મ્યુનિ.ઠરાવ મુજબ જ કાલાવડ રોડ પહોળો થશે

  • April 01, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમીન વેંચાણ કરતી વખતે મહાપાલિકાનું એનઓસી નહીં મેળવવાની અને વેંચાણ સોદો થાય ત્યારે ટ્રાન્સફર ફી પેટે ૧૦ ટકા રકમ નહીં ચુકવવા સહિતની સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે ઠરાવેલી બાબતો નિયમ અનુસાર જ ગ્રાહ્ય રાખવા પાત્ર: જમીનદારોને આપેલી છૂટછાટ વિશેષ નથી તેવો બિટવીન ધ લાઇન્સનો નિર્દેશ


રાજકોટ મહાનગરપાલિકા કાલાવડ રોડને મોટામવાથી ન્યારી ડેમ રોડ સુધી પહોળો કરી સિક્સ લેન બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૯૬ આસામીઓની મિલકતો-જમીનો કપાતમાં જતી હતી દરમિયાન આ મામલે કપાતના વળતર સ્વરૂપે અપાતા વિકલ્પોમાં મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવેલી શરતો જમીનદારો વ્યાજબી જણાતી ન હોય આ મામલે ભારે વિરોધ વંટોળ ઉઠ્યો હતો અને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કુલ આઠ વખત આ દરખાસ્ત પેન્ડિંગ રાખ્યા બાદ જમીનદારો સાથે મિટિંગ યોજી તેઓને વ્યાજબી જણાતી ન હોય તેવી અમુક વાંધાજનક શરતો દૂર કરી સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઠરાવને વહીવટી મંજૂરી આપવાને બદલે સરકારમાંથી માર્ગદર્શન મેળવવા મોકલી આપ્યો હતો, દરમિયાન તાજેતરમાં આ મામલે રાજ્ય સરકારમાંથી પણ હકારાત્મક માર્ગદર્શન આવી ગયું હોય હવે ઠરાવ મુજબ જ રોડ પહોળો થશે.

વિશેષમાં મહાનગરપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઉપરોક્ત મામલેની દરખાસ્તમાં ત્રણ શરતો રખાઇ હતી જેમાં (૧) કપાતના વળતર સામે અપાતી વિકલ્પે અપાતી જમીન લીઝથી અપાશે (૨) વળતર સ્વરૂપે આપેલી જમીન વેંચાણ કરવાની થાય ત્યારે મહાપાલિકામાંથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે તેમજ (૩) સોદાની ૧૦ ટકા રકમ ટ્રાન્સફર ફી પેટે મહાપાલિકાને ચુકવવાની રહેશે. આ ત્રણેય શરતો સામે બિલ્ડર લોબી તેમજ જમીનદારોએ સખત વાંધો ઉઠાવતા તેમજ આવી શરતો દૂર કરવા માંગણી કરી હતી જેથી સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્ત આઠ મિટિંગ સુધી અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખી હતી અને અભ્યાસ સમિતિના રિપોર્ટ તેમજ બિલ્ડર લોબી અને જમીનદારો સાથે મહાપાલિકા કચેરીમાં યોજેલી મિટિંગમાં ઉપરોક્ત ત્રણ શરતો દૂર કરવાની વ્યાજબી માંગણીઓ ગ્રાહ્ય રાખીને સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. ઠરાવ થયા બાદ મ્યુનિ.કમિશનર દ્વારા આ ઠરાવને વહીવટી મંજૂરી આપવાને બદલે રાજ્ય સરકારનું માર્ગદર્શન મેળવવા મોકલી આપવામાં આવ્યો હતો. દરમિયાન આ પ્રકરણ સરકારમાં ગયાને અંદાજે બે માસ જેવો સમય થયા બાદ તાજેતરમાં એવા મતલબનું માર્ગદર્શન આવ્યું હોવાની ચર્ચા છે કે સ્ટેન્ડિંગ કમિટીએ કરેલા ઠરાવ મુજબ આગળની કાર્યવાહી કરવાપાત્ર થશે. સમગ્ર મામલાનો ભાવાર્થ એવો કે જમીનદારોને જે છૂટછાટ આપવા જણાવાયું છે તે ગ્રાહ્ય રાખવા પાત્ર જણાયું છે. આથી હવે ટૂંક સમયમાં કાલાવડ રોડ પહોળો કરવાની કામગીરી શરૂ થઇ જાય તેવી શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ગૌરવપથ કાલાવડ રોડને મોટા મવાથી ન્યારી ડેમ કોર્નર સુધીનો રોડ પહોળો કરવા ૧૫૦ ફુટનો કરવા લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કુલ ૯૬ આસામીની મિલ્કત અને જમીનો કપાતમાં જાય છે જે પૈકી ૪૩ પ્લોટ હોલ્ડર્સએ કપાતમાં જતી જમીન સામે જમીન, ૧૭એ માર્જીન એફએસઆઇનો વિકલ્પ સ્વીકાર્યો હતો તેમજ અન્યોએ કપાત સામે રોકડ વળતરનો વિકલ્પ સ્વીકાર્યો હતો.


આચારસંહિતમાં કામ શરૂ કરી શકાય કે કેમ ? મહાપાલિકાના કલેકટરનું માર્ગદર્શન મેળવશે

કાલાવડ રોડ ઠરાવ મુજબ પહોળો કરવા સરકારમાંથી હકારાત્મક માર્ગદર્શન આવી જતા હવે ટૂંક સમયમાં રોડ સિક્સ લેન બનાવવા કાર્યવાહી હાથ ધરાશે. અલબત્ત હાલ લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી હોય કે કામગીરી શરૂ કરી શકાય કે કેમ ? તે મુદ્દે કલેક્ટરનું માર્ગદર્શન મેળવવામાં આવશે. ઠરાવ અગાઉ થઇ હોય અને હવે ફક્ત અમલીકરણ કરવાનું હોય કામ શરૂ થઇ શકે તેવો અભિપ્રાય પણ પ્રવર્તી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application