જોહર કરવા જામનગરથી અમદાવાદ જવા ક્ષત્રિય મહીલા રવાના: વિડીયો વાયરલ

  • April 06, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચેતનાબા જાડેજાએ પોતાના વિડીયો સંદેશમાં ક્ષત્રિય સમાજના ઉચ્ચ હોદા પર બેઠેલા નેતાઓને સમાજ માટે બહાર આવવા કરી અરજ: પ્રજ્ઞાબા અને ગીતાબાની સાથે મળીને 5 મહીલાઓ જોહર કરવા એકઠી થશે

રજવાડાઓ અંગે પરસોતમ રૂપાલાના વિધાન બાદ રાજયભરના ક્ષત્રિય સમાજના જે જબરદસ્ત વિરોધ ઉઠયો હતો, તેનો કલાઇમેકસ નજીક આવી રહ્યો છે, પાંચ રાજપૂતાણીઓએ આ મુદે જોહર કરવાની જાહેરાત કરી છે અને તેમાં જામનગરની ક્ષત્રિય મહીલાનો પણ સમાવેશ છે, એમના દ્વારા અમદાવાદ જતી વખતે વિડીયો બનાવવામાં આવ્યો છે જે સોશ્યલ મીડીયા પર વાયરલ થઇ રહ્યો છે અને તેમાં પોતાની હૈયા વરાળ ઠાલવીને ક્ષત્રિય સમાજના ઉચ્ચ હોદા પર બેઠેલા નેતાઓને પણ લડતમાં ઉતરવા સલાહ આપી છે. આ મહીલા જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.


રાજકોટની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ એક કાર્યક્રમ દરમ્યાન પોતાના પ્રવચનમાં અંગ્રેજો સાથે રજવાડાઓએ રોટી-બેટીના વ્યવહાર કયર્િ હોવાના કરેલા વિધાન બાદ સમગ્ર રાજયના ક્ષત્રિય સમાજમાં વિરોધ ઉઠયો હતો, જામનગર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના સૌરાષ્ટ્રભરમાં રેલીઓ કાઢવામાં આવી હતી, આવેદનપત્રો અપાયા હતાં અને ક્ષત્રિય સમાજ તરફથી એક જ માંગણી કરવામાં આવી હતી કે, પરસોતમ રૂપાલાને કોઇપણ બેઠક પર ટીકીટ આપવામાં આવે નહીં અને રાજકોટમાં એમના સ્થળે બીજા ઉમેદવાર મુકવામાં આવે.


આ મડાગાંઠ કેટલાક દિવસથી અણઉકેલ છે, આ મુદે ભાજપની હાઇકમાન્ડ શું નિર્ણ્ય લે છે તેના ઇન્તેજારનો પણ અંત આવી ગયો છે, કારણ કે દિલ્હી દરબારમાંથી ગ્રીન સિગ્નલ મળી ગયા બાદ પરસોતમ રૂપાલાને કલીનચીટ મળી ગઇ છે અને એમણે પોતાનો ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે, બીજી તરફ આ મુદે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલન બોલાવવાની જે જાહેરાત કરાઇ હતી એ પણ મોકુફ રખાઇ છે.


દરમ્યાનમાં રાજકોટના પદ્મીનીબા વાળાએ રૂપાલા વિવાદ મુદે જોહર કરવાની જાહેરાત કરી છે અને તેના માટે અલગ-અલગ શહેરમાંથી રાજપૂતાણીઓ એમની સાથે જોડાશે, જામનગરથી ચેતનાબા જાડેજા જોહર કરવા માટે જોડાવાના છે અને અમદાવાદ જતા પૂર્વે એમણે મોબાઇલમાં પોતાનો વિડીયો બનાવીને સંદેશ આપ્યો છે જે વાયરલ થતાં ભારે ઉત્તેજના જાગી છે અને પોલીસ પણ આ દિશામાં એકટીવ થઇ ગઇ છે.


વિડીયો સંદેશમાં ચેતનાબાએ જણાવ્યું છે કે, હું અત્યારે જામનગરથી અમદાવાદ જવા નિકળી છું, મારા બહેન ગીતાબા અને પ્રજ્ઞાબા જોહર માટે નિકળી ગયા છે, મને એમનો કોલ આવ્યો કે, બહેન આપણે સાથે છીએ અને સાથે જ રહીશું, મને એમનો કોલ આવ્યો એટલે તરત જ નિકળી ગઇ છું, મારે બસ સમાજને બીજુ કંઇ કેવું નથી તમે અમારી સાથે છો અને સાથે રહેશો, મે મારા બહેનને વચન આપ્યું હતું કે આપણે પાંચ સાથે છીએ અને સાથે રહીશું, હું આપના બધાના મેસેજ ગ્રુપમાં જોવું છું અને વાંચુ છું, તો મને એ વાતનો આનંદ થાય છે કે, તમે બધા અમારી સાથે છો, બસ મારે અત્યારે બીજું કંઇ કેવું નથી, અત્યારે જે લોકો મોટા હોદા ઉપર બેસી ગયા છે, એ લોકો હવે તો બહાર નિકળો, અમે જયારે રાજપુતાણીઓ આઠ-આઠ, દશ-દશ દિવસથી બહાર છીએ તો તમે તમારો હોદો છોડીને બહાર આવો, હોદો છોડો અને સમાજ માટે બહાર નિકળો.

આમ આ વિડીયો સંદેશ પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે, જોહર કરવા પાંચ રાજપૂતાણીઓ જવાની છે અને તેમાં જામનગરની પણ ક્ષત્રિય મહીલાનો સમાવેશ છે, આ બાબતને લઇને જામનગરમાં ભારે ઉત્તેજના છવાયેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application