સિવિલ હોસ્પિટલમાં નાસી જનાર કેદીનો લાલપરી પાસે ડેમમાં ઝંપલાવી આપઘાત

  • June 29, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસમેનને ધક્કો મારી પછાડી દઇ પાકા કામનો કેદી નાસી ગયો હતો. જેની જાણ થતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. મોડી રાત સુધી કેદીની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો. આ અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ભરણપોષણના કેસમાં સજા પડ્યા બાદ આ કેદીને યુરીનની તકલીફ હોય તેથી સિવિલ હોસ્પિટલ સારવારમાં લાવવામાં આવ્યો હતો. દરમિયાન તે લઘુશંકા કરવાના બહાને જઈ પોલીસને ચકમો આપી નાસી ચૂક્યો હતો.દરમિયાન આજરોજ સવારના સમયે લાલપરી ચેકડેમમાંથી આ કેદીની લાશ મળી આવી હતી.જેથી તેણે અહીંથી નાસી જઇ આપઘાત કરી લીધો હોવાનું માલુમ પડયું હતું.

મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે ચામડિયાપરા ખાટકીવાસમાં રહેતા પાકા કામના કેદી અબ્દુલ બાબુભાઈ કારવાને ગુરૂવારે યુરીનની તકલીફ હોય જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા અહીં તેને તપાસી ઇમરજન્સી વોર્ડ નંબર 2 માં દાખલ કરાયો હતો.
શરૂઆતમાં તેના પર જેલના સ્ટાફનો જાગતો હતો બાદમાં ગઈકાલ સવારે પોલીસ જાપતો ગોઠવવામાં આવ્યો હતો. મોડી સાંજે કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ ચુડાસમા કેદી પર પહેરો આપી રહ્યા હતા. દરમિયાન કેદી અબ્દુલ કારવાએ પોણ આઠેક વાગ્યા આસપાસ બાથરૂમ જવાનું કહ્યું હતું. જેથી પોલીસ તેને હાથકડી ખોલી વોર્ડ નંબર 2ની બાજુમાં આવેલા બાથરૂમમાં લઈ લઈ જતા ત્રણથી ચાર મિનિટ પછી પણ તે બહાર ન આવતા શંકા જતા પોલીસમેન જોવા જતા અબ્દુલ બહાર નીકળ્યો હતો અને પોલીસમેનને ધક્કો મારી પછાડી દઈ કેદી અહીંથી ભાગી ગયો હતો.

કેદી અબ્દુલને ભરણપોષણના કેસમાં સજા પડયા તે પાકા કામના કેદી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન હતો. આ ઘટના અંગે કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ ભગીરથસિંહ ચુડાસમા (રહે. માધાપર ચોકડી, પરાશર પાર્ક)ની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી ચકમો આપી નાસી ગયેલા કેદી અબ્દુલ કારવાને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. જો કે રાત સુધી તેનો કોઈ પતો લાગ્યો ન હતો.

દરમિયાાન આજરોજ સવારના લાલપરી ડેમમાં મચ્છાનગરના ઓવરફ્લો પાસે એક લાશ કરતી હોવાનું કોઈ સ્થાનિકને ધ્યાને આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ કે.જે. કરપડા સહિતનો સ્ટાફ અહીં પહોંચી ગયો હતો આ લાશ કેદીની હોવાની શંકાએ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. દરમિયાન તેના પરિવારજનો એ લાસ્ટ ઓળખી કાઢી તે અબ્દુલ કારવાની જ હોવાનું જણાવ્યું હતું.

અબ્દુલ સામે ધોરાજી કોર્ટમાં પત્નીએ કેસ કર્યો હતો

પોલીસે જણાવ્યું હતું કે આપઘાત કરી લેનાર અબ્દુલ બે ભાઈ અને ત્રણ બહેનમા ત્રીજા નંબરે હતા. 2012માં મુમતાઝબેન વલીભાઈ લાખાણી (ધોરાજી) સાથે લગ્ન થયા હતા. 2014મા ભરણપોષણનો ધોરાજી કોર્ટમાં કેસ થયો હતો. પ્રથમ જુનાગઢ જેલમા બે દિવસ રખાયા હતા, ત્યાં તબિયત લથડતા છોડી મુકાયા હતા. એ પછી એક મહિના પહેલા તેને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરાયા હતા. રિક્ષા ભાડે લાવી ફેરા કરતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application