કેદારનાથ ગુફા, લક્ષદ્વીપ અને હવે દ્વારકાનો દરિયા કિનારો, વડાપ્રધાનની એક મુલાકાતે ટ્રાવેલ સેન્શેસન બન્યા આ સ્થળો

  • February 28, 2024 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન મોદીનું દ્વારકામાં સ્કૂબા ડાઈવીંગ વિશ્વભરમાં બન્યું ચર્ચાનું કેન્દ્ર


આ પહેલા પણ કેદારનાથ ગુફામાં ધ્યાન, ગંગટોકમાં ફોટોગ્રાફી, પિથોરાગઢના પાર્વતી કુંડની મુલાકાત અને લક્ષદ્વીપના પ્રધાન મંત્રી મોદીની દરિયે લટાર થઇ ચુકી છે વાઈરલ


ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી અને અહીં પૂજા અર્ચના કરી હતી. ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાને હજારો કરોડની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. દ્વારકામાં વડાપ્રધાને ઊંડા સમુદ્રમાં પાણીની નીચે જઈને જૂનું દ્વારકા શહેર જ્યાં ડૂબી ગયું છે તે સ્થળે પ્રાર્થના કરી હતી. પીએમએ તેની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. થોડી જ વારમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકો ઈન્ટરનેટ પર દ્વારકા શહેર વિશે સર્ચ કરવા લાગ્યા.

આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદી કોઈ જગ્યાએ ગયા હોય અને તેના વિશે કોઈ ચર્ચા થઈ ન હોય. આ પહેલા પણ જ્યારે વડાપ્રધાનએ દેશના કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી અને પછી તસવીર શેર કરી હતી, ત્યારે લોકોએ ઈન્ટરનેટ પર તેના વિશે સર્ચ કર્યું હતું એટલું જ નહીં પરંતુ ત્યાં જવા પણ લાગ્યા હતા. જેમાં ખાસ પાંચ જગ્યાઓ લોકોની ફેવરીટ બની છે જ્યાં પીએમ મોદીએ પગ મૂક્યો અને તે જગ્યા ફેમસ થઈ ગઈ અને અચાનક જ ત્યાં લોકોની અવરજવર ખૂબ વધી ગઈ.

વડાપ્રધાને રવિવારે ગુજરાતના દ્વારકામાં દરિયામાં ઊંડા ઉતર્યા હતા અને દ્વારકા જ્યાં ડૂબેલી છે ત્યાં પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે મેં દરિયાની અંદર જઈને પ્રાચીન દ્વારકા શહેર જોયું, જે અનુભવ્યું તે હંમેશા મારી સાથે રહેશે. પીએમએ કહ્યું કે આ અનુભવ મને ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે એક દુર્લભ અને ઊંડો સંબંધ રજૂ કરે છે. પીએમ મોદી ભગવાન કૃષ્ણને અર્પણ કરવા માટે મોરનાં પીંછાઓ સાથે સમુદ્રમાં લઈ ગયા ગતા. તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું, 'દરિયામાં ડૂબી ગયેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક વૈભવ અને શાશ્વત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.’

પીએમ મોદીનો વીડિયો સામે આવતા જ તે વાયરલ થઈ ગયો હતો. વડાપ્રધાનના ફેસબુક પેજ પર અત્યાર સુધીમાં લગભગ લાખો લોકોએ આ વીડિયો જોયો અને તેને શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેને આશરે ૫ કરોડ લોકોએ જોયો છે. લોકો ઇન્ટરનેટ પર દ્વારકા શહેર વિશે સતત સર્ચ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થશે તે નિશ્ચિત છે.


કેદારનાથ ગુફામાં વડાપ્રધાને કર્યું હતું ધ્યાન

લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથની ગુફામાં ધ્યાન કર્યું હતું. આ પછી આ ગુફાએ આખી દુનિયામાં હેડલાઇન્સ બનાવી. પીએમની ધ્યાનાકર્ષક તસવીરો એટલી વાઈરલ થઈ ગઈ કે ટૂંક સમયમાં જ આ ગુફા ખાસ પ્રવાસન સ્થળ બની ગઈ. પીએમ મોદી ૧૮ મે ૨૦૧૯ના રોજ અહીં ગયા હતા અને ત્યાર બાદ આ ગુફાની પ્રસિદ્ધિ એટલી બધી થઈ કે મે મહિનામાં જ ઓક્ટોબર ૨૦૧૯ સુધીના તમામ બુકિંગ ફૂલ થઇ ગયા હતા. આ પછી, અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે વધતી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ મેના રોજ કેદારનાથ મંદિરના દર્શન કર્યા બાદ ગુફામાં ધ્યાન કરવા ગયા હતા. વડાપ્રધાને આ ગુફામાં આખી રાત વિતાવી હતી. ગઢવાલ મંડળ વિકાસ નિગમ અનુસાર, હવે અહીં રાત્રિ રોકાણનો ખર્ચ ૩૭૦૦ રૂપિયા છે. જ્યારે પીએમ મોદી અહીં ગયા હતા ત્યારે અહીં રાત્રિ રોકાણની ફી ૧૫૦૦ રૂપિયા હતી અને આખા દિવસની ફી ૯૯૦ રૂપિયા હતી. સમુદ્ર સપાટીથી ૧૨ હજાર ફૂટની ઉંચાઈ પર આવેલી આ ગુફામાં વાઈ-ફાઈ, ફોન અને બેડની પણ વ્યવસ્થા છે. આ જ કારણ હતું કે વડાપ્રધાનના ગયા પછી તે ખૂબ ચર્ચામાં આવી હતી, ગુફામાં ધ્યાન કરતા વડાપ્રધાનની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.


