રાજકુમાર સંતોષીને પરવાનગી વગર વિદેશ યાત્રા પર પ્રતિબંધ મુકતી જામનગર કોર્ટ

  • March 19, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેશન્સ કોર્ટનો હુકમ : આગામી સુનાવણી ૧૯ એપ્રીલે થશે

બોલીવુડના ફિલ્મ ડાયરેકટર, પ્રોડયુસર રાજકુમાર સંતોષીને થોડા દિવસો પહેલા જામનગરની કોર્ટે સાદી સજા અને દંડ ફટકાર્યો હતો દરમ્યાનમાં કોર્ટના તમામ હુકમ સામે અપીલ દાખલ કરી જામીન મુકત કરવા અરજી કરી હતી, ગઇકાલે રાજકુમાર સંતોષી જામનગર કોર્ટમાં આવ્યા હતા દરમ્યાન આ અંગે વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા ફિલ્મ ડીરેટકર રાજકુમાર સંતોષીને કોર્ટની પરવાનગી વગર વિદેશ યાત્રા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે, આ કેસમાં આગામી સુનાવણી તા. ૧૯ એપ્રીલના થનાર છે.
આ કેસની હકિકત એવી છે કે ફીલ્મફેર એવોર્ડ વિજેતા ફીલ્મ દિગ્દર્શક રાજકુમાર પ્યારેલાલ સંતોષી જે હાલમાં સની દેઓલ અને આમીર ખાનના પ્રોડકશન હાઉસ સાથે મળી લાહોર ૧૯૪૭ નામની ફીલ્મ બનાવી રહયા છે જે ફીલ્મમાં સની દેઓલ અને પ્રીટી ઝીંટા લીડ રોલમાં છે, તે રાજકુમાર સંતોષીએ જામનગરના જાણીતા ઉધોગપતિ અશોકભાઈ લાલ પાસે એક કરોડ વીસ લાખ હાથ ઉછીના લીધેલાં હતા અને તેની સામે દસ-દસ લાખનાં ૧૨ ચેકો આપેલા હતા, જે તમામ ચેકો રીર્ટન થતાં, અશોકભાઈ લાલે પોતાનાં વકીલ મારફત જામનગરની નેગોશીએબલ કોર્ટમાં રાજકુમાર સંતોષી વિરુધ્ધ ધી નેગોશીએબલ ઈન્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરિયાદ નોંધાવેલ હતી.
જે તમામ ફરિયાદો ચાલી જતાં જામનગરની નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટની સ્પેશયલ કોર્ટ દ્રારા રાજકુમાર સંતોષીને તકસીરવાન ઠરાવી ૧૧ ચેક પરતનાં કેસોમાં ૨ વર્ષની સાદી કેદની સજા તથા તમામ કેસોમાં ચેકની રકમ થી બમણી રકમનો દંડ ફટકારેલ હતો. જે હુકમથી નારાજ થઈ રાજકુમાર સંતોષીએ જામનગરની સેશન્સ કોર્ટમાં તમામ કેસોનાં હુકમ સામે અપીલ દાખલ કરી પોતાને જામીન પર મુકત કરવાં અરજી કરેલ હતી.
જે તમામ અપીલોમાં ફરીયાદીના વકીલ દ્વારા સખ્ત વાંધા લઈ કાયદાની જોગવાઈ અનુસાર રાજકુમાર સંતોષીને જામીન પર નામદાર કોર્ટ દ્વારા મુકત કરવામાં આવે પરંતુ રાજકુમાર સંતોષીને કાયદામાં જણાવ્યાં મુજબ તમામ કેસોમાં ૨૦ % રકમ તાત્કાલીક ભરવી અને સ્ટ્રીક કંડીશન મુકવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
ફરીયાદીનાં વકીલની આ તમામ રજૂઆતો ધ્યાન પર લઈ જામનગરનાં પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એસ.કે. બક્ષી મેડમએ તમામ કેસોમાં રાજકુમાર સંતોષીને રૂા. ૨,૦૦,૦૦૦/- એટલેકે કુલ રૂા. ૨૨,૦૦,૦૦૦/- અંકે રૂપીયા બાવીસ લાખ પુરા તાત્કાલીક અસરથી જમા કરાવવા, પોતાનાં રહેઠાણનું કાયમી સરનામું પ્રૂફ સાથે કોર્ટમાં રજૂ કરવું તથા કોર્ટની પરવાનગી સિવાય વિદેશ યાત્રા કરવી નહિ તેવો હુકમ ફરમાવેલ છે. આ કેસોમાં અગામી સુનાવણીની તા. ૧૯/૦૪/૨૦૨૪ મુકરર કરવામાં આવેલ છે.
આ કામમાં જામનગરના ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ તરફે ભોજાણી એસોસીએટ્સના યુવાન ધારાશાસ્ત્રી પિયુષ વિ. ભોજાણી, ભાવિન વિ. ભોજાણી, ભાવીન જે. રાજદેવ, કિશોર ડી ભટ્ટ, પ્રકાશ બી. કંટારીયા અને સચિન યુ. જોશી. અર્શ વાય. કાસમાણી અને અલ્કા પી. નથવાણી રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application