જામજોધપુરના ધ્રાફા ગામે અવર જવર કરવા માટે વૈકલ્પિક વાહન વ્યવહારનો રૂટ જાહેર કરાયો

  • July 06, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના ધ્રાફા ગામે અવર જવર કરવા માટે વૈકલ્પિક વાહન વ્યવહારનો રૂટ જાહેર કરાયો

જામનગર તા.06 જુલાઈ, જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં સ્થિત ધ્રાફા ફોટક (રેલવે ક્રોસીંગ) પાસે આવેલા માર્ગના સમારકામ અર્થે ઉક્ત ક્રોસિંગ વાળો રસ્તો બંધ કરવા અંગે અને વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા સાથે ત્રણ માસના સમયગાળા માટે આ રસ્તો બંધ કરવા અંગેની રજૂઆત સામે આવી છે. 

હાલમાં ચોમાસાની ઋતુ હોવાથી આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને અન્ય તમામ પરિબળોને ધ્યાનમાં રાખતા સુનિશ્ચિત સમયમર્યાદમાં કાર્ય પૂર્ણ કરવા અને આ કાર્ય સમયે ટ્રાફીક સમસ્યા નિવારવા, સમારકામની કામગીરીમાં અડચણ ઊભી ન થાય તે માટે જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે.

તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા તેમને મળેલ સત્તાની રૂઈએ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ 02/10/2024 સુધી જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં સ્થિત ધ્રાફા ફાટકની બંને બાજુના રસ્તા પર અત્રે જણાવ્યા મુજબના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સાથે ઉપરોક્ત માર્ગ પર વાહન વ્યવહાર તેમજ અવર-જવર બંધ રહેશે.

જેમાં ભારે વાહનો સિવાયના વાહનો અને રાહદારીઓ માટે ધ્રાફા બાજુથી આવવા જવા માટે ગાયત્રી મંદિર પાછળથી પોલીસ સ્ટેશન પાસેથી રેલવે સ્ટેશનથી સ્વામિનારાયણ મંદિર પાસે થઈને બાલવા ફાટક પસાર થઈને સી.એચ.સી.હોસ્પિટલથી કષ્ટભંજન હનુમાન મંદિર સુધીનો વૈકલ્પિક રસ્તો લાગુ પાડવામાં આવ્યો છે.

તેમજ ભારે વાહનો માટે ધ્રાફા અને બાલવા બાજુથી આવતા વાહનો જેને શહેરની બહાર ગીંગણી કે સીદસર આગળ જવાનું હોય, તો તેમને બાલવા ફાટકથી બસ સ્ટેન્ડથી જુની કૉલેજ/બહુચરાજી મંદિર પાસેથી ગૌશાળાથી સ્મશાનના રસ્તે થઈને માણેક ફાર્મવાળા બાયપાસ રોડ તરફ તથા વિરુદ્ધ દિશામાં આવવા જવાનું રહેશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33 (6) ના પરંતુકની જોગવાઈ મુજબ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવે છે. 

આ જાહેરનામાંની તમામ જાહેર જનતાને જાણ થાય તે રીતે ચીફ ઓફિસરશ્રી, જામજોધપુર નગરપાલિકા, જામજોધપુરે તેની બહોળી રીતે પ્રસિધ્ધી કરાવવાની રહેશે. તેમજ રસ્તાઓના અગ્રભાગે જાહેર જનતાને સરળતાથી જાણકારી મળી રહે તે મુજબના બોર્ડ મુકાવવાના રહેશે. ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application