લાખાજીરાજ માર્કેટ ખાલી કરાવાશે પણ ડિમોલિશન નહીં કરાય

  • July 25, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.7માં લાખાજીરાજ રોડ ઉપર આવેલી અને રાજાશાહી વખતમાં અંદાજે વર્ષ-1934માં નિમર્ણિ કરાયેલી 90 વર્ષ જુની લાખાજીરાજ શાક માર્કેટનું બિલ્ડીંગ ભયગ્રસ્ત હોવાનો રિપોર્ટ આવતા બિલ્ડીંગમાં કાર્યરત 104 વેપારીઓને તેમના થડા, દુકાનો અને વખારો ખાલી કરવા માટે ગઇકાલે મહાનગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવતા વેપારીઓ આ મામલે ધારાસભ્ય ઉદય કાનગડ પાસે દોડી ગયા હતા, દરમિયાન આજે આ મામલે ધારાસભ્યની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇને રજુઆત કરાઇ હતી જેના અંતે તંત્રએ એવી ખાતરી આપી હતી કે ભયગ્રસ્ત લાખાજીરાજ શાક માર્કેટનું બિલ્ડીંગ ખાલી કરાવાશે પરંતુ તેનું ડિમોલિશન કરાશે નહીં તેમજ ટેન્ડર પ્રસિધ્ધ કરીને રિનોવેશન કરાશે.
વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યું હતું કે ધારાસભ્યની આગેવાનીમાં લાખાજીરાજ શાક માર્કેટના થડા ધારકો તેમજ દુકાનદારો, ભાડુઆતો, કબ્જેદારો સહિતના નોટિસધારકો રજુઆત માટે આવ્યા હતા અને વેપારીઓની માંગણી એવી હતી કે આ હેરિટેજ બિલ્ડીંગનું ડિમોલિશન કરવામાં ન આવે અને રિપેરિંગ કરાવી વેપારીઓને ત્યાં જ વેપાર ધંધો કરવા દેવામાં આવે. દરમિયાન આ બાબતે તેમણે કમિશનરને પણ રજુઆત કરી હતી. અંતે એવો નિર્ણય કરાયો હતો કે હાલ નોટિસ મુજબ તા.29 જુલાઇ સુધીમાં ખાલી કરાવાશે ત્યારબાદ ટેન્ડર પ્રસિધ્ધ કરી તેનું મૂળ સ્વરૂપ જાળવી રાખીને મજબૂતીકરણ અને નવીનીકરણ કરાશે ત્યારબાદ દાયકાઓથી લાખાજીરાજ માર્કેટમાં બેસી વેપાર ધંધો કરતા તમામ 104 દુકાનદાર વેપારીઓ, ભાડુઆતો, થડાધારકો અને વખારધારકોને તેમની જગ્યા સુપ્રત કરાશે. મહાપાલિકા તેમની જગ્યા તેમને પરત કરશે તેવો બાંહેધરી પણ આપશે.
એસ્ટેટ ઓફિસર દિપેન ડોડીયાએ જણાવ્યું હતું કે શહેરમાં વર્ષો જૂની ભયગ્રસ્ત ઇમારતોનો સર્વે કરાયો તે અંતર્ગત સર્વે એજન્સીના ધ્યાન ઉપર આવ્યું હતું કે લાખાજીરાજ માર્કેટ બિલ્ડીંગ ભયગ્રસ્ત છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરી એજન્સીએ મહાપાલિકાને સોંપતા તુરંત જ માર્કેટ ખાલી કરાવવા નોટિસ અપાઇ હતી. આ માર્કેટમાં અંદર 51 થડા, 21 વખાર, 4 દુકાન અને બહારની તરફેના 28 થડા મળી કુલ 104 ધંધાર્થી કાર્યરત છે જે તમામને ગઈકાલે નોટીસની બજવણી કરી તા.29 જુલાઇ સુધીમાં માર્કેટ ખાલી કરવા તાકીદ કરાઇ છે.
મહાપાલિકા આ તમામ ભાડુઆતો પાસેથી દર મહિને રૂ.500નું ભાડું અને રૂ.90 જીએસટી મળી પ્રતિ ભાડુઆત દીઠ રૂ.590 વસુલે છે. ઉપરોક્ત 104 ધંધાર્થીઓ ઉપરાંત માર્કેટની અંદરના 93 થડા, બહારના 10 થડા અને એક વખાર સહિતના 104 યુનિટ મહાનગરપાલિકા હસ્તક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application