જૂનાગઢમાં બે મંદિરો અને એક દરગાહ પર મહાપાલિકાનું મેગા ડિમોલિશન

  • March 11, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં તંત્રને શનિવારે મધ રાત્રે એકાએક દબાણનું સુરાતન ચડ્યું હોય તેમ મજેવડી દરવાજા પાસે આવેલ  દરગાહ, રેલવે સ્ટેશન પાસે આવેલ મંદિર અને તળાવ દરવાજા પાસે આવેલ જલારામ સર્કલ સહિત ત્રણ ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવી દેતા રવિવારે સમગ્ર શહેરમાં દબાણો અંગેનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો. મહાશિવરાત્રીના મેળા ની પૂર્ણાહુતિ બાદ એકાએક પોલીસના ધાડે ધાડા ગોઠવી રસ્તાને કોર્ડન કરી ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા હતા. જોકે તંત્રની દબાણ દૂર કરવાની કામગીરી બાદ શહેરીજનોમાં અગાઉ મુખ્યમંત્રી દ્વારા વેકળા પરના દબાણો લાઈન દોરીથી દૂર કરવા અંગેના આદેશ ની અમલવારી  થશે કે દબાણો હટાવવાની કામગીરી ’ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત ’બની રહેશે તે મુદ્દે ગઈકાલે રજા ના દિવસે ચોરેને ચોટે એક જ વાત થઈ રહી હતી. જોકે દબાણ હટાવવાની કામગીરી બાદ  શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 

દરગાહ ને દૂર કરવા મામલે અગાઉ ટોળા અને પોલીસ સામસામે પણ આવી ગયા હતા અને પોલીસ ચોકીમાં તોડફોડ અને  પોલીસ કર્મીઓના ઇજાગ્રસ્ત થવાના પણ બનાવ બન્યા હતા અને બનાવ બાદ આ મુદ્દે કાર્યવાહી પણ કરવામાં આવી હતી ત્યારે શનિવારે મોડી રાત્રે પોલીસના ધાડે ધાડા  ઉતારી આસપાસના વિસ્તારો તરફ જતા રસ્તા બંધ કરી દરગાહ ને દૂર કરી રસ્તો ખુલ્લ ો કરી સ્થળ પર મહાનગરપાલિકા તંત્ર દ્વારા રાતોરાત  રોડ પણ કરી દીધો હતો. 
​​​​​​​
તંત્ર દ્વારા રેલ્વે સ્ટેશનથી મજેવડી તરફ જતા રસ્તે ફૂટ પાથ પર રહેલ રામદેવપીર ના મંદિરને પણ દૂર કરવામાં આવ્યું હતું.મનપા તંત્ર દ્વારા તળાવ દરવાજા પાસે આવેલ જલારામ સર્કલ ને પણ બુલડોઝર વડે દૂર કરી રસ્તો ખુલ્લ ો કરવામાં આવ્યો હતો.જોકે જલારામ સર્કલને દૂર કરવા મામલે અગાઉ મનપા તંત્ર દ્વારા જ જલારામ સર્કલ કરવા અંગે મંજૂરી આપવામાં આવી હોવાનો મુદ્દો પણ સમગ્ર શહેરમાં ચર્ચાને ચગડોળે રહ્યો હતો.પરંતુ તેના પર પણ બુલડોઝર ફેરવી દેતા સમગ્ર મામલે ધર્મ પ્રેમી લોકોમાં તંત્રની કામગીરીથી કચવાટ ફેલાયો હતો.
ફૂટપાથ એવી નહીં હોય કે જ્યાં દબાણો થયા નહીં હોય આ ઉપરાંત વોકળા પર આવેલા બાંધકામો મામલે તંત્ર દ્વારા ૧૧૦ થી વધુ બાંધકામોને નોટિસ પણ આપવામાં આવી છે. અગાઉ પ્રજાસત્તાક પર્વ એ આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે  વોકળા પરના દબાણોને લાઈન દોરીથી ટૂંક સમયમાં જ દૂર કરવા જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ કાળવા ચોક વિસ્તારમાં વોકળા પરના એકલદોકલ નાના બાંધકામોને દૂર કર્યા બાદ કામગીરી પૂર્ણ કરાઈ હતી ત્યારે નાના માછલાઓને નિશાન બના વ્યા બાદ હવે ગઈકાલે ધર્મસ્થળોને દૂર કરાયા છે ત્યારે મોટા મગર મચ્છો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે અંગે લોકોમાંથી માંગ ઉઠી છે. જૂનાગઢમાં તળાવ દરવાજા પાસે જલારામ સર્કલ બનાવવા અગાઉ સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા જ વિધિવત મંજૂરી બાદ જનરલ બોર્ડમાં પણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારે મહાનગરપાલિકા દ્વારા જ સર્કલ બનાવવાની મંજૂરી અપાય હતી તે સ્થળને રાતો રાત તોડી જગ્યા ખુલી કરવામાં આવતા  મંજુર કરાયેલી જગ્યાને ડિમોલેશન શા માટે તે અંગે લોકો માં પણ તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application