ઝુરીના જંગલ ખાતે વનવાટિકા બનાવીને ફરવાલાયક બનાવો

  • March 18, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના રતનપર વિસ્તારમાં આવેલી વનવિભાગ હસ્તકની ઝુરીઓમાં વારંવાર આગ લાગે છે તેથી આ સ્થળે આગના બનાવો ઉપર બ્રેક મારવા માટે માંગ થઇ છે અને ત્યાં વનવાટિકા બનાવવામાં આવે તેથી તે સ્થળ ફરવાલાયક બને તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદરની સામાજિક સંસ્થા ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિરવ. બી. દવેએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૪૦થી વધુ વખત આગ લાગવાના બનાવો બન્યા છે. આ માર્ચ મહિનામાં જ ચારથી પાંચ વખત આગ લાગવાના બનાવ બનેલ  છે, જેમાં  અગાઉ તા.૭-૩-૨૫ના પોરબંદરમાં એસ.એસ.સી. મેદાનના ખુલ્લા પ્લોટમાં આગ લગાડવામાં આવી હતી, આ પ્લોટની બાજુમાં જ ખાણી-પીણીની બજાર આવેલી છે અને દરરોજ રાત્રે પોરબંદરના હજારો લોકો પોતાના પરિવાર સાથે ખાણીપીણી બજારમાં આવતા જતા હોય છે. તેમજ  તા. ૬-૩-૨૦૨૫ના  રોજ કુતિયાણા તાલુકાના દેવડા ગામના મરઘા ડૂંગર વિસ્તારમાં પણ ખૂબજ મોટી ભીષણ આગ લાગી હતી અને સતત બે દિવસ બાદ ભારે જહેમતબાદ આ આગ કાબૂમાં આવી હતી ત્યારે પણ વનવિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવેલ ના હતી. તા.૫-૩-૨૦૨૫ના રોજ પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ ચાડેશ્ર્વર-ધીંગેશ્ર્વર મંદિરના પાછળના ભાગમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો તેમજ તા. ૧૮-૩-૨૦૨૫ના રોજ પોરબંદરના રતનપર વિસ્તાર પાસે આવેલ જુરીના જંગલમાં છેલ્લા બે  મહિનામાં સાતથી આઠ વખત આગ લાગવાનો બનાવ બન્યો છે.  માટે આવી વારંવાર આગ લાગવી એ કોઇ સામાન્ય બાબત નથી, 
આ આગ અસામાજક તત્વો દ્વારા અથવા તો જાણી જોઇને કોઇ ચોકકસ વ્યક્તિઓ દ્વારા વારંવાર આગ લગાડવામાં આવે છે અને જંગલ વિસ્તારને નાશ કરવાનું આ એક કાવત‚ કરવામાં આવી રહ્યુ છે. સદ્નસીબે આટલી વખત આગ લાગવા છતા કોઇ જાનહાની થઇ નથી પણ  આપને અપીલ છે કે આ આગ લાગવાના બનાવ બાબતે યોગ્ય તપાસ થાય.
વધુમાં આપને જણાવવાનું કે આ ઝુરીના જંગલથી માત્ર ચારથી પાંચ કિ.મીના અંતરે સુપ્રસિધ્ધ રંગબાઇ માતાજીનું મંદિર આવેલ છે અને તે મંદિર દરિયા કિનારે હોવાથી પ્રવાસીઓ આ મંદિરે આવતા-જતા હોય છે. માટે જો વનવિભાગ દ્વારા ઝુરીના જંગલ વિસ્તારછે તેને બ્યુટીફિકેશન કરવામાં આવે અને ત્યાં મુસાફરો અને રાહદારીઓ માટે બેસવાની વ્યવસ્થા કરીને વનવાટિકા  જેવુ બાગ વિકસાવવામાં આવે જેથી કરીને વારંવાર કોઇ અસામાજિક તત્વો દ્વારા આગ લગાવાના બનાવ બને છે તે ના થાય અને વન પર્યાવરણનું રક્ષણ થાય સાથે સાથે પોરબંદરની જનતાને ફરવાલાયક વધુ એક સ્થળની પણ ભેટ મળી રહે, જેના માટે આપની કક્ષાએથી યોગ્ય કરવા અપીલ છે.તેમ સંસ્થાના પ્રમુખ નિરવ દવેએ જણાવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application