દ્વારકામાં કૃષ્ણભકતો કાળિયા ઠાકોરજીના શરણે: ફૂલડોલ નિમિત્તે ૨ લાખથી વધુ લોકો ઉમટ્યા

  • March 21, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અને સોમવારે ભગવાન દ્વારકાધીશજીને ભકતો રંગે રમાડશે: બેટ દ્વારકામાં પણ તા.રપ મીએ ફૂલડોલ અને ર૬મીએ પાટોત્સવ: હોટલ-ધર્મશાળાઓ હાઉસફૂલ: વધારાની ટ્રેન અને બસ મૂકાશે

કાળિયા ઠાકોરની કૃષ્ણભૂમિ એટલે કે ભગવાન દ્વારકાધીશજીના ચરણોંમાં શિશ ઝૂકવવા ગામેગામથી પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યાં છે, માર્ગમાં અસંખ્ય લોકો માટે કેમ્પનું પં આયોજન કરાયું છે. પોલીસ દ્વારા રેડીયમ જાકિટ અને સ્ટિકર અપાયા છે. એસટી-રેલવે દ્વારા વધારાની ટ્રેનો અને બસો શરુ કરી દેવામાં આવી છે. જામનગરથી દ્વારકા સુધી આખો દિવસ પદયાત્રીઓનો મેળાવડો જોવા મળે છે. ફૂલડોલની શરુઆત થઈ ચૂકી છે, રવિ-સોમવારે દ્વારકાધીશજીના પટ્ટાંગણમાં કૃષ્ણભકતો કેસુડો અને રંગેથી રમશે. જ્યારે વિશિષ્ટ દર્શન પણ થશે ઉપરાંત બેટ દ્વારકા ખાતે તા.રપના રોજ ભવ્ય ફૂલડોલ મહોત્સવ તા.ર૬ના રોજ દ્વિતિય પાટોત્સવ યોજાશે.
ચારે’ય તરફ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે, ગોમતીજીમાં ગઈકાલે એકા’દ લાખ જેટલાં લોકોએ સ્નાન કર્યું હતું અને દ્વારકામાં બે લાખ કરતાં વધુ ભકતો ઉમટી પડ્યાં છે. ભગવાન દ્વારકાધીશજીનો વિશિષ્ટ શણગાર કરાશે અને ભગવાનને પણ કલરથી રમાડાશે, પટ્ટાંગણમાં ભકતો ફૂલડોલ પહેલાં પવિત્ર ગોમતીજીમાં સ્નાન કરીને કાળિયા ઠાકોરજીને શિશ ઝૂકાવશે. આમ દ્વારકા કૃષ્ણમયી બન્યું છે.
બેટ દ્વારકાના સંદેશામાં કહેવાયું છે કે, તા.રપના રોજ ભવ્ય ફૂલડોલ ઉજવાશે અને ઠાકોરજીના ડોલોત્સવ કે જે મહત્વનું ગણાય છે તેના દર્શન ૧૧:૩૦થી ૧ર ઉપરાંત તા.ર૬ના રોજ દ્વિતિય પાટોત્સવ પ્રસંગે મંગલા આરતી ૭:૩૦ વાગ્યે, મોર આરતી ૮ વાગ્યે, શ્રૃંગાર આરતી બપોરે ૧૧:૩૦, મધ્યાહન આરતી બપોરે ૧ર વાગ્યે, મીઠાજળ બપોરે ૧ વાગ્યે ત્યારબાદ તમામ શ્રીમંદિરો બંધ થઈ જશે. ઠાકોરજીના ઉત્થાપન સાંજે ૪:૩૦ વાગ્યે અને શયન રાત્રે ૮ વાગ્યે યોજાશે.
સિગ્નેચર પુલ બની ગયાં બાદ કૃષ્ણભકતોનો આવરો જાવરો વધી ગયો છે, જ્યાં જૂઓ ત્યાં માનવ મહેરામણ જોવા મળે છે. ખાસ કરીને રાજકોટથી જામનગર સહિત દ્વારકા સુધીના હાઈવેના પટ્ટા ઉપર અનેક સ્થળોએ પદયાત્રીઓ માટે ફ્રુટ, જમવાનું, આરામ માટેની વ્યવસ્થા, સરબત, લીંબુપાણી, આઈસ્ક્રીમ સહિતની વ્યવસ્થા કરાઈ છે. રિલાયન્સ-એસ્સાર દ્વારા ભકતો માટે કૅમ્પનું આયોજન કરાયું છે, અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વર્ષોથી પદયાત્રીઓ માટે કેમ્પ કરવામાં આવે છે. આ વખતે ગયા વખત કરતાં પણ વધુ કેમ્પો ખોલાયા છે.
દેવભૂમિ અને દ્વારકાના કલેકટર તેમજ દ્વારકા પોલીસ દ્વારા પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે રાઉન્ડ ધ કલોક ૧૦૮ની વ્યવસ્થા કરાઈ છે, પદયાત્રી બિમાર થાય તો તંત્ર દ્વારા તબીબો તૈયાર રખાયા છે, ગઈકાલ સાંજે પદયાત્રીઓનો સમૂહ ઉમટી પડ્યો હતો અને આજ સવાર સુધીમાં કેટલાંક પદયાત્રી રવાના થયાં છે પરંતુ દ્વારકામાં બે લાખથી વધુ  પદયાત્રીઓનો મુકામ રહ્યો છે.
જય દ્વારકાધીશજી.. ના નાદ સાથે ફૂલડોલ મનાવવા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતના અનેક ભાગોમાંથી ભકતો નાના અને મોટા વૃદ્ધો પણ પગપાળા ચાલી રહ્યાં છે જે શ્રદ્ધાનો વિષય છે. તંત્ર અનુસાર ર૩-ર૪ અને રપ દરમિયાન લગભગ ૪થી પ લાખ લોકો દ્વારકામાં રહેશે અને તેના માટે વધારાની એસટી બસો સમગ્ર ગુજરાતમાંથી દોડાવવામાં આવનાર છે. રેલ તંત્ર દ્વારા દ્વારકા સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવનાર છે. આમ ફૂલડોલ ઉજવવા કૃષ્ણભકતો થનગની રહ્યાં છે અને આખું દ્વારકા કૃષ્ણમયી બન્યું છે.
***
ખંભાળિયા નજીક દ્વારકા જતા ૪૦ પદયાત્રીઓને ફૂડ પોઈઝનિંગ: ૧૦૮ મારફત યાત્રીકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