વડાપ્રધાનની લક્ષદ્વીપ મુલાકાતે દુનિયાભરમાં જગાવી હતી ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત બાદ ત્યાં પર્યટનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને રાજકારણીઓથી લઈને અભિનેતાઓ સુધી દરેક ત્યાં જઈ રહ્યા છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. ઘણી સેલિબ્રિટીઓએ પણ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. એક્સ હેન્ડલ પર લક્ષદ્વીપને પ્રવાસન હોટસ્પોટ તરીકે વર્ણવવામાં આવ્યું છે. જે બાદ ટાપુઓ માટે મોટા પાયે ફ્લાઈટ બુકિંગ થઈ ગયું છે. પીએમએ લક્ષદ્વીપ પ્રવાસ પર સ્નોર્કલિંગ અને મોર્નિંગ વોક પણ કર્યું હતું. તેમણે કહ્યું કે જેઓ તેમના આંતરિક સાહસને અપનાવવા માંગે છે, લક્ષદ્વીપ તેમની સૂચિમાં હોવું જોઈએ. પીએમે કહ્યું કે મેં મારા રોકાણ દરમિયાન સ્નોર્કલિંગ પણ કર્યું હતું. આ ખૂબ જ આનંદદાયક અનુભવ હતો. લક્ષદ્વીપમાં મોર્નિંગ વોકનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે અહીંના નૈસર્ગિક દરિયાકિનારા પર મોર્નિંગ વોક પણ અદ્ભુત પળો હતી. ગયા વર્ષે લક્ષદ્વીપ જનારા પ્રવાસીઓની સંખ્યા લગભગ ૨૫ હજાર હતી જે આ વખતે અનેકગણી વધી શકે છે.


ગંગટોકમાં વડાપ્રધાનનો ચાનો સબડકો

સિક્કિમની રાજધાની ગંગટોક, ભારતના સૌથી સુંદર શહેરોમાંનું એક છે, અને પ્રસિદ્ધ કંચનજંગા પર્વતના આકર્ષક દૃશ્યો છે. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ પીએમ મોદીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી જે ગંગટોકની હતી. જેમાં પીએમ મોદી આ સુંદર શહેરમાં સવારની ચાની મજા લેતા અને અખબાર વાંચતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, આ ગંગટોક પ્રવાસ દરમિયાન પીએમ મોદી પોતે ફોટોઝ ક્લિક કરતા જોવા મળ્યા હતા.પીએમ મોદીએ પોતાના એક્સ એકાઉન્ટ પર સિક્કિમની ચાર તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે આ તસવીરો સિક્કિમના રસ્તે લેવામાં આવી હતી. થોડી જ વારમાં આ તસવીર વાયરલ થઈ ગઈ અને લોકો ઈન્ટરનેટ પર ગંગટોક વિશે જાણવાનો પ્રયાસ કરવા લાગ્યા.


પિથોરાગઢનું પાર્વતી કુંડ અને જાગેશ્વર ધામ પણ લોકોનું ફેવરીટ બન્યું

ઓક્ટોબર ૨૦૨૩ માં, વડા પ્રધાન મોદીએ ઉત્તરાખંડની સત્તાવાર મુલાકાત લીધી, જ્યાં તેમણે પ્રાર્થના કરવા માટે પાર્વતી કુંડ અને જાગેશ્વર ધામની મુલાકાત લીધી. પાર્વતી કુંડ અને જાગેશ્વરની સુંદર તસવીરો શેર કરતી વખતે પીએમ મોદીએ આદિ કૈલાશના સુંદર પૅનોરમાને હાઇલાઇટ કર્યું. પાર્વતી કુંડમાં તેમની ભક્તિ દર્શાવતા, પીએમ મોદીએ માત્ર પરંપરાગત પોશાક જ નહીં પહેર્યા પરંતુ આ પવિત્ર સ્થળ પર ધ્યાન માટે સમય પણ ફાળવ્યો. થોડી જ વારમાં આ તસવીર વાયરલ થઈ ગઈ. આ પછી, જ્યારે તે અહીંથી જાગેશ્વર ગયા ત્યાંની પૂજા કરતી તસવીરો પણ વાયરલ થઈ. તે પછી બંને સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application