જામનગર ભાજપનો કાફલો પહોંચશે રાજધાની નવી દિલ્હી

  • February 15, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના કેન્દ્રીય મંત્રી મંડળ અને રાષ્ટ્રિય અઘ્યક્ષ જે.પી.નડ્ડા સહિતની ટીમની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રિય કાર્યકારીણીમાં આપશે હાજરી: સાંસદ, ધારાસભ્યો, શહેર-જિલ્લાના સંગઠનની ટીમ અને લોકસભાના પ્રભારીઓ પણ કાલે રવાના થશે

ભારતીય જનતા પાર્ટી દ્વારા દર પાંચ વર્ષે યોજાતી રાષ્ટ્રિય કાર્યકારીણીની બેઠક આગામી શનિ-રવિ તા.૧૭-૧૮ના રોજ નવી દિલ્હી ખાતે યોજાવાની છે અને તેમાં જામનગરથી ભાજપનો મોટો કાફલો ઉપસ્થિત રહેવા આવતીકાલે રવાના થશે, આ કાર્યકારીણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રિય અઘ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના તમામ દિગ્ગજો ઉપસ્થિત રહેશે અને મોટી સંખ્યામાં દેશભરમાંથી મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સંગઠનના હોદેદારો હાજરી આપશે.
લોકસભાની ચૂંટણી નજીક છે, ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની તૈયારી પાંચમા ગીયરમાં આવી ગઇ છે, ચારેકોર પક્ષ દ્વારા કાર્યક્રમોની વણઝાર બોલાવવામાં આવી રહી છે ત્યારે નવી દિલ્હી ખાતે બે દિવસની રાષ્ટ્રિય કાર્યકારીણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરંપરા મુજબ જામનગરથી મોટો કાફલો હાજરી આપશે અને લગભગ આવતીકાલે તમામ એકસાથે અથવા અલગ-અલગ રવાના થઇ શકે છે.
રાષ્ટ્રિય કાર્યકારીણીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી મંડળના એમના સાથીઓ, ભાજપના રાષ્ટ્રિય અઘ્યક્ષ જે.પી.નડ્ડા ઉપરાંત એનડીએ એટલે કે સાથી પક્ષના દિગ્ગજ આગેવાનો માર્ગદર્શન આપવા માટે બે દિવસ ઉપસ્થિત રહેશે અને તેમાં દેશભરના સાંસદો પણ હાજરી આપશે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગરથી હાજરી આપનાર ભાજપના કાફલામાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદભાઇ ખીમસુરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, લોકસભાની ત્રણ બેઠકના કલ્સ્ટરના પ્રભારી આર.સી.ફળદુ, અમરેલી લોકસભા બેઠકના પ્રભારી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, જિલ્લાના પ્રભારી પણ ઉપસ્થિત રહેશે.
આવતીકાલ સાંજ સુધીમાં જામનગર ભાજપનો કાફલો નવી દિલ્હી ખાતે પહોંચી જશે અને તા.૧૮ની રાત સુધી ચાલનારી રાષ્ટ્રિય કાર્યકારીણીની બેઠકમાં હાજરી આપશે. દર પાંચ વર્ષે ભાજપ દ્વારા રાષ્ટ્રિય કાર્યકારીણીનું આયોજન કરાતું રહે છે અને તેમાં સંગઠનથી લઇને સતા સુધીને આવરી લેતાં મુદાઓ પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે.
આમ તો ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણી એક પરંપરાગત કાર્યક્રમ છે, આમ છતાં લોકસભાની ચૂંટણી નજીક છે અને આ પૂર્વે ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણીની બેઠક મળી રહી હોવાથી સ્વભાવિક રીતે આ વખતેની રાષ્ટ્રિય કાર્યકારીણીમાં ચૂંટણી જ મુખ્ય મુદો રહેશે અને ભાજપના દિગ્ગજો તરફથી આ દિશામાં કામગીરી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે એવું માનવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application