જામ્યુકોએ ઘાંચીની ખડકીથી ટીટોડીવાડી સુધીમાં ૨૦ મકાનો દુર કર્યા

  • January 03, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડીપી કપાતમાં આવતાં મકાનો દુર કરવાની કામગીરી આખો દિવસ ચાલી: મજબુત પોલીસ બંદોબસ્તને કારણે અનિચ્છનીય બનાવ ન બન્યો: ૨૪ મીટરનો રોડ બનાવવા તંત્ર મકકમ

જામનગર શહેરમાં ગઇકાલે મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં ઘાંચીની ખડીકીથી ટીટોડી વાડી સુધીના લગભગ નાના-મોટા ૨૦ દબાણો દુર કરીને ૪૦ હજાર ચો.મી.જગ્યા ખુલી કરવામાં આવી હતી, મજબુત પોલીસ બંદોબસ્ત હેઠળ ૨૪ મીટર રોડ માટે આ દબાણો દુર કરાવવા પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો, આ રસ્તાને ૧૭ મીટર પહોળો કરવા રજૂઆત થઇ હતી, પરંતુ તંત્રએ તેની કામગીરી આટોપી લીધી હતી. ગઇકાલે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ વડા મહેન્દ્રસિંહ સોલંકી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સાંજ સુધીમાં તમામ કાર્યવાહી પુરી કરીને દબાણો દુર કર્યા હતાં.
ગઇકાલે પોલીસ ખાતાના સહકારથી મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી સીટી ઇજનેર ભાવેશ જાની, એસ્ટેટના ક્ધટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, ટીપી ડીપીના નાયબ ઇજનેર કટેશીયા, મુકેશ ગોસાઇ, એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ, સીટી-એ ડીવીઝનના પીઆઇ એન.એ.ચાવડા, સબ ઇન્સ.વી.આર. ગામેતી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, સાથે-સાથે પીજીવીસીએલની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી અને તમામ વિજ કનેકશનો કાપી નાખવામાં આવ્યા હતાં, મામલતદાર વિરલબેન માંકડીયા સતત દેખરેખ રાખતા હતાં.
કેટલાક લોકોએ એવી રજૂઆત કરી હતી કે, ડીપી રોડ ૨૪ મીટર કરવાને બદલે ૧૭ મીટર કરો તો કેટલાક લોકોના મકાનો બચી જાય, પરંતુ જામનગર કોર્પોરેશનના અધિકારીઓએ તેમની કામગીરી સતત ચાલું રાખી હતી અને નકશા મુજબ કાર્યવાહી કરી હતી અને હવે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટે પણ બોકસ કેનાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર શહેરમાં હજુ કેટલાક વિસ્તારોમાં ડીપી કપાતમાં કેટલીક જગ્યાઓ આવેલી છે, પરંતુ રાજકીય અગ્રણીઓના ઇશારાને કારણે આ કામો કોર્પોરેશન આ કામો હાથમાં લેતું નથી તેવી વાતો બહાર આવી છે. રણજીતનગરથી દિ.પ્લોટ-૫૮ ચોક સુધી ડીપી રોડ કરવામાં આવ્યો હતો, થોડી કામગીરી કરવામાં આવી ત્યારબાદ આ કામગીરી અધુરી રાખવામાં આવી છે તે કયારે પુરી થશે ? તેવું લોકો કહી રહ્યા છે. આ ઉપરાંત હવાઇચોકથી સેન્ટ્રલ બેંક રોડ વર્ષોથી ડીપી કપાતમાં આવે છે, પરંતુ હજુ સુધી આ રોડ પર કાર્યવાહી થઇ નથી, અન્ય રસ્તામાં રણજીતનગરના ચોકથી હુડકો થઇ જનતા ફાટક, સ્વામીનારાયણ નગરથી નવાગામ ઘેડ થઇ રામેશ્ર્વરનગર, સાંઢીયાપુલથી ગોકુલનગર જકાતનાકા, સમર્પણ સર્કલથી સૈનિક ભવન થઇ ગોકુલનગર, સુભાષ બ્રિજ પાસે સેવા સદન-૪ થી નાગેશ્ર્વર રોડ, ચેમ્બર ઓફ કોમર્સ હોલથી માર્કેટીંગ યાર્ડ તરફનો રોડ અને સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ બેડી વીંડ મીલ રોડ હજુ બાકી છે. લગભગ ૨૦૦ જેટલા ડીપી રોડની કામગીરીમાંથી માત્ર ૩૫માં કામગીરી કરવામાં આવી છે.
ગઇકાલ સવારથી સાંજ સુધી મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, સીટી-એ ડીવીઝનનો સ્ટાફ અને કોર્પોરેશનના અધિકારીઓ, પીજીવીસીએલના અધિકારીઓ સતત સાથે રહ્યા હતાં અને આખા દિવસ કામગીરીમાં બંદોબસ્ત જાળવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application