ખંભાળિયા: પડતર પ્રશ્નોને અનુલક્ષીને સફાઈ કામદારો હડતાલના મૂડમાં...

  • October 02, 2024 01:08 PM 

નવરાત્રી પૂર્ણ થયે સામુહિક હડતાલનું અપાયું અલ્ટીમેટમ



ખંભાળિયા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા સફાઈ કામદારોના અનેકવિધ પડતર પ્રશ્નોને અનુલક્ષીને આગામી નવરાત્રીના તહેવાર પૂર્ણ થયા બાદ આ કર્મચારીઓ હડતાલ પર જશે તેવી લેખિત ચીમકી પાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસને આપવામાં આવી છે.


ખંભાળિયા પાલિકાના સફાઈ કામદારોને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણનો લાભ, સફાઈ કામદારોના મહેકમમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા, ઈ.પી.એફ.ની રકમ તેઓને ખાતામાં નિયમિત જમા કરાવવી, સરકારની ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ રહેણાંકના હેતુ માટે જમીનના પ્લોટ ફાળવવા, નગરપાલિકામાંથી સેવા નિવૃત્ત થયેલા કે અવસાન પામેલા પેન્શનરોના પેન્શન સ્કેલ ટુના સ્કેલ પ્રમાણે રિવિઝન કરવા, શહેરની વસ્તી અને વિસ્તારના ધોરણે સફાઈ કામદારોની ઘટ સામે નવા રોજમદાર સફાઈ કામદારોને ભરતી કરવા વિગેરે પડતર પ્રશ્નો અંગે સફાઈ કામદારો દ્વારા અગાઉ સંબંધિત તંત્રને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.

આને અનુલક્ષીને ગુજરાત સફાઈ કામદાર મહામંડળના નેજા હેઠળ અહીંના સફાઈ કામદારોએ પ્રદેશ મહામંત્રી રમેશભાઈ વાઘેલાના વડપણ હેઠળ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને એક લેખિત પત્ર પાઠવીને જો તેમના આ પ્રશ્નોનો તાકીદે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સફાઈ કામદારો આગામી નવરાત્રીના ધાર્મિક તહેવારો પૂર્ણ થયા બાદ હડતાલ પર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application