લોકસભા ચૂંટણી 2024: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાઈ પ્રેસ કોન્ફરન્સ

  • March 16, 2024 09:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ચૂંટણી પંચ દ્વારા આજરોજ લોકસભા ચૂંટણી - 2024ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 10 - રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.


આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, આચારસંહિતાની ચુસ્ત અમલવારી માટે તાલીમ સાથે ફલાઈંગ સ્કવોડની ૨૪, સ્ટેટીક સર્વેલન્સની ૨૪, વીડિયો સર્વેલન્સની ૧૬, વિડિયો વ્યુઇંગની ૮ અને આદર્શ આચારસંહિતાના અમલ માટે ૮ ટીમ કાર્યરત કરવામાં આવી છે. તેમજ આચારસંહિતા અમલમાં આવતા બેનર, હોર્ડિંગ્સ,ઝંડી,પોસ્ટર,ભીત, લખાણો અને કટઆઉટ દૂર કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.


જિલ્લામાં તા.૧૬-૦૩-૨૦૨૪ની મતદાર યાદી મુજબની સ્થિતિએ ૮ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૨૩,૪૨,૭૮૫ મતદારો નોંધાયેલા છે જેમાં પુરુષ મતદારો ૧૨,૧૩,૮૨૦, સ્ત્રી મતદારો ૧૧,૨૮,૯૧૯ તથા થર્ડ જેન્ડર મતદારો ૪૬ છે. જ્યારે ૧૦ - રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૨૧,૦૪,૫૧૯ મતદાર નોંધાયેલા છે, જેમાં પુરુષ મતદારો ૧૦,૮૯,૫૪૬, સ્ત્રી મતદારો ૧૦,૧૪,૯૩૮ તથા થર્ડ જેન્ડર મતદારો ૩૫ છે તેમ જિલ્લા ક્લેક્ટરશ્રીએ જણાવ્યું હતું.


તેમણે કહ્યું હતું કે, ખર્ચને લગતી ટેલીફોનિક ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૩૨૨ ઉપર નાગરિક ફરિયાદ કરી શકશે. તદુપરાંત ખાસ કેટેગરી મતદાન મથકોમાં મહિલા સંચાલિત ૫૬, દિવ્યાંગ સંચાલિત ૮, યુવા સંચાલિત ૧ અને મોડલ પોલિંગ સ્ટેશનમાં ૮ મતદાન મથક રહેશે. કુલ મતદાન મથકોના ૫૦% લેખે ૧૧૧૮ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.


નાગરિકોને લોકશાહીના પર્વમાં મતદાન કરીને ઉત્સાહપૂર્વક જોડાવાની અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીએ ઉમેર્યું હતું કે, મતદાનનો અધિકાર પવિત્ર અધિકાર છે ત્યારે લોકશાહીને મજબૂત કરવા દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. તેમજ મતદાન જાગૃતિ માટે સ્વિપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે.


ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાનો સમાવેશ પ્રથમ તબક્કામાં છે. ત્યારે ૧૨/૦૪/૨૪ના રોજ ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. તેમજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.૧૯/૦૪/૨૪ના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦/૦૪/૨૪ના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા.૨૨/૦૪/૨૪ છે. તેમજ મતદાનની તા.૦૭/૦૫/૨૪ અને મતદાનની મત ગણતરી તા.૦૪/૦૬/૨૪ના રોજ કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ તા.૦૬/૦૬/૨૪ રહેશે.


આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણે, ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે.મુછાર, અધિક નિવાસી કલેકટરશ્રી ચેતન ગાંધી, ડી.સી.પી.શ્રી સજજન સિંહ પરમાર, ડી.સી.પી. ક્રાઇમ શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, ચૂંટણી મામલતદારશ્રી મહેશ દવે સહિત મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application