દ્વારકા જતા કેટલાક પદયાત્રીઓને ગતરાત્રે ખંભાળિયા નજીક કોઈ ખોરાકની વિપરીત અસર થતા ૩૫ થી ૪૦ જેટલા પદયાત્રીઓને અહીંની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ અન્ય જિલ્લામાંથી ચાલીને દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે જઈ રહેલા એક સંઘના કેટલાક પદયાત્રીઓ ગતરાત્રે ખંભાળિયા નજીક પહોંચ્યા હતા. આ પદયાત્રી સંઘ ખંભાળિયા - દ્વારકા હાઈવે પર વડવાળા હોટલ પાસે પહોંચતા આ યાત્રીસંઘમાં રહેલા કેટલાક મહિલાઓ તથા પુરુષોને ઝાડા, ઉલટી તેમજ તુટ કળતર જેવી તકલીફો થવાની ફરિયાદો થતા આ અંગે તેમના દ્વારા તાકીદે ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
આથી ઘટના સ્થળે દોડી ગયેલા ઈમરજન્સી ૧૦૮ ના સ્ટાફે આશરે ૩૫ જેટલા દર્દીઓને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફુડ પોઈઝનિંગના કારણે કારણે આ લોકો બીમાર પડ્યા હોવાનું જાહેર થયું હતું. આ બનાવ બનતા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ, આર.એમ.ઓ. સહિત તબીબો અને મેડિકલ સ્ટાફ દ્વારા આ દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવી હતી. જેમાં તમામને હાલ ભય મુક્ત ગણવામાં આવ્યા હતા.
***
દ્વારકામાં હોટલ-રેસ્ટોરંટનું કડક ચેકિંગ: ૧૪ સ્થળોએથી ખોરાકના નમૂના લેવાયા

એક તરફ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યો છે, હજુ પણ ભકતો આવી રહ્યાં છે ત્યારે ગઈકાલે ફૂડ વિભાગ અને એસડીએમ દ્વારા મામલતદાર અને નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી અનેક હોટલ-રેસ્ટોરન્ટનું ચેકિંગ કરાયું છે જેમાં ફૂડ સેફટક એકટ અન્વયે ૧૪ જેટલાં સ્થળોએથી ખોરાકના નમૂના લેવાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application