ઈઝરાયેલે ગાઝામાં કર્યો હવાઈ હુમલો, શાળાને બનાવી નિશાન,  34 લોકોના મોત

  • September 12, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઇઝરાયેલે ગઈ કાલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 34 લોકોના મોત થયા છે. જેમાં 19 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ હવાઈ હુમલામાં યુએનની એક શાળા પર હુમલો કરવામાં આવ્યો હતો, વિસ્થાપિત લોકો હાલમાં શાળામાં રહી રહ્યા હતા. હુમલામાં 18 લોકો ઘાયલ થયા છે.


ગાઝામાં સતત હુમલા બાદ ત્યાંના લોકોમાં ભય અને આતંકનું વાતાવરણ વધી રહ્યું છે. જે શાળાઓને સુરક્ષિત માનવામાં આવે છે તે જ શાળાઓ પર હુમલા થઈ રહ્યા છે. આ પહેલીવાર નથી કે ગાઝામાં યુએનની શાળા જ્યાં વિસ્થાપિત લોકો રહેતા હતા તેને નિશાન બનાવવામાં આવી છે.


શું કહ્યું ઈઝરાયેલની સેનાએ?


આ હુમલા બાદ ઈઝરાયેલની સેનાએ કહ્યું કે તે હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહી છે જેઓ નુસીરત શરણાર્થી કેમ્પ સ્થિત શાળાની અંદરથી હુમલાની યોજના બનાવી રહ્યા હતા અને ઈઝરાયેલે હમાસના આતંકીઓને મારવા માટે આ હુમલો કર્યો હતો.


34 લોકોના મોત


ગાઝાની એક શાળા પર થયેલા આ હુમલામાં 34 લોકોના મોતના અહેવાલ છે, જેમાં 19 મહિલાઓ અને 2 બાળકોના પણ મોત થયા છે. તેમજ આ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા છે. સાથે જ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે માહિતી આપી હતી કે આ હુમલામાં પેલેસ્ટિનિયન રેફ્યુજી એજન્સી (UNRWA)ના છ કર્મચારીઓના મોત થયા છે.


"10 મહિનાથી મારી દીકરીને જોઈ નથી"


એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃત બાળકોમાંથી એક ગાઝાની નાગરિક સુરક્ષા એજન્સીના સભ્ય મોમિન સેલ્મીની પુત્રી હતી. મોમીન સેલ્મી હુમલા બાદ ઘાયલોને બચાવવાનું કામ કરે છે. એજન્સીએ જણાવ્યું હતું કે સેલ્મીએ તેની પુત્રીને 10 મહિના સુધી જોઈ ન હતી. કારણકે તે ઉત્તર ગાઝામાં કામ કરવા માટે રહ્યો હતો જ્યારે તેનો પરિવાર દક્ષિણમાં ગયો હતો પરંતુ હવે તે તેની પુત્રીને ફરી ક્યારેય જોઈ શકશે નહીં.


વિસ્થાપિત લોકો શાળામાં રહી રહ્યા છે


ગત વર્ષથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો પેલેસ્ટિનિયનોને ઇઝરાયેલના હુમલા અને સ્થળાંતરના આદેશોને કારણે ઘર છોડવાની ફરજ પડી હતી અને આ તમામ વિસ્થાપિત લોકો હાલમાં ગાઝાની શાળાઓમાં રહી રહ્યા છે.


યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ઈઝરાયેલે ગાઝાની શાળાઓ પર ઘણી વખત હુમલો કર્યો છે, જેના પર તેનું કહેવું છે કે હુમલા પાછળનું કારણ એ છે કે શાળામાં હમાસના આતંકવાદીઓ છુપાયેલા છે. તેથી જ તેણે આ શાળા પર હુમલો કર્યો.


90% શાળાઓને નુકસાન


યુનિસેફ, એજ્યુકેશન ક્લસ્ટરે જુલાઈમાં એક સર્વે હાથ ધર્યો હતો. જે મુજબ ગાઝામાં 90% થી વધુ શાળા ઈમારતોને ગાઝામાં સતત હુમલાઓથી ગંભીર અથવા આંશિક રીતે નુકસાન થયું છે અને જે શાળાઓમાં વિસ્થાપિત લોકો રહે છે, તેમાંથી અડધાથી વધારે શાળાઓમાં હુમલા થયા છે.


40 હજારથી વધુ લોકોના મોત


ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગત વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 41,084 પેલેસ્ટાઈનના મોત થયા છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. તેમજ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 95,029 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે આ યુદ્ધમાં હમાસ દ્વારા 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં 1,200 લોકો માર્યા ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application