ખંભાળિયા પેટ્રોલ પંપ નજીક લાગેલી ભીષણ આગ પ્રકરણમાં પેટ્રોલ પંપ સંચાલક સહિત ચાર સામે ફરિયાદ

  • September 03, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્વલનશીલ પદાર્થ બેદરકારી પર પૂર્વક રસ્તામાં ફેંકી દેતા લાગી હતી આગ


ખંભાળિયા શહેરમાં આવેલા એક પેટ્રોલ પંપ નજીક રવિવારે ભભૂકી ઊઠેલી ભીષણ આગળના પ્રકરણમાં બેદરકારી દાખવવા સબબ પેટ્રોલ પંપના સંચાલક સહિત કુલ ચાર શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા યમુના પેટ્રોલ પંપ પાસે રવિવારે રાત્રે આશરે નવેક વાગ્યાના સમયે એકાએક ભભુકી ઉઠેલી ભીષણ આગમાં એક મોટરકાર અને બે બાઈક સહિત ત્રણ વાહનો સંપૂર્ણપણે સળગી જવા પામ્યા હતા. રાત્રિના સમયે પેટ્રોલ પંપ પાસે લાગેલી આગથી થોડો સમય ભય સાથે દોડધામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પેટ્રોલ પંપ પાસે શિવાલિક હોસ્પિટલની સામે લાગેલી આ આગમાં એક તબીબની મોટરકાર તેમજ બે મોટરસાયકલ સળગી જતા રૂપિયા 4.45 લાખની નુકસાની થયાનું ખુલવા પામ્યું છે.


આગના આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એલ.વી. જાદવ દ્વારા પેટ્રોલ પંપના સંચાલક ધીરેનભાઈ તુલસીદાસ બારાઈ, અનુપરાય, પપુરાય તેમજ જીગર પ્રકાશભાઈ રાઠોડ નામના કુલ ચાર શખ્સો સામે અહીં પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આ ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપી ધીરેનભાઈ બારાઈ કે જેઓ યમુના પેટ્રોલ પંપના સંચાલક છે, તેમણે આરોપી અનુપરાય અને પપુરાય પાસે આ પેટ્રોલ પંપના પેટ્રોલની ટાંકીઓની સફાઈ કરાવી હતી. આ સફાઈ બાદ તેમાંથી કાઢવામાં આવેલા પાણી મિશ્રિત પેટ્રોલ જ્વલનશીલ હોવા છતાં તેનો જાહેર રોડ પર નિકાલ ન કરવાનો નિયમ હોવા છતાં પણ તેને જાહેર રોડ ઉપર છોડાવી, તેમાં આગ લાગે તેમ હોય અને આ આગથી જાનહાની થવાની શક્યતા હોવાનું ધ્યાનમાં હોવા છતાં પણ તેઓએ આ પાણી મિશ્રિત પેટ્રોલને જાહેર રોડ ઉપર છોડી દીધું હતું.


આ પ્રવાહી આગળ રોડ ઉપર જતા અન્ય એક આરોપી જીગર પ્રકાશભાઈ રાઠોડએ આ પ્રવાહીમાં સળગતી દીવાસળી ફેંકતા આગ લાગી હતી. જેના કારણે રોડની એક સાઇડમાં પાર્ક કરવામાં આવેલી જી.જે. 10 ડી.એ. 6059 નંબરની સ્વીફ્ટ કાર તેમજ બે મોટરસાયકલ મળી ત્રણેય વાહનો આગમાં સળગી ગયા હતા. જેના કારણે આશરે રૂપિયા સાડા ચાર લાખ જેટલી નુકસાની થયાનું પણ જાહેર થયું છે.


ખંભાળિયા પોલીસે બી.એન.એસ.ની કલમ 125, 287, 110, 324 (4) તેમજ 54 મુજબ પેટ્રોલ પંપના સંચાલક તેમજ તેમના બે કર્મચારીઓ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application