ખંભાળિયા: ઘી નદી રિવરફ્રન્ટ માટે 38.58 કરોડને રકમને સૈદ્ધાંતિક મંજૂરી

  • August 15, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેરને મળી રિવરફ્રન્ટની અમૂલ્ય ભેટ: કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પ્રયાસો સફળ



ખંભાળિયા શહેરના લોકો કે જે છેલ્લા ઘણા સમયથી રિવરફ્રન્ટની ભેટ માટે રાહ જોઈ રહ્યા હતા, તે માટે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સાથે નગરપાલિકાના સત્તાવાહકોના પ્રયાસોને સફળતા સાંપળી છે. સરકાર દ્વારા ખંભાળિયા નગરપાલિકાને ઘી રિવરફ્રન્ટ માટે રૂપિયા 38.58 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.


ખંભાળિયા શહેરની ઓળખ સમાન રામનાથ મહાદેવ મંદિરથી ખામનાથ મહાદેવ મંદિર સુધી વહેતી ઘી નદીમાં રિવરફ્રન્ટની સુંદર યોજના મૂકવામાં આવે તે માટે તત્કાલીન પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર તેમજ વર્તમાન પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી અને આ સ્થળે સુંદર અને આકર્ષક તથા સુવિધાસભર રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ તૈયાર કરાવવામાં આવ્યો હતો. ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમ દ્વારા સમયાંતરે ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતો બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા બુધવારે રામનાથથી ખામનાથ સુધીની ઘી નદી પર આશરે રૂપિયા 38.58 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.


આ રિવરફ્રન્ટમાં આધુનિક બેઠક વ્યવસ્થા, સુંદર વિવિધ ઝાડ, લાઇટિંગ ડેકોરેશન વિગેરેનો નજારો નગરજનો માટે મહત્વપૂર્ણ ભેટ સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં ખાસ કંઈ ફરવા લાયક સ્થળ નથી. ત્યારે રિવરફ્રન્ટની આ ભેટ શહેર તથા આસપાસના વિસ્તારના લોકો માટે અમૂલ્ય બની રહેશે. આ મંજૂરી બદલ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા કેબિનેટ મંત્રી, સાંસદ તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


અગાઉની પેઢી માટે ઘી નદી ખૂબ જ લોકપ્રિય બની રહી હતી. અહીં નિયમિત રીતે નદીમાં સ્નાન કરવા આવતા નગરજનો-યુવાઓ માટે આ સ્થળ આકર્ષણ રૂપ બની રહ્યું હતું. પરંતુ સમયાંતરે અહીંના વિસ્તારોમાં બનતા નવા બાંધકામ તેમજ જાળવણીના અભાવથી લોકો અહીં આવવાનું ટાળી રહ્યા હતા. આ વચ્ચે છેલ્લા પાંચ-સાત વર્ષમાં ગાંડી વેલના સામ્રાજ્યથી જાણે નદી તેમજ તેમાં માછલી જેવા જીવનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.


આ પછી હવે કેબિનેટ મંત્રી તેમજ સાંસદને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના વિગેરે દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનું ફળદાયી પરિણામ સાંપળ્યું છે અને હવે અહીં રિવરફ્રન્ટને મંજૂરી મળતા આનંદની બંને બાજુ આર.સી.સી. વોલ, રિવર બેડનું ડીસ્લીટીંગ, ચેક ડેમ, કમ્પાઉન્ડ વોલ, યોગા સેન્ટર, ફ્લોરિંગ, પ્લે એરિયા, ફાઉન્ટેન, ટોયલેટ બ્લોકસ, અને પાર્કિંગ સાથે સિક્યુરિટી સાથેની અદ્યતન સુવિધા સહિતના રિવરફ્રન્ટને વહીવટી મંજૂરી બાદ બે વર્ષમાં કામગીરી પૂર્ણ થઈ જશે તેમ જાણવા મળ્યું છે.

હાલ અતિ પ્રદૂષિત અને ગાંડી વેલ સાથેની આ નદીમાં ગંદકી, કચરા, બિન ઉપયોગી ઝાડવા, તેમજ ગટરના પડતા ગંદા પાણીથી ખદબદતી આ નદી હવે આગામી સમયમાં સુંદર અને આકર્ષક રિવરફ્રન્ટ બની રહેશે તેની કલ્પનાથી નગરજનો આવકાર સાથે ઇન્તેઝારી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application