાર્યવાહી શરૂ કરવા આદેશ કર્યો છે પરંતુ આગળની દિવસોમાં પણ સતત ચેકિંગ ચાલુ રહેશે અને સોગંદનામાં રજૂ કરેલી સમય મયર્દિામાં જ્ઞાતિ અને સમાજની વાડીઓમાં ફાયર સેફટીના સાધનો લગાવવા પડશે અને ફાયર એનઓસી પણ મેળવવાનું જ રહેશે. જ્યાં આગળ ફાયર એનઓસી હોય પરંતુ મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય તેમણે ફાયર એનઓસી રીન્યુ કરાવવાની કાર્યવાહી સમય મયર્દિામાં કરવાની રહેશે.


ધંધાદારી હોટેલ-મોટેલ-રિસોર્ટ કે પાર્ટી પ્લોટ્સ કે ખાનગી હોલને છૂટછાટ નહીં
કોઈપણના લગ્ન પ્રસંગો કે અન્ય સામાજિક પ્રસંગો બગડે નહીં તેવા આશયથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા આજે વિવિધ જ્ઞાતિ અને સમાજની વાડીઓને લાગેલા સીલ ખોલવા માટે આદેશ કરાયો હતો. આ તકે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્ઞાતિ સમાજની વાડીઓ લગ્ન સહિતના પ્રસંગો માટે ભાડે અપાતી હોય છે પરંતુ તેમનો કોઈ જ કોમર્શિયલ હેતુ હોતો નથી તે એક સેવાકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપે ભાડે અપાતી હોય છે, આથી તેમના પરત્વે માનવીય અભિગમ દાખવવામાં આવ્યો છે, પરંતુ લગ્ન સહિતના પ્રસંગોના બુકિંગના નામે જો ધંધાદારી હોટેલ, મોટેલ, રિસોર્ટ કે પાર્ટી પ્લોટ્સના માલિકો કે સંચાલકો આવી રાહત મેળવવા માટે અપેક્ષા રાખતા હોય તો તેમને કોઇ પણ પ્રકારની કોઇ જ રાહત આપવામાં આવશે નહીં, કારણ કે તે એક કોમર્શિયલ યુનિટ છે અને તેમાં ફક્ત પૈસા કમાવાનો ધંધાદારી હેતુ હોય છે. લગ્ન સહિતના પ્રસંગોએ ભાડે અપાતા ધંધાદારી એકમોના માલિકો અને સંચાલકોએ નિયમ મુજબની પ્રક્રિયા જ ફરજિયાતપણે અનુસરવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application